ગ્રંથ અને ગ્રંથકાર/ભાનુશંકર બાબરશંકર વ્યાસ ‘બાદરાયણ'

From Ekatra Wiki
Revision as of 01:39, 10 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
Jump to navigation Jump to search

ભાનુશંકર બાબરશંકર વ્યાસ ‘બાદરાયણ'

[૨૨-૫-૧૯૦૫થી ૧૫-૧૧-૧૯૬૩]

કવિશ્રી બાદરાયણનો જન્મ ઈ. ૧૯૦૫ના મે મહિનાની ૨૨ મી તારીખે આધોઈ (કચ્છ) ગામમાં થયો હતો. વતની નડિયાદના અને જ્ઞાતિએ ઔદિચ્ય ટોળક્રિયા બ્રાહ્મણ. પિતાનું નામ બાબરશંકર શંકરજી વ્યાસ અને માતાનું નામ દુર્ગાબહેન. ઈ. ૧૯૨૫માં સુશીલાબહેન સાથે તેમનું લગ્ન થયું હતું. આરંભનું શિક્ષણ મોરબીમાં લીધેલું અને ત્યાંની વી. સી. હાઈસ્કૂલમાં પણ અભ્યાસ કરેલો. શાળાની રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા અને એનાં ઈનામો પણ મેળવેલાં. પછીથી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં દાખલ થયા અને ત્યાંથી મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં સાક્ષર શ્રી નરસિંહરાવના શિષ્ય બન્યા. વિદ્યાર્થી તરીકે તેઓ અત્યંત તેજસ્વી હતા અને નરસિંહરાવની એમના પર પ્રીતિ હતી. એ કૉલેજમાંથી જ મુંબઈ યુનિવર્સિટીની ઈ. ૧૯૨૭માં બી. એ. (ઑનર્સ)ની અને ઈ. ૧૯૩૦માં એમ. એ.ની પદવી બીજા વર્ગમાં મેળવી. સંસ્કૃત-ગુજરાતી એમના અભ્યાસવિષયો હતા. મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાં ઘણા વરસો શિક્ષક તરીકે રહ્યા અને પછી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે એમની નિયુક્તિ થયેલી. એ દરમ્યાન એમની સાહિત્યશક્તિનો લાભ અનેક વિદ્યાર્થીઓને મળ્યો હતો, અને એમાંના કેટલાક નીવડેલા લેખકો એમના આ વત્સલ વિદ્યાગુરુનું અત્યારે ભાવાર્દ્ર સ્મરણ કરે છે. ઈ. ૧૯૪૧માં મુંબઈની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી એમણે એલએલ. બી.ની પદવી પણ પ્રાપ્ત કરેલી, અને અધ્યાપક તરીકે કેટલાંક વર્ષો રહ્યા બાદ તેઓ વકીલાતનો વ્યવસાય કરતા. છેલ્લે છેલ્લે મુંબઈના આકાશવાણી કેન્દ્રના ગુજરાતી વિભાગના નાટ્યનિયામક તરીકે તેઓ પોતાની સેવાઓ આપતા હતા. ઈ. ૧૯૬૩ના નવેમ્બર માસની ૧૫ મી તારીખે મુંબઈમાં તેમનું અવસાન થતાં ગુજરાતને એક નીવડેલા સંસ્કારસેવકની ખોટ પડી છે. શ્રી બાદરાયણ મિત્રોમાં ભાનુભાઈ તરીકે ઓળખાતા. એમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. મુખ ઉપર સંદેવ સ્મિત રમતું જ હોય. એમના સાનિધ્યમાં વાતાવરણ હળવું ફૂલ જેવું લાગે. ગુલાબી સ્વભાવના એ મસ્ત