અર્વાચીન કવિતા/(૪) પારસી બોલીના કવિઓ

From Ekatra Wiki
Revision as of 01:26, 11 July 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
(૪) પારસી બોલીના કવિઓ
‘મનસુખ’-મંચેરજી કાવસજી શાપુરજી ( ૧૮૫૮ )
જાબુલી રૂશતંમ ( ૧૮૬૦ )
સા. રૂ. દલાલ ( ૧૮૭૧ )
જમશેદજી નસરવાનજી પીતીત ( ૧૮૭૩ )
જમશેદજી મનચેરશાહ બીલીમોરીઆ ( ૧૮૮૯ )
રૂસ્તમ ઇરાંની ( ૧૮૯૧ )
‘નાજુક’ જાંહગીરજી ખુરશીદજી વીકાજી ( ૧૮૯૯ )
જીહાંગીરશાહ અરદેશર તાલેયારખાન ( ૧૯૦૧ )
જેહાંગીર સોરાબજી તાલેયારખાન ( ૧૯૦૨ )
પાહલનજી બરજોજી દેશાઈ ( ૧૯૨૭ )
ખુરશેદજી બમનજી ફરામરોઝ

આ સ્તબકની ગુજરાતી કવિતાનો ચોથો વર્ગ પારસી ગુજરાતીમાં લખાયેલી કવિતાનો છે. ગુજરાતી કવિતાનું આ એક જરા ખેદજનક છતાં રસિક પ્રકરણ છે. ઘણાખરા શક્તિશાળી પારસી લેખકો શુદ્ધ ગુજરાતી તરફ વળી ગયેલા હોવાથી તથા પારસી બોલીને જ વળગી રહેનાર લેખકોએ ‘હિંદુ સ્કૂલ’નો સક્રિય ઉગ્ર વિરોધ કરેલો હોવાથી પારસી બોલીમાં લખાયેલી કવિતાને તથા બીજા સાહિત્યને ગુજરાતના વિવેચકો પાસેથી ઉપહાસ કે ઉપેક્ષા મળતાં રહ્યાં છે; પણ હવે એ બંનેનો સ્વસ્થતાથી વિચાર કરી શકાય એટલી શાંત મનોવૃત્તિ તથા સહાનુભૂતિ આજના સાહિત્યિક સમાજમાં આવી છે. પારસી બોલી અને શુદ્ધ ગુજરાતી વચ્ચેના વિરોધે વધી વધી ૧૮૯૨માં ‘માહરી મજેહ’ની પ્રસ્તાવનામાં ‘ફારસી સ્કૂલ’ અને ‘હિંદુ સ્કૂલ’ એ નામ હેઠળ ઉગ્રમાં ઉગ્ર રૂપ લીધું છે. આ વિરોધના પાયામાં સત્ય-અસત્ય બંને રહેલાં છે. પારસીઓમાં વતનપ્રેમ જાગ્રત થાય, પોતાની સંસ્કૃતિનાં મૂળ તરફ તે જવા પ્રયત્ન કરે, અને તેમાંથી ફારસી ભાષા તથા છંદ તરફ ઢળતી કવિતાનો જ તે સ્વીકાર કરે, અને અંગ્રેજી કવિતાના પરિચયથી ‘હિંદુ સ્કૂલ’ની કવિતામાં તેને કાવ્યગુણ ન દેખાય, એટલું આમાં સત્ય છે. પણ આ રીતની ભેદબુદ્ધિને ખેંચી અલગ પારસી બોલી ઊભી કરવી, તેમાં જ ભાષાનો સર્વોત્કર્ષ સમજવો, તથા પોતાની રચનામાં કળાનું સર્વસ્વ છે એમ માની લેવું, એટલું આમાં અસત્ય છે. સદ્‌ભાગ્યે આ વિરોધ હવે ટળી ગયો છે અને સાહિત્યક્ષેત્રમાં ખબરદારના પ્રવેશ પછી હવે કોઈ પણ સમજદાર પારસી વ્યક્તિ પોતાની પારસી બોલીની વિકૃતતાને વળગી રહી નથી. આ પારસીહિંદુવિરોધ દરમ્યાન તથા તેના પ્રારંભમાં કે પૂર્વે, એવા વિરોધના