zoom in zoom out toggle zoom 

< કવિલોકમાં

કવિલોકમાં/થોડાક સળગતા શબ્દો...

From Ekatra Wiki
Revision as of 06:32, 10 April 2025 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


થોડાક સળગતા શબ્દો...

નિરાંત, ગની દહીંવાલા, પ્રકા. પોતે, સુરત, ૧૯૮૧

પ્રૂફ વાંચતાંવાંચતાં પ્રેમ થઈ ગયો - ગનીભાઈની કવિતા સાથે.

ગનીભાઈ અને એમની કવિતાને મેં આજ સુધી કંઈક દૂરથી જ જોયેલાં. હમણાંહમણાં ગનીભાઈની નજીક આવવાનું થયું અને એમના વ્યક્તિત્વની મધુરપ સ્પર્શી ગઈ. 'નિરાંત'નાં પ્રૂફ પર એક નજર નાખવાનો પ્રસંગ આવ્યો અને ગનીભાઈની કવિતાની કેટલીક માર્મિકતા હાથે —ના, હૈયે — ચડી ગઈ. પ્રૂફની ભૂલો પકડવા માટે લયપાઠની કૂચી વધારે કામિયાબ લાગી; એ લયપાઠે જ શબ્દ-લય-અર્થનાં ઘણાં રસસ્થાનો ઉઘાડી આપ્યાં અને ગનીભાઈની કવિતામાં પહેલો પ્રવેશ થયો.

ગનીભાઈનો એક શેર છે :

આ શબ્દના વૈભવનું ફુલેકું છે, 'ગનીજી',
કંઈ અર્થ ભળ્યા હોત તો ફુલાઈ ગયું હોત.

હા, ગનીભાઈની કવિતા શબ્દના વૈભવનું ફુલેકું છે. ગનીભાઈની નાડમાં તો બોલાતી ગુજરાતી ભાષા છે. બોલાતી ગુજરાતી ભાષાના અનેક શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો, ‘લયલહેકાઓ એમની કવિતામાં જડી આવે છે - આ 'ફુલેકું' શબ્દ જ જુઓને! ઉપરાંત, ફારસી, સંસ્કૃત કે અંગ્રેજી શબ્દોનેયે આવશ્યક લાગ્યું ત્યાં ઉપયોગમાં લેવામાં એમણે સંકોચ અનુભવ્યો નથી, સંસ્કૃત તત્સમ શબ્દોનું પ્રમાણ તો ગણનાપાત્ર હોવાનું દેખાય છે. પણ ગનીભાઈ જુદીજુદી નાતની આ શબ્દાવલિને એકરાગથી સાથે બેસતી કરે છે અને એમની બાની પર એકંદરે ગુજરાતીપણાની એક પ્રબળ છાપ અંકાયેલી રહે છે.

ઉપરના શેરની બીજી પંક્તિના ક્રિયાતિપત્યર્થને આપણે ગનીભાઈની કવિતા સાથે જોડી નહીં શકીએ. ગનીભાઈની કવિતાના શબ્દોમાં અર્થ ભળ્યા છે, કેટલીયે વાર શબ્દોએ માર્મિક અર્થસંદર્ભો રચ્યા છે એટલે ગનીભાઈની કવિતાને ફુલાવાનો અધિકાર છે. પણ બીજા કવિઓ અનુભવતા હશે એવી એક મુશ્કેલી ગનીભાઈ અનુભવે છે :

એવી પરિસ્થિતિ મહીં હોઠ કદી મુકાઈ જાય,
શબ્દનું મન મનાવતાં અર્થનું દિલ દુભાઈ જાય.

એવું લાગે છે કે ગનીભાઈ ઘણી વાર શબ્દપ્રેરણાથી વર્તે છે. એથી વ્યાકરણીને મૂંઝવણ થાય એવું બને પણ કેટલીક વાર નવા સંદર્ભો અને પ્રયોગો પણ નીપજે છે. ગનીભાઈની કવિતામાં એક ભાષાપ્રયોગ જોઈને મારામાં રહેલો વ્યાકરણપ્રેમી પહેલાં તો ચમકી ગયો :

હરખનો કોઈ હળદોલોય ખમવાની નથી શક્તિ,
પવન આવ્યા પ્રથમ ઊઘડી ગયેલા દ્વાર જેવો છું.

