અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/રકતરંગી નીલિમા

From Ekatra Wiki
Revision as of 04:42, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રકતરંગી નીલિમા|પન્ના નાયક}} <poem> દિવસ અને રાતના સંધિકાળને ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રકતરંગી નીલિમા

પન્ના નાયક

દિવસ અને રાતના સંધિકાળને
નીરખવામાં
ખ્યાલેય ના રહ્યો
અણીદાર પથ્થર અને પગના સંયોગનો.
ધાર્યા કરતાં ઘા ઊંડો હતો.
ઘરમાં આવી
બ્લ્યૂ બાથટબમાં
નળ નીચે પગ ધર્યો
એ પહેલાં તો જાણે
ટબમાં નીલ ગગનના
સંધ્યાકાળના રક્તરંગ છંટકાઈ ગયા.
પળભર માટે દુઃખ વિસરાયું;
પાટો બાંધ્યો
પણ ધસી આવતા લોહીને પાટો ચૂસી ન શક્યો.
વહી જતા લોહીની મને ક્યાં નવાઈ છે?
દર ચાંદ્રમાસે આકાર ધર્યા વિના વહી જતું લોહી જોઉં છું
વહી જતું લોહી…
વહી જતી શક્તિની લાલિમા…
એ લાલિમા સાથે
હું જ
ઢળી જતી
બાથરૂમની આકાશી બ્લ્યૂ ફર્શ પર.