ભાન વગર પણ પારસી બોલીમાં લખાયેલી કેટલીક કવિતા નોંધપાત્ર છે. એ બોલી સામેની સૂગ દૂર કરીને, તથા ગુજરાતની બીજી લોકબોલીઓ પેઠે એક પ્રકારની લોકબોલી તરીકેના તેના સ્થાનનો સ્વીકાર કરીને જોતાં આ કવિતામાં રહેલો કાવ્યગુણ સમજી શકાય તેમ છે. એ રીતે જોતાં આ બોલીની જે અશુદ્ધિઓ છે તે પણ બાળકની તોતડી ભાષા પેઠે એક જાતનું માધુર્ય ધારણ કરે છે. ‘મનસુખ’ – મંચેરજી કાવસજી શાપુરજી પારસી બોલીમાં કવિતા લખનાર કદાચ સૌથી પહેલા મહત્ત્વના લેખક છે. એમનું સૌથી પહેલું કાવ્ય ૧૮૫૯માં છપાયેલું જોવા મળે છે. દલપતશૈલીમાં પણ તેમનાં કેટલાંક કાવ્યો જોવામાં આવે છે. તેમની સૌથી મહત્ત્વાકાંક્ષી કૃતિ ‘ગંજનામેહ’માં મૂકેલો સોહરાબ અને રુસ્તમનો શાહનામામાંનો પ્રસંગ ઘણા કાવ્યગુણવાળો છે. આ ‘દીલપઝીર દાસ્તાન’ની શૈલી ફારસી ભાષાના રંગે વિશેષ રંગાયેલી પારસી બોલીની છે અને એની અંદરનો રસ તથા આવેગ તેની ગુજરાતી કાનને અપરિચિત એવી વાણીમાં પણ છૂપો રહી શકે તેમ નથી :

હાયે રે – એ બેટા, હાયે – રે સોહરાબ,
હાયે રે – એ માએનાં, ખુદ મનની મોરાદ.
હાયે – રે દીકરા દેલાવર દલેર.
હાયે – રે એ લડાઈના મેદાંનના શેર.
એ સોહરાબ સગુણી એ દીકરા સભાગ
એ કેઆણીની તોખમની રોશન ચેરાગ.
એ માએની હઈઆતી ને ખુશીના દમ
તું વગર કોણ પાસે મુજ દુઃખની ગમ.
એ ‘સમનગાન’ના સુબા, એ સુરા સગુન
તું વગર થઈ મારી જીંદગી જબુન.
‘ગંજનામેહ’, પૃ. ૨૫૦

મનસુખ પછી બીજો કવિ જાબુલી રૂશતંમ છે. તેની ‘શાધારંણ કવિતા’ (૧૮૬૦)માં કેટલાંક સારાં કાવ્ય છે. પારસી બોલી ઉપરાંત વઝનને હિસાબે રચાતા ફારસી છંદો પણ આ કાવ્યોનું ખાસ લક્ષણ છે. આ સંગ્રહમાં વિષયોનું વૈવિધ્ય પણ છે. તેમાં સૌથી સુંદર કાવ્ય એક પુત્રના મૃત્યુ અંગેનું છે. આપણા શોકકાવ્ય તરીકે તે સૌથી પહેલું છે. તેમાંની કેટલીક પંક્તિઓ કવિના દર્દને બહુ કળામય રીતે રજૂ કરે છે : રે હશતો ને રમતો તું આએઓ તે શું? રે નાહશતો ને ભાગતો તું ગએઓ તે શું? એક દિવસમાં શું જોઈ દુનિઆંની મજાહ? શું જોઈ તેં નીતિ ને શું જોઈ લજા? રે પીતાની ઉમેદનાં ફલવંત જાહાડ, એકાએક શું આવી રે જંમની ધાડ. એ કવિની ‘મેઘરાજાને પરારથનાં (પરાંણીઓનાં પોકાર)’ની કરુણતા આટલી કઢંગી ભાષામાં પણ છાની રહેતી નથી : ધરથી ફાટી બોલેચ આમ, કે હોટ માહરા શુકાએચ રે, પુછેચ તે ‘મેઘ’નું નાંમઠાંમ, પરાંણ માહરો ઉપર જાએચ રે. ...