‘પવન આવ્યા પહેલાં’ એવો પ્રયોગ આપણી ભાષામાં છે, પણ 'પવન આવ્યા પ્રથમ' એવો પ્રયોગ છે? પહેલાં તો આ જરા ખૂંચ્યું, પણ પંક્તિનું વારંવાર રટણ કરતાં એ મનને રુચી ગયું અને છેવટે તો એમ લાગ્યું કે કવિતામાં આ પ્રયોગ એક છટા ઊભી કરે છે! ગનીભાઈ તો કદાચ છંદની જરૂરિયાતથી ચાલ્યા હશે, પણ એમણે સહજપણે ગુજરાતી કાવ્યભાષાને એક નવો પ્રયોગ આપ્યો.

‘નિરાંત'નાં કાવ્યોનો લયપાઠ કરતાં એમાં જે લયવૈવિધ્ય નજરે પડ્યું તેનાથી પણ હું પ્રભાવિત થયો. 'વાયરો શોધે સગડ, / ચલ હે પથ્થર, ગબડ’ જેવા ત્રણેક શબ્દો સમાવતા ટૂંકા લયને તેમ ‘ઊકળતો એક ચરુ ચાલી નીકળ્યો છે, એનાં પગલાંની કોઈ દાઝ ખાશે, તો જોવા જેવી થાશે' એવો પંદર શબ્દો સુધી વિસ્તરતો અને ત્રણેક વાક્યોને સમાવતો દીર્ઘ લય પણ એ કુશળતાપૂર્વક સમાલી શકે છે. એક બાજુથી.

લાલ પીળો ને વાદળી, એના મૂળ સિતમના રંગ કહેવાય,
બાકીનાં દુ:ખ બધાં આપણાં મેળવણીથી થાય.

એમ દલપતરામીય લયમાં (અને શૈલીછટામાં પણ) નવો અર્થસંદર્ભ ભરી બતાવે છે, તો બીજી બાજુથી ‘અમે તો છીએ જનમના એક કિસમના...' એવા પરંપરિત પ્રકારના આધુનિક લયમાં પણ કામ કરી બતાવે છે.

ગનીભાઈની પ્રાસરચનાઓ અનાયાસ અને વૈવિધ્યભરી બની આવી છે. અહીં એમને એમનો શબ્દવૈભવ કામ આવ્યો છે. 'ગીત- સંગીત'નો પ્રાસ અહીં કેવળ અપવાદરૂપ છે. ગઝલમાં કાફિયા-રદીફની યોજના જરા વધારે કસોટી કરે એવી હોય છે, પણ ગનીભાઈને એની એટલીબધી ફાવટ છે કે ગીતમાં પણ એમણે અનેક વાર કાફિયા-રદીફની યોજના દાખલ કરી દીધી છે. દૃષ્ટાંત રૂપે જુઓ 'અલ્લાલાબેલી' 'રુક્કો નિમંત્રણનો' ‘એટલે નિરાંત’ ‘વાંસળીનું ગળું' જેવાં ગીતો. (ચાર ચરણનો છંદોબંધ મને ગઝલના મિજાજને અનુરૂપ જણાતો નથી અને તેથી એવી રચનાઓને હું ગીત કે અન્ય પ્રકારની છંદોબદ્ધ રચના તરીકે જોઉં છું.) રદીફો તરીકે ભાષાના સર્વ પ્રકારના શબ્દો પ્રયોજાયેલા જોવા મળે છે અને એમાં ‘હોં' અને ‘તો જોવા જેવી થાશે’ જેવા એકદમ તળપદા પ્રયોગોનો વિનિયોગ તરત ધ્યાન ખેંચે છે. ટૂંકમાં ગનીભાઈની ગીત-ગઝલ રચનાઓમાં સફાઈ અને તાજગી બંનેનો અનુભવ થાય છે.

અભિવ્યક્તિની સાદાઈ તેમ ઉક્તિવૈચિત્ર્ય બંને દ્વારા ગનીભાઈનું કામ ચાલે છે. એ રીતે એમણે સર્જેલાં કેટલાંક મનોરમ કલ્પનાચિત્રો, ઉઠાવેલી કેટલીક હૃદયંગમ ભાવછબીઓ અને પ્રકાશિત કરેલાં કેટલાંક સૂક્ષ્મ જીવનમર્મો જોઈએ :

  • આમ તો આણી મેર આવી ત્યારે કેટલો હતો દી,

ભાવ ભરેલાં દૂધથી આંચળ વાછરું ગયું પી,
કૂમળો એવો તડકો જાણે ગાવડી ચાવી ગૈ..…

  • જાળની અગણિત આંખોમાં અચંબો રહી ગયો.

તોરમાં ને તોરમાં આ મીન કેવું તરફડ્યું!

