સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/‘સરસ્વતીચંદ્ર’ : બૃહદ્ સંક્ષેપ

From Ekatra Wiki
Revision as of 15:50, 22 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
Sarasvatichandra Laghu-Front.jpg


‘સરસ્વતીચંદ્ર’ : બૃહદ્ સંક્ષેપ

ગુજરાતી સાહિત્ય માટે, ગુજરાતી સમાજજીવન માટે, ગુજરાતી સંસ્કૃતિ માટે અને ગુજરાતના રાજ-કાજ માટે ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલ હરહંમેશ ગરવો ગ્રંથમણિ રહ્યો છે. ચૌદ વર્ષ, ચાર ભાગ, લગભગ અઢારસો પૃષ્ઠ અને ચાર-ચાર પેઢીના પ્રશ્નોને આલેખતી આ નવલકથા આજે સવાસો વર્ષ પછી પણ વાચકને અને વિવેચકને એક સરખી રીતે આકર્ષે છે. ઈ.સ. ૧૮૮૭ થી ૧૯૦૦ સુધીના ચૌદ વર્ષના ગાળે કટકે કટકે આ નવલકથા પ્રસિદ્ધ થઇ ત્યારે ગુજરાતી ગદ્ય હજુ પૂરેપૂરું વિકસ્યું ન હતું. ઉપરાંત એ સમયનો આપણો પ્રાચીન સાંસ્કૃતિક વારસો, વર્તમાન પરિસ્થિતિ અને પશ્ચિમી સમાજ, આ ત્રિવેણીમાંથી સાચી અને જરૂરી ભારતીયતાની ખોજ, એ જ ‘સરસ્વતીચંદ્ર’નો મુખ્ય ઉદ્દેશ ગોવર્ધનરામે રાખ્યો હતો. પશ્ચિમનું જે કાંઇ છે તે સારું જ, એવો એક વર્ગ અને પૂર્વનું – આપણું છે તે ઉત્તમ, એવું માનનારો વર્ગ, આ બંને વચ્ચે સમન્વયકારી અભિગમથી સાચી જીવનદ્રષ્ટિનું ચિંતન આપવાની નેમ અહીં ગોવર્ધનરામે દાખવી છે. કુધારો અને સુધારો વચ્ચેની લડાઇભૂમિએથી સંગમયુગના થઇને એમણે આ વલણ ‘સરસ્વતીચંદ્ર’ થકી આપણને સમજાવ્યું છે. આવી પ્રલંબ, ઊંડી અને નવી વિચારમજલને, અનેક પ્રસંગો, ઘટનાઓ, મોટી સંખ્યાની પાત્રસૃષ્ટિ, સમકાલીન જીવનની છાયાઓ..... આ બધું એકી કોઠે, એકી બેઠકે મનમાં ઉતારવું, એ તો કોઇ અધિકારી વાચકને પણ કાઠું પડે, તો સામાન્યજનનું તો ગજુ જ શું? આથી જ આપણે ત્યાં રામાયણ-મહાભારત- કાદંબરી વગેરેના સંક્ષેપરૂપો કરવાની, કથારૂપના સંક્ષિપ્તો કરવાની જાણીતી પ્રથા છે. ‘સરસ્વતીચંદ્ર’નું આ પ્રકારે સંક્ષિપ્ત કથાસ્વરૂપ આપવાનો પ્રયત્ન તેમનાં જ ભાણેજ પ્રો. ઉપેન્દ્ર પંડ્યાએ છેક ૧૯૫૧માં કર્યો હતો. એ પછી તો આ સંક્ષિપ્ત સ્વરૂપ એટલું લોકપ્રિય થયું કે તેની સાત-સાત આવૃત્તિઓ થઇ. વળી, એ ગાળે આ લઘુસંક્ષેપ કરતાં થોડી વધારે જીજ્ઞાસા ભાવકોએ દર્શાવી, એટલે ૧૯૬૦માં ઉપેન્દ્રભાઇએ તેનો બીજો એક, થોડો મોટો, નામે બૃહદ્ સંક્ષેપ પ્રસિદ્ધ કર્યો. આ રીતે મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ના બે સંક્ષેપો, લઘુસંક્ષેપ અને બૃહદ્ સંક્ષેપ આપણને પ્રાપ્ત થયાં છે. લઘુસંક્ષેપમાં સંક્ષેપકારે ચારેય ભાગની કથાને કુલ ૩૪ પ્રકરણોમાં રજૂ કરી છે. જ્યારે બૃહદ્ સંક્ષેપમાં ચારેય ભાગને ૪૭ પ્રકરણોમાં વહેંચ્યા છે. પરંતુ નવાઇની અને આનંદની વાત એ છે કે કોઇ નવો-સવો વાચક પણ જો આ બંને સંક્ષેપોમાંથી પસાર થાય, તો ય એને આખેઆખી કથાનું હાર્દ નિઃશેષરૂપે મળી રહે છે. અહીં, ડિજિટલ રૂપે રજૂ કરેલો બૃહદ્ સંક્ષેપ આજના ભાવકને મૂળ કથા સુધી પહોંચવામાં અવશ્ય મદદ કરશે. તેમાંય હા હાર્ડકોર કથાનો સોફટ અવતાર તો રોકેટગતિએ તેનો વાચક વર્ગ વધારી આપશે. પેલી એક સંજીવની માટે આખેઆખો પર્વત ઊંચકીને આવતાં હનુમાન કુદકા જેવું ભગીરથ કાર્ય એકત્ર ફાઉન્ડેશનનું ઇ-જગત છે. અનેક ગ્રંથો, સામયિકો અને દુર્લભ સાહિત્યને ઑનલાઇન મુકી આપીને ગુજરાતી સાહિત્યની જે અનન્ય સેવા થઇ રહી છે, તે બેનમૂન છે. ‘સરસ્વતીચંદ્ર’ના બૃહદ્ સંક્ષેપનો આ સોફ્ટ અવતાર એની યશકલગીમાં વધુ એક ઉમેરો છે. આ રીતે આપણાં ગૃહ,કુટુંબ,ધર્મ અને રાજ્યના સારાંનરસાં પાસાંઓને વર્ણવતી આ મહાનવલ વાંચનારને તેનું જોઇતું આપી રહે, કાંઇ ને કાંઇ વિચારભાથુ બાંધી આપે, અને એ રીતે વાચક ગોવર્ધનરામના સમન્વયવાદી જીવનદર્શનને સમજીને કૃતકૃત્ય બને, મુક્ત બને, તો ઘણું ! - હસિત મહેતા