દેડકો મારેચ હેવી બુમ કે ફાટે ચ બદનનું ચાંમ રે, ‘મેઘ’નું નામ કાંહાં થાએઉં ગુંમ, એ નશીબ માહારું આંમ રે. કવિ શરાબની હિમ્મતભેર સ્તુતિ કરે છે : કવેતનાં ઘોડાનો શરદાર છે તું, તાહારાજ હાથમો છે તેહેની લગામ, કવેશરનાં મારગનો રાહબર છે તું, બુઝુરગ તેથી ગણેચ તેવો તારું નામ. સા. રૂ. દલાલે ૧૮૭૧માં ‘પુનરલગ્ન ગાયણ સંગ્રહ’ બનાવી હિંદુઓના થતા આ સુધારાને વધાવી લીધો છે. એક ‘ભાઈ માધવદાસ અને બાઈ ધનકોરે’ પુનર્વિવાહ કર્યો તેને લેખક ધન્યવાદ આપે છે. આવાં કાવ્ય હિંદુ અને પારસી સમાજ એકબીજા તરફ કેટલા સહૃદય હતા તેનાં સૂચક છે. હિંદુ લગ્નગીતો, ગરબા, ધોળ, લોકગીતો તથા કથાગીતોના પણ બીજા ઘણા સંગ્રહો પારસી બોલીમાં થયેલા છે, તે પણ આ બંને કોમોના હૃદયનું ઐક્ય સૂચવે છે. ‘હિંદુ સ્કૂલ’ સામેનો તે વખતે જે વિરોધ હતો તે મોટે ભાગે પશ્ચિમી કેળવણીની અસર હેઠળ આવેલા વર્ગમાંથી આવેલો હતો. પારસી ગુજરાતીમાં સૌથી વિશેષ રચનાસામર્થ્ય બતાવનાર લેખક જમશેદજી નશરવાનજી પીતીત છે. તેમનાં કાવ્યોનો સંગ્રહ ‘માહરી મજેહ તથા બીજી કવિતાઓ’ (૧૮૯૨) એક કરતાં વધુ રીતે મહત્ત્વનો છે. આજ લગીના સંગ્રહોમાં પુસ્તકની બનાવટ તરીકે આ પુસ્તક સૌથી સુંદર કહેવાય તેવું છે. તેમાં ઠેઠ ઇંગ્લાંડથી મગાવીને મૂકેલાં ચિત્રો છે. એથી યે વિશેષ મહત્ત્વની વસ્તુ અંદર મૂકેલી સામગ્રી છે. પુસ્તકના પ્રારંભમાં કર્તાની કવિતાની તથા સાથેસાથે ગુજરાતી કવિતાની ચર્ચા કરતો મહત્ત્વનો નિબંધ છે. જીજીભાઈ પેસ્તનજી મીસ્તરી એમ.એ.એ આ કાવ્યનું સંપાદન કરેલું છે તથા લેખકની કવિતા વિશેનો નિબંધ લખેલો છે. આ નિબંધ તથા કાવ્યસંગ્રહ બંને ઐતિહાસિક મહત્ત્વનાં છે. પીતીતે નાની ઉંમરે જ કાવ્યો લખવા માંડેલાં. આ સંગ્રહમાંનું મુખ્ય કાવ્ય ‘માહરી મજેહ’ ૧૭ વર્ષે જ ૧૮૭૩માં પૂરું કરેલું. અંગ્રેજીના મોહના એ યુગમાં પીતીતને સ્વભાષા તરફનો અત્યંત પ્યાર ઘણો અસાધારણ ગુણવાળો ગણાય. તે ચિત્રકલાના શોખીન તેમજ પરીક્ષક હતા. મીસ્તરીએ પોતાના નિબંધમાં ‘હિંદુ સ્કૂલ’ સામે પોતાનો પીતીતનો તથા આખી ‘ફારસી અને અંગ્રેજી સ્કૂલ’નો વિરોધ કડક રીતે બતાવ્યો છે. આ વિરોધ પૂરેપૂરો સત્યપ્રતિષ્ઠિત નથી જ, પણ તે સાવ ખોટો પણ નથી. મીસ્તરી લખે છે, કે હિંદુ સ્કૂલવાળી કવિતા ઉપર જમશેદજીનો મજબૂત અભાવ હતો. તે અભાવનું એક કારણ આ પણ હતું. કે તેમાંથી ઘણીખરી સઘળી કવિતાઓ અઘડી અને નહિ સમજ પડે તેવી એબારતમાં લખાતી હતી.’ અર્થાત્‌ એ વખતના પારસીઓમાં ‘હિંદુ સ્કૂલ’ને સમજવાને માટે આવશ્યક એવા સમભાવ અને ધીરજનો જ અભાવ હતો. કેળવાયેલા પારસીઓમાં પોતાની માન્યતાઓ વિશે વધારે પડતાં વિશ્વાસ તથા અભિમાન પણ લાગે છે. ‘હિંદુ સ્કૂલની કવિતામાં કોઈને પણ ખરી કવિતાનું નામ ઘટતું નથી.’ ‘પારસી વાંચનારાઓની કેળવાયેલી લાગણીઓને એ કવિતાઓ રૂચતી નથી.’ આમ લખવામાં નરી ઉતાવળ અને વધારે પડતી અહંભાવના છે. પરંતુ દલપતશૈલીની આ ટીકા તદ્દન વાજબી લાગશે, કે ‘ઊંચી કલ્પનાશક્તિની ગેરહાજરી, કવેતાઈ ખ્યાલોની મારામાર, છંદમાત્રા ખાતર એબારતનો આપેલ ભોગ, વૃત્ત્યનુપ્રાસ (Alliteration) તથા પ્રાસ મેળવવાની કાળજી એ હિંદુ કવિતાઓની ઘોર ખોડનારી કસુરો કહેવાઈ શકાએ.’ મીસ્તરીએ બીજી વાત પિંગળ વિશે કહેલી છે તેમાં પણ પૂરું સત્ય નથી. રમણભાઈએ આ વિચારોની પૂરતી ચર્ચા તથા પરિહાર કરેલ છે, પણ તેમણે જમશેદજી પીતીતની કવિતાને સમજવામાં ‘કેળવાયેલા પારસીઓ’ના જેટલો જ સમભાવ અને ધીરજનો અભાવ બતાવેલો છે. પીતીતની કવિતાને માટેનો ‘ઇંગ્રેજી સ્કૂલ’ની પ્રથમ કવિતા તરીકેનો મીસ્તરીનો દાવો ઘણો સાચો છે. ગુજરાતી કવિતામાં જે જે નવાં તત્ત્વોનો પ્રવેશ નરસિંહરાવ દ્વારા થયેલો હોવાનું રમણભાઈ કહે છે તે તે જમશેદજી પીતીત દ્વારા પ્રવેશેલાં જોવામાં આવે છે. જમશેદજી નરસિંહરાવ કરતાં યે પહેલાં અંગ્રેજી કવિતાના સંસર્ગમાં આવ્યા છે અને તેનાં ઘણાં લાક્ષણિક તત્ત્વોને ગુજરાતીમાં લઈ આવવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. પણ પોતાના ‘કેળવાયેલા પારસીપણા’ને વળગી રહેવાથી તથા ગુજરાતી ભાષાનું તે વખતે શક્ય તેટલું ઉત્તમ સ્વરૂપ પણ પિછાની કે અપનાવી શકવાની અશક્તિને લઈને તેમનું કામ પારસી બોલીના સંકુચિત તેમજ અવિકસિત રૂપમાં જ જકડાઈ રહ્યું. પીતીતની કવિતા ‘ઇંગ્રેજી સ્કૂલ’ની સરસાઈનો દાવો કરવા છતાં તે પારસીઓની ‘ફારસી સ્ફૂલ’માં વધારે ઢળી પડે છે. તેમનું છંદ પ્રાસ વગેરે સામેનું બંડ તે ગુજરાતી પિંગળ સામેનું બંડ રહે છે. ફારસીની વધારે પડતી છાંટને લીધે અતડી લાગતી આ ભાષાને