ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/નવલરામ જગન્નાથ ત્રિવેદી

From Ekatra Wiki
Revision as of 02:32, 10 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નવલરામ જગન્નાથ ત્રિવેદી

એઓ જ્ઞાતિએ ઔદિચ્ય બ્રાહ્મણ છે; એમના પિતાનું નામ જગન્નાથ ઉમિયાશંકર ત્રિવેદી અને માતાનું નામ બાઈ ઉજમ છે. એમનું વતન વઢવાણ સીટી છે; અને એમનો જન્મ તા. ૧૧મી ઓકટોબર ૧૮૯૫ના રોજ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે વઢવાણ કેમ્પની શાળામાંજ લીધું હતું. સન ૧૯૧૪માં તેઓ મેટ્રિકમાં પાસ થઈ, ગુજરાત કૉલેજ–અમદાવાદમાં વધુ અભ્યાસ માટે જોડાયા હતા. સન ૧૯૨૦માં તેઓ બી. એ., થયા; ને તે પછી લાલશંકર ગુજરાત મહિલા પાઠશાળામાં અધ્યાપક તરીકે રહ્યા, જ્યાં હજુ કામ કરે છે. પાઠશાળાના કામકાજ સાથે એમ. એ.,નો આગળ અભ્યાસ કરી સન ૧૯૨૬માં તે ડીગ્રી મેળવી હતી; અને વચગાળે સન ૧૯૨૩માં મુંબઈ યુનિવર્સિટીના ઇનામી નિબંધ “ગુજરાતમાં સને ૧૮૪૮ થી ૧૯૧૪ સુધીમાં થયેલ સમાજ સુધારાની પ્રગતિ” એ માટે હરીફાઈ કરી નારાયણ પરમાનંદ પ્રાઈઝ મેળવ્યું હતું. એમના પ્રિય વિષયો સાહિત્ય, સમાજશાસ્ત્ર અને પોલિટીક્સ છે; તેમજ બંગાળી, મરાઠી, હિંદી અને સંસ્કૃત વગેરેનો સારો પરિચય ધરાવે છે. સાહિત્ય પ્રતિની એમની અભિરુચિ અને ગાઢ અભ્યાસના કારણે તેમને ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી નિમવામાં આવ્યા હતા, જે પદે ગયે વર્ષે માંદા પડી, પોતાના ગામ ગયા ત્યાં સુધી રહ્યા હતા. માસિકોમાં તેઓ અવારનવાર લેખો લખી મોકલે છે.

એમના ગ્રંથોમાં “કારાવાસની કહાણી”, બંગાળી પુસ્તકોના આધારે લખાયેલું રાજકીય વિષયનું પુસ્તક જાણીતું અને વાંચવા જેવું છે.

એમના ગ્રંથોની યાદીઃ

કારાવાસની કહાણી સન ૧૯૨૧
બોટાદકરનાં કાવ્યો સન ૧૯૨૩