જીવ હતા. એમની અપેક્ષાઓ ઘણી ઓછી, એટલે આવશ્યક ગણાય એવી ઘણી વસ્તુઓની ઉપેક્ષા જ વિશેષ. એક પ્રકારની ઉદાસીનવૃત્તિનાં આપણને એમનામાં દર્શન થાય. પણ એમનું વર્તન સહજ સમાધાનવૃત્તિથી ભરેલું. છંદ વગેરે પર એમનું પ્રભુત્વ ભારે. કોઈ કહે તો કાવ્યરચના, નાટક, રૂપક કે વાર્તા- વિવેચન પણ લખી આપે. શીઘ્ર રચનાની, પછી એ પદ્યમાં હોય કે ગદ્યમાં, એમને સારી ફાવટ હતી. કવિસંમેલનોમાં એ પ્રમુખપદે હોય ત્યારે આવી શીઘ્ર રચનાઓ એ રચી દેતા. સાહિત્ય-શિક્ષણ-સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં એમનો રસ વિશેષ. અભિનયમાં તેઓ ઘણા કુશળ હતા. ઈશ્વરે અવાજની પણ એમને સુંદર બક્ષિસ આપેલી. નાટકમાં એમનો અભિનય અને અવાજ બંને એમને ખૂબ યારી આપતા. ખાસ કરીને કરુણપાત્રના અભિનયમાં તેમની શક્તિઓ પૂર્ણપણે જેવા મળતી. ‘મુકુન્દરાય' નાટકમાં રઘનાથ ભટ્ટના પાત્રનો એમનો અભિનય અને એમની વાણી જેમણે જોયાં-સાંભળ્યાં છે તેઓ રંગભૂમિના એ દૃશ્યને ભૂલી શકશે નહિ. રેડિયો પર એમની નિયુક્તિ થયા પછી એમની આ શક્તિનો ગુજરાતને સારો પરિચય થયો છે. એ નિમિત્તે એમણે કેટલાંક નાટકો પણ લખ્યા છે, પરંતુ હજી એ ગ્રન્થસ્થ થયાં નથી. શ્રી બાદરાયણ એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ અર્થે દાખલ થયા ત્યારથી જ એમણે લેખનપ્રવૃત્તિની શરૂઆત કરેલી. નરસિંહરાવ તો એમના સંસ્કારગુરુ, તે અને ન્હાનાલાલ એમના પ્રિય લેખકો, અને ભવભૂતિનું ‘ઉત્તરરામચરિતમ્' એમનો પ્રિય ગ્રંથ. કવિતા અને નાટક બંને મનગમતા સાહિત્યપ્રકાર. ઉપનિષદનું વાચન-મનન ઘણું કરતા. આધ્યાત્મિક વિષયો તરફ મન ઢળેલું; નાટક અને અધ્યાત્મવિષયક પુસ્તક વિશેષ વાંચતા. એમના સંસ્કૃતના શિક્ષક શ્રી મૂળવંતરાય બક્ષીએ, નરસિંહરાવે અને મિત્રોએ એમના જીવનઘડતરમાં ઘણો ભાગ ભજવેલો. સંસ્કૃત, હિન્દી, અને મરાઠી ઉપરાંત ઉર્દૂ પણ તેઓ જાણતા અને અંગ્રેજીમાં પણ થોડાક લેખો લખેલા. શ્રી રમણ વકીલ અને શ્રી સુંદરજી બેટાઈ સાથે શાળોપયોગી પુસ્તક લખેલા : ગુજરાતી વાચનમાળા. ઉપરાંત વ્યાકરણ અને સંસ્કૃત સ્વાધ્યાયનાં પુસ્તકો પણ તૈયાર કરેલાં. કવિ બાદરાયણનો કાવ્યસંગ્રહ ‘કેડી' ઈ. ૧૯૪૧માં પ્રગટ થયો હતો. એમાં ગીત, સૉનેટો, મુક્તકો અને બેએક લાંબી રચનાઓ છે. ત્રીશીના કવિઓની જેમ એમણે યુગબળોની અસર વિશેષ ઝીલી છે. એમાં દરિદ્રતા, વિષમતા અને રાષ્ટ્રીય અસ્મિતાનું ગાન છે. નરસિંહરાવની શિષ્યજોડી શ્રી બાદરાયણ અને શ્રી સુંદરજી બેટાઈ 'મિત્રાવરુણૌ' તરીકે