તથા શિથિલ છંદોબંધને વટાવીને આગળ જોતાં પીતીતનાં કાવ્યોમાં આ બોલીનાં સૌથી વધુ સારાં કાવ્યો જોવા મળે છે. પીતીતનું ‘માહરી મજેહ’ એક મહાન કાવ્ય છે. જરાક સમભાવથી જોતાં તેનાં સૌંદર્યરસ અને આવેગ પ્રકટ થયા વગર રહેતાં નથી. આ તોતડી ભાષામાં પણ તે કુદરતનું સૌંદર્ય બહાર લાવી આપે છે. ઝાકળના ટીપાને જોઈ તે કહે છે : એવું થાય છ કે હું જાણે તેની ભણી, ખુશાલી તેનીમાં શરીક બની, બસ જોયા કરૂં! ઓં માહરા ખોદા! દવનાં એક ટીપાંમાં તુંને સદા હું દીપેલો જોઉં છ! ગમે તે હસે ને મશ્કેરી મજાખથી મહને દસે, પણ તું ને તો એ તાહરી નાધલી ઉજાશ માં દિપેલો દીઠો મેં નાખતો ઉજાસ! ‘ચંદ્રવર્ણન’, ‘ઊગતી સ્હવાર’ વગેરેનાં વર્ણનો આવાં જ સુંદર છે. લેખકે કવિતામાં ઘણા નવા નવા વિષયો અંગ્રેજી કવિતાની ઢબે સ્પર્શ્યા છે. અને મીસ્તરી કહે છે તે પ્રમાણે અંગ્રેજી કવિતા ઉપરની અસર તેની પર વિશેષ જણાય છે. આખા સંગ્રહનું ઉત્તમ કાવ્ય ‘ઈરાનનો વિરહ’ છે. ખીચોખીચ બેઠેલી ચંપેલી જોઉં, ઠારોઠાર ગોલાબને વેરાતો જોઉં, આવે ત્યારે વ્હાલું વતન મને યાદ, એક વાર જે દીપતું તે આજે ખુવાર! એક વાર જે ખીલતું તે આજે નાચાર! ...લખાયો જે ભૂમીમાં અવસ્તા ઝંદ, પુજાયો જે ભૂમીમાં સૂર્ય બુલંદ, તુટ્યા જે ભૂમીમાં દેવોના બંદ, ...ફસકઈને પડી તે ભાંગીને ભંગ. ...બેહશ્ત હતું એક વાર તે દોજખ છે આજ! ...ઈરાન! ઈરાન! હમજાતનાં વતન! જલે છ તાહરી જુદાઈમાં તન અને મન! કવિમાં ચિત્રો ઉપજાવવાની ઘણી શક્તિ છે. વિષયની લાક્ષણિક વિગત તે પકડી શકે છે. સાધારણ વિષયો પર તેની કલમ સારી ચાલે છે. ‘કિચ્ચલમાં પડેલું ફૂલ’, ‘દરિયાના એક કોરા વિષે’, ‘બેચેન ઘડી’, ‘એક કવિની મુશ્કેલીઓ’, ‘ગુજરેલી માય’ વગરે કાવ્યો ધ્યાન ખેંચે તેવાં છે. પીતીતે દોહરા અને ગઝલ પણ લખ્યાં છે. ૯૦ પાનાં ભરીને કવિએ, મુખ્ય મુખ્ય અંગ્રેજી કવિઓનાં કાવ્યોના અનુવાદ પણ કર્યા છે. કવિમાં હાસ્ય થોડું છે. પ્રેમને તેમણે બહુ છેડ્યો નથી. હળવા ચિંતનમાં તેમજ કુદરતના સૌંદર્યના પાનમાં કવિનું કાવ્ય ખીલે છે. કવિનાં કાવ્યોમાં સંપૂર્ણતા તો નથી. જ, છતાં ચાલુ રીતની સંસારસુધારાની જડ થવા આવેલી બોધપ્રધાન કવિતા કે જેમાં પારસીઓ – ખ્રિસ્તીઓ સર્વે ખેંચાતા હતા તેમાંથી છૂટા પડી અંગ્રેજી કવિતારીતિ તરફ વળનારા