ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/રામનારાયણ નાગરદાસ પાઠક

From Ekatra Wiki
Revision as of 17:03, 22 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રામનારાયણ નાગરદાસ પાઠક

શ્રી. રામનારાયણ નાગરદાસ પાઠકનો જન્મ સંવત ૧૯૬૧ના મહા વદ ૪ના રોજ ધેળકા તાલુકાના તેમના વતનના ગામ ભોળાદમાં થયો હતો. તેમના પિતાજીનું નામ નાગરદાસ છગનલાલ પાઠક અને માતાનું નામ સંતોકબાઈ. ન્યાતે તે પ્રશ્ર્નોરા નાગર બ્રાહ્મણ છે. ઈ.સ.૧૯૩૬માં તેમનું લગ્ન મુંબઈમાં સૌ. નર્મદાબાઈ સાથે થએલું. તેમને બે પુત્રીઓ છે. ગામઠી શાળામાં સાત ગુજરાતી ધોરણ સુધી પ્રાથમિક કેળવણી લીધા બાદ તેમણે લાઠીની સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતનો અભ્યાસ લઘુ કૌમુદી સુધી કરેલો. પછી વઢવાણની રાષ્ટ્રીય શાળામાં અંગ્રેજીને બદલે હિંદી ભાષા લઈને તે વિનીત થએલા. શિક્ષણ અને લેખન એ એમના વ્યવસાયો છે. સંસ્કૃત કાવ્યસાહિત્ય અને લોકસાહિત્ય એમના પ્રિય અભ્યાસવિષયો છે. ગાંધીજી અને ચમનલાલ વૈષ્ણવની તેમના જીવન ઉપર પ્રબળ અસર છે. તેમની નવલકથાઓમાં અને નવલિકાઓ વગેરેમાં રાષ્ટ્રીય વિચારસરણીની મનોરમ સુવાસ પ્રસરેલી છે, તેમનું પ્રથમ પુસ્તક ઇ.સ.૧૯૨૫માં ‘ભારતના ભડવીરો' લખાયલું અને ૧૯૨૮માં પ્રસિદ્ધ થએલું. ત્યારપછી તેમની જે સાહિત્યકૃતિઓ પ્રસિદ્ધ થઈ છે તેની નામાવલિ નીચે મુજબ છે: ‘છેટાં રે'જો માબાપ' (૧૯૨૯), ‘વેઠનો વારો’ (૧૯૨૯), ‘પચાસ વર્ષ પછી' (૧૯૩૧), ‘ચાર પ્રવાસો’ (૧૯૩૪), ‘કાળા પાણીને પેલે પાર' (૧૯૩૫), 'યુગાવતાર ગાંધી ભાગ ૧-૨-૩’ (૧૯૩૬), 'આવતી કાલ' (૧૯૩૭), ‘જગતનો તાત’ (૧૯૩૮), ‘રાજકૉટનો સત્યાગ્રહ’ (૧૯૩૯), ‘પ્રવાસ પત્રો' (૧૯૩૯), ‘માનવતાનાં મૂલ' (૧૯૪૧), ‘ખાંડાની ધાર’ (૧૯૪૧).

***