કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/ધરાધામ

From Ekatra Wiki
Revision as of 02:21, 2 June 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૯. ધરાધામ

ઊડી ઊડીને આવે પાછું મન મારું,
વિશ્રામ પામવા
વૃક્ષઘટાની છાયામાં માળા ફેરવતા
દાદાની બેઠકમાં.

કથા સાંભળું બૃહદ્ સરિતસાગરની.
આવે પશુપંખી ઘરઘરથી.
આખી સીમ પ્રેમની ભરતી,
વાણી વનવિહાર શો કરતી!
નદીઓ સરસ્વતીને મળતી.
ગાતી ધરાધામ ભીંજવતી.

હજીયે સવાર-સાંજે પર્ણ બનેલાં
પંખીના મેળામાં ભળવા
આંખેપાંખે ફરકું
સરકું ગુણાઢ્ય પાસે, અડાબીડ જંગલમાં.

દાદાએ જે સુણ્યાં પુરાણો સરવા કાને
અવતારે એ અલખ લોકને સબદ-સૂરમાં,
મારી ભીતર જાગેલા પંખીના ધ્યાને
નીલ ગગનના દ્વાર ઊઘડે,
ધરાધામ અજવાળે.

મારું સુખ એ શ્રવણ હતું,
ખેતરના શેઢે રાયણથડને અંગસંગ
જે વેલ ખીલેલી, ચાલે નભને રસ્તે,
કેવી ખિસકોલી!
હા, ખિસકોલીની પીઠ ઉપર,
લો કહો ટેરવાં કોનાં વને રમેલ?
ગર્વથી દોડંતી એ બની ફુવારો
મૂળ થકી તે ફૂલ સુધી
આકાશ આંબતો પળમાં જેણે સ્વરસેતુ જગવેલ.

મોરને નચવે છે બે ઢેલ,
વાડની ટોચે થોર છકેલ,
ધાવતા વાછરડાની ગેલ,
બાળ વાનરના ડાળે ખેલ.
ભલે હો
દાદાને ના પડતી કશી ખલેલ,
પૂછતાં સમજાવેઃ
પરબ્રહ્મ બિરાજે તેજમૂર્તિમાં
જ્ઞાની દેખે.
વિલય નહીં, સહવાસ પ્રભુનો ઝંખે...
શ્રમિત અંગ પર ગોરજરૂપી વસ્ત્ર ફરકતું,
વેણુનાદમાં ધરાધામ સંચરતું.
મઝિયારુ આબાલવૃદ્ધ પ્રાણીનું.
ખેતરના રંગોનું તોરણ બની પૂર્વમાં પંખી ઊડે.
માતાઓ સેવેલાં સપનાં પાંખ પસારે...

શાસ્ત્ર ઋષિનું સ્વર્ગ વર્ણવે
મને ગમે એ.
કલ્પેલું પણ કાર્ય બને છે.
તરણાં ટોચે તેજ રમે છે.
બંધ નેત્રમાં
દૃશ્ય, કોક અણદીઠ
ભવ્ય રમવા લાગે એ ક્ષણે
ચિત્ત સ્વર્ગીય હોય છે.
સૂર્ય, ચંદ્ર, તારા નવલખ પ્રત્યક્ષ થાય છે.
ગ્રહમંડિતબ્રહ્માંડ મધ્ય છે કથાકેન્દ્ર માનવ
થઈ સાવધ સબદ સાંભળે —
કલ્પેલું પરખાય, મુખોમુખ થાય
ધૂણાના અંગારામાં સ્વર્ગછબિ વરતાય.
નેત્ર આ નમે.
સ્વર્ગ જે નિજ નિજનાં એ ભલે સુરક્ષિત રહે.

મને છે ઇષ્ટ સદા મુજ ધરાધામ.
તળની માટીની માયા રગમાં રમે.
ગોઠડી ગોકુળની બહુ ગમે.
જે દિને બાળ કનૈયે માખણ મૂકી
ખાધી માટી
માતાએ મુખડું ખોલાવી
નીરખેલું ને પરખેલું બ્રહ્માંડ રમ્ય
એ પરથી સઘળા વનરાવન
મુજ ધરાધામ.

દાદા મારા ઘરખેતરને પડતાં મૂકી
ચાલેલા તીરથની વાટે.
શૃંગબેર ને ચિત્રકૂટ ને પંચવટીથી
આગળ વધતાં પહોંચેલા કો અગમનિગમના ઘાટે.
જ્યોતિર્લિંગ ને શક્તિપીઠની કથા કહે વનવાસી-વાટે.

પ્રદક્ષિણા પૂરી કરતા એ પાછા આવ્યા.
કહે પુત્રને લે આ વિદ્યા અગમનિગમની.
પુત્ર ખેડતા હતા ધરાને સહજ ઉમંગે.
માટીની સોડમને સંગે.
આદર આપી નમી ધીરેથી કહેઃ

વાવશું બીજી વરાપે વિદ્યા સઘળી
ભલે પધાર્યા પાછા મૂળના સરનામે.
લો બેસો છાંયે, શેઢે.
જેને તમે દીધેલું નામ
પરમનું ધરાધામ.
૨૬-૭-૧૨

(ધરાધામ, ૫૯-૬૨)