ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/હરદાન પીંગળશી નરેલા

From Ekatra Wiki
Revision as of 17:13, 22 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હરદાન પીંગળશી નરેલા

ભાવનગરના હાલના રાજ્યકવિ હરદાનભાઈનો જન્મ ભાવનગરમાં, ચારણ જ્ઞાતિમાં, સં.૧૯૫૮ના શ્રાવણ વદી ૧૩ ને રવિવારના રોજ થયો હતો. એમના પિતા પીંગળશીભાઈ જાણીના ચારણી કવિ અને ભાવનગર રાજ્યના રાજ્યકવિ હતા. એમનાં માતાનું નામ મૂળીબા. ગોંડળ તાબે ચરખડી ગામે શ્રી જલુબા સાથે સં.૧૯૭૬માં એમનું લગ્ન થયું. એમના મોટા પુત્ર પણ મૅટ્રિક રાધી પહોંચવા ઉપરાંત કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરે છે. ભાવનગરમાં જ પ્રાથમિક ગુજરાની અને છ ધોરણ સુધી અંગ્રેજીનો એમણે અભ્યાસ કર્યો, અને પિતાની પાસે સંસ્કૃત, હિંદી તથા ચારણી ભાષાઓનું અધ્યયન કર્યું. એ ઉપરાંત સંસ્કૃત વાલ્મિકી રામાયણ, પાતંજલ યોગદર્શન, ગીતા, મુક્તિશાસ્ત્ર, મહાભારત, પાંડવયયશેન્દુચન્દ્રિકા (હિંદી) અને હરિરસ (ચારણી) એ ગ્રંથોના વાચને એમનું ઘડતર પુષ્ટ કર્યું. કાવ્યસાહિત્ય અને તત્ત્વજ્ઞાન એ એમના નિત્ય અભ્યાસના વિષયો છે. તત્ત્વજ્ઞાનમાં શ્રી. ગોદડિયા સ્વામીના, થીઑસૉફીમાં શ્રી. હરજીવન કાલિદાસ મહેતાના સંસર્ગની પોતાના જીવન પર પ્રબળ અસર પડી હોવાનું તેઓ સ્વીકારે છે. એ ઉપરાંત જે રાજ્યના પોતે રાજ્યકવિ છે તેના મહારાજા ભાવસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજી અને પ્રધાન સર પ્રભાશંકરની અસરનો પણ ઋણસ્વીકાર કરે છે. ઈ.સ૧૯૨૨માં એમનો પહેલો ગ્રંથ ‘શ્રેયસ્' બહાર પડ્યો. એમની કૃતિઓની સંપૂર્ણ યાદી નીચે પ્રમાણે છેઃ શ્રેયસ્ (૧૯૨૨), વિજ્ઞેય કાન્ત વલ્લરી (૧૯૨૫), કૃષ્ણકુમાર કાવ્યગ્રંથ (૧૯૩૧), દેવીસ્તુતિ (૧૯૩૬), હરદાન કાવ્ય ભાગ ૧ (૧૯૩૯), કૃષ્ણ મહારાજ કાવ્યગ્રંથ (૧૯૪૦), શક્તિદોહા શતક (૧૯૪૧).

***