પહેલા કવિ તરીકે પીતીતનું પ્રથમ સ્થાન છે. પીતીતના જે કંઈ દોષો છે તે દલપતરામ કે નરસિંહરાવના દોષોથી કાંઈ ખાસ વધી જાય તેવા નથી. બધા પારસી કવિઓમાં આ કવિનો વધારે વિગતે અને સમભાવથી અભ્યાસ થવો જરૂરી છે. જમશેદજી મનચેરશાહ બીલીમોરીઆએ ‘સરોદે તવારીખ યાને ઇતિહાસનો સંગીતસાર’ ૧૮૮૯માં બહાર પાડયું છે. બગડેલી ઉર્દૂ તથા ગુજરાતી બંને ભાષા આ છૂટક છૂટક ગાયનોમાં વાપરેલી છે, પણ આ પ્રકારે યુરોપ અને હિંદના ઇતિહાસના લાંબા પટને કાવ્યમાં ગૂંથવાની કલ્પનાની અપૂર્વતાને લેખે આ પુસ્તક નોંધપાત્ર છે. કાવ્યમાં કશો ગુણ નથી. રૂસ્તમ ઈરાંનીના ‘રૂસ્તમી ગુજરાતી ગઝલસ્તાન’ (૧૮૯૧)માંની ૮૫ ગઝલોમાં પારસી ભાષાની બેડોળતા છતાં કાવ્યની ચમક આવી છે. લેખકની પાસે કલ્પનાની છટા છે તથા નિરૂપણની કમનીયતા છે. એની એક ગઝલ તો બહુ ચમત્કારી કહેવાય તેવી છે : અનઘડે પુછ્યું આશકને તારી માશુકનો ચેહરો ચિત્રાવ, હસીને બોલ્યો આશક જા તું ચંમ્પેલીનું વજન કરી લાવ. વલી બોલ્યો તે બસ તું તેણીનું રૂપરંગ જણાવ. આશકે રડી કહ્યું કે જા વીજલીનું નુર પ્રગટાવ. એ પણ રહ્યું પણ તું તેણીના કદની છટા વિસ્તાર, આશકે હાય મારી કે જા ચંદ્ર છાંયા શ્રોવરથી લઈ આવ. અરે કંઈ નહીં તો એટલું તો કેહે છે ક્યાં તેણીનું રેઠાંણ; તો સર પટકયું આશકે જા મનશક્તી ખ્યાલને બોલાવ. એ ખશ્યાણો પડીને જતો રહ્યો અનઘડ તરત ત્યાંથી, જ્યાં રૂસ્તમ આશકના આશુંથી વેહી ચાલ્યો દરયાવ. ૧૮૬૪માં પ્રસિદ્ધ થયેલા ‘હોરી સંગ્રહ’માં ‘રૂસ્તમ ફાગબાજી’ વિભાગમાં રૂસ્તમ નામના લેખકે લખેલાં જે કેટલાંક ધ્યાન ખેંચે તેવાં કાવ્યો છે તે આ લેખકનાં હોવા સંભવ છે; ‘નાજુક’-જાંહગીર ખુરશેદજી વીકાજી ઠેઠ ૧૯૪૦ સુધીમાં જેમની કૃતિઓ પ્રસિદ્ધ થતી રહી છે તેવા પારસી બોલીના છેલ્લામાં છેલ્લા જીવંત રહેલા કવિ છે. ગ્રંથ રૂપે તેમની કૃતિઓ નીચે પ્રમાણે પ્રકટ થઈ છે : ‘ઔબારાનાં વારસ’ (૧૮૯૯), ‘સતી’ (૧૯૦૨), ‘ખુસીની મોકાણ’ (૧૯૦૨), ‘મ્હારી સુખ્યારી પળો’ (૧૯૧૦), ‘નાજુક સરોદ’ (૧૯૪૦). પારસી કવિઓ પીતીત તથા બહમનજી*ની અસર હેઠળ તેમની કવિતા ખીલી છે. અંગ્રેજી કવિતાનો પણ તેમણે અભ્યાસ કરેલો છે. એમનાં છેલ્લાં પુસ્તકોમાં એમની શક્તિ વધારે સ્પષ્ટ રૂપે દેખાય છે.

  • આ લેખકની કોઈ કૃતિ જોવા મળી શકી નથી.

