ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/કવિનું વસિયતનામું — સુરેશ હ. જોષી

From Ekatra Wiki
Revision as of 01:22, 4 October 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કવિનું વસિયતનામું

સુરેશ હ. જોષી

કદાચ હું કાલે નહીં હોઉં —
કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે;
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોરવયમાં એક કન્યાના
ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;
કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હૃદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે;
કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રકટાવવી બાકી છે.
કદાચ હું કાલે નહીં હોઉં.
આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે તેમ નથી

જે દસ્તાવેજ વડે સંપત્તિની વારસદારો વચ્ચે વહેંચણી થાય તે will જેમાં મરણોત્તર વ્યવહારની અન્ય સૂચનાઓ હોય તે Codicil of Will. આ કાવ્ય વસિયતનામાનું ‘કોડિસિલ' છે. ભાવકની ઉત્કંઠાને ઉત્તેજિત કરવા કવિઓ ભાતભાતનાં માળખાં - Structures—ઊભાં કરે. 'બારમાસી' પદમાં કારતક, માગશર, પોષ ઇત્યાદિ મહિનાઓમાં નાયિકાની મનોદશાનું આલેખન હોય. ઋતુકાવ્યોમાં હેમંત, શિશિરાદિ ઋતુઓ ક્રમે ક્રમે વર્ણવાય. ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ' એવું માળખું સ્વીકાર્યા પછી કવિ નવીનવેલી વહુને મુખે દેરાણી, સાસુ, સસરા અને પતિનાં વર્ણન કરાવે. અહીં કવિએ વસિયતનામાનું માળખું સ્વીકાર્યું છે અને તેની કલમો એક પછી એક રજૂ કરતાં જઈને ભાવકની અપેક્ષાપૂર્તિ કરી છે. હવે આપણે કાવ્યની રચનારીતિ તપાસીએ. અહીં પાંચ સંભાવના લેવાઈ છે – કાલે જો સૂરજ ઊગે તો, પવન વાય તો, સાગર છલકે તો, ચન્દ્ર ઊગે તો. અગ્નિ પ્રકટે તો. પ્રત્યેક સંભાવનામાં અકેકું પ્રકૃતિતત્ત્વ લીધું છે – સૂરજ, પવન, સાગર, ચન્દ્ર, અગ્નિ આ થયો કાવ્યનો તર્ક, Poetic Logic. 'કાલે જો મગનલાલ મારફતિયા મળે તો કહેજો કે' એવી પંક્તિ અહીં ન મુકાય. મોટાં મોટાં કાવ્યો સર્જવા માટે નાના નાના નિયમો પાળવા પડે. ‘કાલે જો સૂરજ ઊગે તો’— તમે પૂછશો, 'જો' અને 'તો’ વળી શું? સૂરજ તો ઊગવાનો જ છે! પણ કવિની આંખ બિડાયેલી હશે, સૂરજ તેમને માટે નહીં ઊગે આપ મૂએ ફિર ડૂબ ગઈ દુનિયા. 'એક આંસુ સૂકવવું બાકી છે.’— સંવેદનશીલ વ્યક્તિની આંખ સદા ભીની હોય. જોન ડન કહે છે, 'Any man's death diminishes me, becuase I am involved in mankind' મનુષ્યમાત્રનું દુઃખ મારું દુઃખ છે. 'And therefore never send to know for whom the bell tolls: it tolls for thee.” દેવળના ડંકા કોના મૃત્યુ નિમિત્તે વાજી રહ્યા છે એ ન પૂછશો, એ તમારા માટે વાજી રહ્યા છે. પ્રસન્નતા વસંતમાં પમરે છે. પરંતુ વેદના તો બારમાસી છે. ‘એક કન્યાનું ચોરી લીધેલું સ્મિત'—કન્યાનું નામ નથી પાડ્યું. નામ પાડી શકાય એવો સંબંધ જ ક્યાં હતો? સ્મિત કાંઈ અધિકારપૂર્વક નહોતું મેળવ્યું, એ તો ચોરી લીધેલું, સુસ્મિતા બેધ્યાન હતી ત્યારે. કાચી વયનું સ્મિત કવિની ડાળ પર પક્વ થઈને ઝૂલે છે. ‘ખડક થઈ ગયેલો કાળમીંઢ ઈશ્વર'. - ઈશ્વર પથ્થર થઈ ગયો છે, જીવતો ક્યાં રહ્યો છે? પણ રહ્યો છે ખરો, કવિની શ્રદ્ધાના ચૂરા થયા નથી. સુરેશ જોષીએ અન્યત્ર લખ્યું છે : ઊડતાં પંખીની પાંખમાંથી ખરતું પીછું જોયું ને એણે હવામાં, ખરતાં ખરતાં, જે અદૃશ્ય રેખાઓ આંકી તે વડે જાણે નિરાકાર ઈશ્વરનું જ ચિત્ર અંકાઈ ગયું. બોલતાં બોલતાં, બોલવાના આવેગમાં જ, બોલવાનું ભૂલી જઈને આંખોને વિસ્મયથી વિસ્ફારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈને ઈશ્વરના રૂપની ઝાંખી થઈ; ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં ઈશ્વરના અંગુલિસ્પર્શનો અનુભવ થયો. ના આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે તેમ નથી. ‘એક મત્સ્ય હજી મારામાં તરફડે છે'. – મૃત્યુ મળે તો તરફડાટ શમે. ચન્દ્રના ગલમાં ભેરવાઈને મત્સ્ય ક્યાં જવા માગે છે? સિતારોં કે આગે જહાં ઔર ભી હૈ. ‘કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો'—સુરેશ જોષી ૧૯૮૬માં ગયા. તેમનું કાવ્ય આપણે આજે માણીએ છીએ, ૨૦૮૬માં પણ માણતા હશું. અગ્નિ કવિની ચિતા પ્રકટાવી શક્યો પરંતુ તેમના પડછાયાની નહીં. આપણને પ્રશ્ન થાય, કાલે જો કવિ જ ન રહે તો એમનું આંસુ કેમ રહે અને સ્મિત પણ કેમ રહે? કવિએ કદાચ કહેવું એમ હોય કે તેમના જીવન- પર્યંત આંસુ સુકાશે નહીં, સ્મિતનું ફળ ખરશે નહીં, ઈશ્વરના ચૂરા થશે નહીં અને મત્સ્ય તરફડતું રહેશે. સુરેશ જોષીના વસિયતનામાની શાહી હજી સુકાઈ નથી. સાક્ષી તરીકે તમે દસ્તખત કરશો?

***