  • ‘સહજ હસો'નું સૂચન, તે પછી યથાવતતા,

પડી જ જાય છે મોઢું છબી પડાવ્યા બાદ,

  • એવી ઝંઝામાં ઊડવાનું સદ્ભાગ્ય ક્યાં.

જે ધરા પર કદી પાય પડવા ન દે.

  • ગની સૂક્ષ્મને સહારે ઘણી સ્થૂળતા જીવે છે.

અહીં પાંપણો ન ફરકે તો સૂરજ હવા ન પામે.

  • હકીકતે છે 'ગની', એ પ્રકાશનો જ પ્રકાર,

કે રાત રાત નથી રહેતી સ્વપ્ન આવ્યા બાદ.

  • હતું તો શૂન્યથી નીકળી શૂન્યમાં જાવું.

મફતમાં વાંકીચૂંકી લીટી દોરવા આપી.

ગનીભાઈની શક્તિઓનો ઉત્તમ પરિચય આપતી કેટલીક રચનાઓનો અહીં નિર્દેશ કરવો જોઈએ. પહેલી જ કૃતિ 'ચાલ મજાની આંબાવાડી' એક લાક્ષણિક કૃતિ છે. જીવનના માયાવી ખેલને કવિએ કેવી વેધક અભિવ્યક્તિ આપી છે! બોલચાલની શૈલીનો દ્વિરુક્ત પ્રયોગ અહીં કેવો સહજ રીતે અને અર્થસાધક રીતે ગોઠવાઈ ગયો છે! ‘મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ' એ તો માયામાંથી જાણે બાહ્મી સ્થિતિમાં કૂદકો છે! 'અલ્લાલાબેલી' પણ પાળિયા પાછળ સૂતેલી ધીંગાણાની સૃષ્ટિને કેટલીક માર્મિક રેખાઓ દ્વારા અને અનુરૂપ શબ્દલય દ્વારા આપણા ચિત્તમાં જીવતી કરી દેવાનો એક સમર્થ પ્રયાસ છે. 'મારી બૈ' એ, વળી, જુદી જ જાતની, તળપદા જીવનની મધુર મુલાયમ ઊર્મિને નજાકતથી અને સરલતાથી તળપદા ગીતલયમાં મઢી લેતી રચના છે. ‘એટલે નિરાંત' કવિની વિનમ્રંતા અને આકાંક્ષાને, જીવનાદર્શ અને કાવ્યાદર્શને આત્મકથનની આગવી છટાથી રજૂ કરતી કૃતિ છે. આ યાદીને ખુશીથી લંબાવી શકાય તેમ છે, પણ કાલે હું જ કદાચ થોડી જુદી યાદી કરું એટલે આ ભાવકો ઉપર જ છોડીએ.

'એટલે નિરાંત'માં કવિ કહે છે :
એક એક અક્ષરને ગોઠવતાં ગોઠવતાં
અમથી લંબાઈ ગઈ વારતા!
ગેબી કો' ગાયકના કંઠથી અગનઝરતી
ડાયરામાં ફૂલકણી ફોડી દઉં... એટલે નિરાંત.

ખરી વાત છે - કવિતાસર્જનમાં કેટલીક ગોઠવણી હોય છે, કેટલુંક અમસ્તાપણું હોય છે, કેટલુંક લંબાઈ ગયેલું હોય છે. અહીં પણ એવું ન જડે તો નવાઈ, પણ કોઈ ગેબી ગાયકના કંઠ પાસેથી પામેલા થોડાક સળગતા સ્વરો - શબ્દો કવિ આપણને આપી શક્યા હોય તોપણ એ ઓછી આનંદપ્રેરક ઘટના નથી. કાવ્યાસ્વાદકો એ થોડાક સળગતા સ્વરોનું સાન્નિધ્ય માણ્યા કરશે.

ગનીભાઈના એક શેરથી જ મારી વાત પૂરી કરું :

ક્ષર ને અક્ષર ચીતરી માર્યાનું આ પરિણામ છે :
આપણે વંચાવા લાગ્યા, જેને જેવું આવડ્યું!

ગનીભાઈ, મેં તમારી કવિતાને જેવી આવડી એવી વાંચી, બીજા વાચકો પણ એમ જ કરશે, પણ 'આપણે વંચાવા લાગ્યા' એમ કહેવાનું સદ્ભાગ્ય આપણે ત્યાં ઓછા કવિઓને પ્રાપ્ત થતું હોય છે, હોં!

૯ ઑગસ્ટ, ૧૯૮૧

‘નિરાંત', ગની દહીંવાલા, ૧૯૮૧