ઈશ્વરની શક્તિનું પ્રાકટ્ય તે ખરેખર કલ્પનાબળથી મોહક રીતે વર્ણવે છે : સિંહની જોરેમંદ ચુંગાલમાં જો તેનૂં બલ, સાંપ ગુચ્છડાંમાં જો તેના ભરમના વલ. જો વાઘને ગુસ્સે તે સાહેબનો ક્રોધ, ગાય ચહેરામાં તેની તું માયાને શોધ. ...ને મોરમાં તું જો તેના મનની મરોડ, ને કાગડામાં જો તેની સાદાઈ કઠોર. ...વરસાદમાં વરસતી જો તેની મેહેર, ખેતરોમાં જો તેની લીલા લહેર. ...અને તેની સઉથી તે આલા પેદાશ, માનસમાં જો કોતરેલો તેનો આકાર. કવિની ઊર્મિઓમાં, વિચારોમાં તથા તેના નિરૂપણમાં સારી એવી ચમત્કૃતિ જોવા મળે છે. તેમની આ શક્તિના દૃષ્ટાંત તરીકે વિપત્તિને ઉદ્દેશેલા તેમના એક કાવ્યમાંથી થોડીક લીટીઓ કામ આવશે : યાદ રાખ! કે મારો તે મોટો ખોદાય રદ કરવા સામર્થવાન છે તારો દાવ! ...તું આવ, તેના નામનું હું મંતર ભણું, રખો જેનો તે હોય, તો તેને કોણ ખાય? કષ્ટો વન ફળો કંઈ મળતાં નથી, તું પાડ મને, વધું હું ઊંચો થઈશ! કદમ કદમ નામ તેનું જય તો નક્કી નાજુક તેની દરબારમાં હસ્તો જઈશ.*

  • આ નોંધ ‘કવિતા’ માસિકના ફેબ્રુ ૧૯૪૨ના અંકમાં આવેલા ડૉ. એરચ જહાંગીર એસ. તારપોરવાળાના લેખ ઉપરથી કરવામાં આવી છે.

જીહાંગીરશાહ અરદેશર તાલેયારખાન ‘કાવ્ય-ગૂટીકા અથવા સ્થિતી પ્રદર્શન’ (૧૯૦૬)માં આગળ પડતું માનસ બતાવે છે. લેખકનું માનસ બ્રિટિશ ભક્તનું છે. અને તે એટલે સુધી કે લેખકે પારસીના પવિત્ર ધર્મને બ્રિટિશ ધોરણે શીખવવા – સમજાવવા તથા ‘બ્રિટીશ યોજનાથી સુધરેલા ધર્મ-ગુરુનો સંસારસુખ અર્થે સંસારમાં પ્રવેશ કરાવવા’ ઇચ્છે છે. પુસ્તકમાં તે વખતના સમાજ ઉપર, મોટે ભાગે ભણેલી પારસી સ્ત્રીઓને લક્ષમાં રાખી કરેલા કટાક્ષ મઝાના છે : પડી પલંગ પોથી ગ્રહી ધણિને ધમકી દેય! ‘લેડી’ બનિ નૉવેલ લિધિ, ઘર વૈતરૂં શિખવેય! તેવી સ્ત્રીનાં બાળકાં ક્યાંથી બળકટ હોય? રાધા રંભા સ્વપ્ન ગઈ વિલપન્તા સહુ કોય! લેખકનાં પારસી બોલીમાં લખાયેલાં કાવ્યો વિશેષ જોરદાર છે. તેમાં વર્ગભાનની અસરવાળા આ કાવ્યનું તે જમાનામાં લખાવું બહુ નવાઈ ઉત્પન્ન કરે તેવું છે : ગની* તું ગરીબની શું સમજે ગમી, શું જાણે જફાઓ શું દુઃખની ગતી. ભુખ્યાના ભુખની બળતી છે આંચ, ટળવળતાં બચ્ચાંની, કોને તે દાઝ? ...નાગાંની તાઢનો તુંને તે શું ખ્યાલ! ઊનની તું હૂંફ લે ત્હારી પીઠે છે શ્યાલ!