ઓળખાતા. શ્રી બાદરાયણ પર આરંભમાં નરસિંહરાવની શૈલીની અસર વરતાય છે, પણ પાછળથી તેમણે નૂતન શૈલીમાં સારી સફળતા મેળવેલી. એમનાં સૉનેટો વિપુલસંખ્ય છે અને એમાં એમની શક્તિનાં એકંદરે સુભગ દર્શન થાય છે, ખાસ કરીને આત્મલક્ષી સૉનેટોમાં. મનોભાવનું ચોટદાર નિરૂપણ એમાંનાં કેટલાંકમાં થયું છે. પરંતુ બાદરાયણની શક્તિનો ઉત્તમ આવિષ્કાર એમનાં ગીતોમાં થયો છે. ‘કવિને'માં એમણે દીનપીડિતને અમર ચેતના પાવાનો કવિધર્મ ગાયો છે. ‘આપને તારા અંતરનો એક તાર', 'બીજું હું કાંઈ ન માગું'-એમના એ ગીતમાંની આરજૂ સ્પર્શી જાય એવી છે. આ ઉપરાંત 'સપનું’, ‘મોરલો', 'તારલી', 'ભડકા કેમે ના હોલાણા' જેવાં એમનાં ગીત બાદરાયણનું સારા ગીતકવિ તરીકે આપણને સદૈવ સ્મરણ કરાવશે. આ 'કવિની પ્રતિભા ગેય કૃતિઓમાં વિશેષ પ્રસન્નતાથી રાચે છે; ત્યાં જ એનાં લલિત અંગો વ્યંજના દ્વારા મધુર સૂચનો કરી વાચક આગળ અભિનવ ભાવસૃષ્ટિ ખડી કરે છે' – એ અભિપ્રાય સાથે સંમત થઈ શકાય એવું છે; કારણ, શ્રી સુન્દરમે કહ્યું છે તેમ, બાદરાયણની કવિતાની 'મધુર પ્રાસાદિક રણક એક લાક્ષણિક આહ્લાદ આપે છે.’ દુનિયાના ડાહ્યા જેને ‘ઝાંઝવાં’ લેખે છે તેને સાચાં 'નિરમળ નીર' કહી એ પીવાની ઝંખના વ્યક્ત કરતા આ કવિએ કેટલાંક હળવા વિનોદ-કટાક્ષનાં સમાજજીવનવિષયક કાવ્યો પણ આપ્યાં છે, અને ગઝલો પણ લખી છે. શ્રી ભાનુશંકર વ્યાસમાં વિવેચન-સંશોધનની શક્તિઓ પણ હતી, પરંતુ એને વિશેષ લાભ આપણને મળ્યો નહિ. મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી લેક્ચર્સ એમણે નરસિંહરાવ પર આપેલાં, પરંતુ તે ગ્રંથસ્થ થયાં નથી. ગુજરાત સાહિત્યસભાની વાર્ષિક સમીક્ષા પણ એમણે લખેલી. ગુજરાતી દૈનિક 'પ્રજાતંત્ર'માં દર અઠવાડિયે 'કલ્યાણકુંભ', ‘કોર્ટ દરબાર અને કાયદાકાનૂન' તથા 'ઠનઠનપાળના ઠમકારા'-એમ ત્રણ લેખો લખતા. ‘ચિત્રપટ'માં પણ 'ફૂલપાંદડી' વિભાગમાં આધ્યાત્મિક તથા જ્ઞાનદાયક વાતો આપતા. સદ્ગત મુંબઈની ચંદારામજી ગર્લ્સ હાઈસ્કૂલ, મોડર્ન સ્કૂલ, કબીબાઈ સ્કૂલ, ફાર્બસ ગુજરાતી સભા, પીપલ્સ ફ્રી રીડિંગ રૂમ ઍન્ડ લાઈબ્રેરી, ભારતીય વિદ્યાભવન વગેરે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.

કૃતિઓ
કેડી: મૌલિક, કાવ્યસંગ્રહ: પ્ર. સાલ ૧૯૪૧.
પ્રકાશક : જનરલ બુક ડેપો, મુંબઈ.
અભ્યાસ-સામગ્રી :
(૧) ‘સંસ્કૃતિ’ નવેમ્બર, ૧૯૬૩ (ઉમાશંકર જોશી)
(૨) 'અવલોકના' (સુંદરમ્)
(૩) ‘આધુનિક કવિતા પ્રવાહ' (જયંત પાઠક)
(૪) ગુજરાત સા. સભાની કાર્યવહી, ૧૯૪૧-૪૨.