હરીશ મીનાશ્રુની કવિતા/ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૬

Revision as of 00:16, 27 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૬

એ રઝળુ છે
દેશદેશાવર ખેડતો રહે છે
વણજવિહારી

ઉંબર કને ઉતારે છે પ્રવાસ-મલિન પગરખાં
જાણે પહાડો, નદીઓ, અરણ્યો, મરુથળો
ને જનપદોના જિપ્સી અભરખા
વર્ષો બાદ પાછો ફર્યો છે એ
વિરહી, -
હાશ ! હવે ગિરહી
હળવે રહીને એ કાઢે છે
એના મેલાદાટ થેલામાંથી
એક ઉપહાર, પરણેતર માટે : મોંઘા મૂલનો પરદેશી ચન્દ્ર

ગૃહિણી પણ ખોલે છે એના સ્ત્રીધનનો દાબડો :
હળદરના ડાઘવાળો, હિંગના વઘારની ગંધવાળો
આટલા દહાડા જતનથી સાચવી રાખેલો
સ્હેજ ચોળાયેલો
દેશી ચન્દ્ર

અભિસારિકાની જેમ એ
ઘરના હિસાબની ડાયરીમાં
અડોઅડ દાબી દે છે બન્ને ચન્દ્ર
સકળ સૃષ્ટિ શમી ગઈ છે અંધકારના સમ પર
ચમકે છે કપૂરના ટુકડા : તિલક કામોદના સ્વરો જેટલા શુદ્ધ
આ દ્વિતીય પ્રહરના તારકો
ઘરમાં
બેઠું છે આશ્લેષા નક્ષત્ર
ને બહાર નિશાટને નીકળ્યો છે એક સર્વદેશી ચન્દ્ર

આજે એનું ખાસ કશું કામ નથી
પૂનમ હોવા છતાં
એનું રોજિંદું મ્હોં પડવા જેટલું પડી ગયું છે