  • પૈસાદાર

સુંદર છપાઈવાળું આ નાનકડું પુસ્તક મઝાનું છે. કવિનું હૃદય નમ્ર અને નિખાલસ છે. જેહાંગીર સોરાબજી તાલેયારખાન પારસી બોલીમાં લખનાર લેખકોમાં જમશેદજી પીતીત પછી બીજા મહત્ત્વના લેખક છે. તેમના કાવ્યસંગ્રહ ‘કુદરતની ખુબસુરતી’ (૧૯૦૨)માં પીતીતના ‘માહરી મજેહ’નો તેના ઘણાખરા અંશોમાં જાણે પુનરવતાર છે. એ સંગ્રહની પ્રસ્તાવનામાં તેના લેખક રૂ. પ. કરકર્યાએ પારસીઓના ગુજરાતી કવિતા પ્રત્યે તે વખતે જે રાગદ્વેષ હતા તે વ્યક્ત કર્યા છે. તેમ છતાં તેણે ગુજરાતી ભાષાને અંગ્રેજી કરતાં પ્રથમ સ્થાને મૂકવી જોઈએ એ રીતની કરેલી હિમાયત પારસી લેખક તરફથી આવે છે એ ધ્યાન ખેંચે તેવી બિના છે. માતૃભાષા તરફ આ રીતે ભક્તિની સ્થાપના કરી લેખક પ્રચલિત તત્કાલીન ગુજરાતી કવિતા સામે જે વિરોધ બતાવે છે તેનાં કારણો વધારે ગ્રાહ્ય બને તેવાં છે. આ લેખકના કહેવા પ્રમાણે પીતીત અને તાલેયારખાન જેવા લેખકોએ અંગ્રેજી કવિતાની ઢબ પર કવિતા લખીને અંગ્રેજી કવિતામાં જોવામાં આવતા ‘અદ્‌ભુત રસઆત્મક તત્ત્વ’ને તથા પ્રાસ વગરની કવિતાને ગુજરાતીમાં દાખલ કરી છે. તાલેયારખાને અંગ્રેજી પેન્ટામીટર પરથી ‘પાંચ ચરણ’નો એક લયમેળ છંદ ઉપજાવ્યો છે તે નોંધપાત્ર છે; જોકે એ ખૂબ એકધારો બની ગયેલો છે. તાલેયારખાનમાં પીતીતના જેટલી ચમત્કૃતિ કે ચિત્રાત્મકતા નથી, છતાં તેમનાં કાવ્યો ઠીકઠીક સમૃદ્ધિવાળાં છે. લેખકમાં કુદરત તરફ ખૂબ પ્રેમ છે, જીવન તરફ ભક્તિ છે, થોડીક ચિંતનશક્તિ પણ છે, બુદ્ધિની તથા કલ્પનાની ઊંચી પહોંચ લેખક ઘણી વાર બતાવે છે. ઓગણીસમી સદીના યુરોપનું વર્ણન કરતું કાવ્ય ‘ઇતિહાસનું અવલોકન’ ધ્યાન ખેંચે તેવું છે. કવિની કલ્પનાશક્તિ તથા સૌંદર્યશક્તિ તથા સૌંદર્યદૃષ્ટિના ઉદાહરણરૂપ થોડીક પંક્તિઓ જોઈએ. : છે સર્વે તું ઝળતો, દીપતો, ખુદા! છે સર્વે – હાજર – વાદળનાં પડમાં, દર્યાઈ ઊંડાણમાં પહાડોનાં થડમાં. તું સંતાયેલો છે. સૂર્યના તાપમાં, તારાના સાજમાં, ચંદ્ર ચળકાટમાં તું લપટાયેલો છે. કોયલ હલકમાં, બુલબુલ રાગમાં, સકરાના નાચમાં, તું જોડાયેલો છે. ગોલાબ લેબાસમાં, મોગરના વાસમાં, ચંપેલીના સાજમાં, તું મઢેલો છે. ઇનસાફના રાજમાં, ચોક્ખાઈના કામમાં, નેકીની રંજમાં તું ગુંતાયેલો છે. આતશ ચેરાગમાં, સુખડનાં સાગમાં, લોબાનની ધુંઇમાં તું જળે છે સદા. પાહલનજી બરજોરજી દેશાઈનું ‘ગુલે અનાર’ (૧૯૨૭) પારસી અને હિંદુ સંસારનું ‘શાહનામા’ની રાહ ઉપર રચાયેલું એક રસિક કાવ્ય છે. કર્તાએ જેમાં આખું શાહનામું લખાયેલું છે તે ‘બેહરે તકારૂબ’ નામના ફારસી છંદનું પિંગળ બરાબર સમજાવ્યું છે. આ કાવ્યને લખતાં કર્તાએ ચાળીશ વરસ લીધાં છે. પારસી બાનીમાં વાર્તા કેટલીક વાર સરસ ચમક લે છે. આ કાવ્યનું મહત્ત્વ એક સળંગ લાંબા વાર્તાકાવ્ય તરીકે છે, પરંતુ વાર્તાનું બ્યાન પૂરેપૂરું કાવ્યમય નથી થઈ શક્યું. એનો કાવ્યગુણ સાધારણ કોટિનો છે. ખુરશેદજી બમનજી ફરામરોઝ પણ પારસી બોલીના એક ગણનાપાત્ર કવિ છે. તેમની આ જાતની રચનાઓ ‘સુખુને રાહત’માં મળી આવે છે. તેમણે શુદ્ધ ગુજરાતી કવિતાની ઢબે પણ લખેલું છે.