કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/વાયક આવ્યાં –

From Ekatra Wiki
Revision as of 01:36, 31 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૧. વાયક આવ્યાં –

વાયક આવ્યાં દિલને દ્વાર.
સાહેબ કેરો પાટ મંડાયો
વ્રેમંડને દરબાર.
વાયક આવ્યાં દિલને દ્વાર.
સૂરજ ચંદર તારલિયાની
પ્રગટી દીવાહાર;
સાગર કેરું તરભાણું ભર્યું,
નદિયું અર્ઘ્યની ધાર.–
વાયક આવ્યાં દિલને દ્વાર.
વનનો વીંઝણો વાયુ ઢોળે,
મેઘ કરે છંટકાર;
ધરણી મીઠો ધૂપ ધરે,
ફૂલતોરણ બાંધ્યાં બાર.–
વાયક આવ્યાં દિલને દ્વાર.
પહેલે ભજને ભૂતળ જાગે,
દૂજે વ્યોમ અપાર;
ત્રીજે ભજને અંતર દેવા,
ચોથે જગદાધાર. –
વાયક આવ્યાં દિલને દ્વાર.
વણ સૂણી સહુ જાગજો
તમે સૂતાં નર ને નાર;
કહે સરોદ, આ ટાણું અમૂલું
ના’વે વારંવાર.–
વાયક આવ્યાં દિલને દ્વાર.

(સુરતા, ૧૯૭૦, પૃ. ૪-૫)