ભજનરસ/સોઈ માણેક

Revision as of 11:33, 12 May 2025 by MeghaBhavsar (talk | contribs)


સોઈ માણેક

સોઈ માણેક

સોઈ માણેક મેરી નમેં આયા,
જ્યાં રે દેખું છાયા તેરી રામ
સોઈ માણેક મેરી નજરુંમેં આયા.
ગવરીનો પુત્ર ગણેશ મનાવો રે,
હેતે હાલ હુલાવો રામ —
બાવન બજારું ને ચોરાસી ચૌટાં,
મારા સદ્ગુરુ ત્યાં રમૈયા રામ —
તલ ભર તાળાં ને રજ ભર કૂંચી,
મારા સદ્ગુરુએ ખોલ બતાયા રામ —
સંસાર-સાગર મહા જળ ભરિયો,
તારૂડે તાર મિલાયા રામ —
આ રે દેવળ છોડી કરીને,
દૂજા મહોલ બનાયા રામ-
મછંદર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા,
ખોજ્યા સોઈ નર પાયા રામ
સોઈ માણેક મેરી નમે આયાo

સોઈ માણેક

તે, તત્પદવાચી પરમ તત્ત્વ મારી નજરમાં આવી ગયું છે. તે કેવું છે? માણેક જેવું. મૂલ્યવાન, પ્રકાશમાન, સુદૃઢ. હવે જ્યાં જોઉં છું ત્યાં તેની પ્રતિચ્છાયા નજરે પડે છે. તે સર્વત્ર રમી રહ્યું છે. દરેક રૂપમાં રહેલું તેનું રૂપ મારી આંખોમાં વસી ગયું છે.

ગવરીનો પુત્ર ગણેશ

ગૌરીને પાર્વતી અને ગણેશને તેના પુત્ર તરીકે આપણે ઓળખીએ છીએ. શુભકર્તા અને વિઘ્નહર્તા ગણેશનું સ્થાન સહુ મંગલ કાર્યોમાં પહેલું છે. સાધનાના આરંભે પણ ગણેશની સ્થાપના કરવામાં આવે છે. મૂલાધારમાં તેનો વાસ ગણાય છે. યોગારંભે તેનું ધ્યાન ધરવામાં આવે છે. ગણેશને મનાવવા, તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવી તે પહેલું કર્તવ્ય. આ સામાન્ય અર્થ. પણ ગૌરી અને ગણેશનું સૂક્ષ્મ સ્વરૂપ છે. અહીં ગોરખની વાણીમાં એનો સિદ્ધ-સંકેત’ લાગે છે. આદિવાક્‌ને ગૌરી કહેવામાં આવે છે. આ ગૌરી જ પ્રથમ વિસ્ફોટથી સૃષ્ટિના જળમાં ભેદ-વિભેદ ઉત્પન્ન કરે છે. વૈદિક દૃષ્ટાઓ તેને ગાયના રંભધ્વનિ સાથે સરખાવે છે. ગૌરી: મિમાય સલિલાનિ તક્ષત્’ (ઋગ્વેદ ૧-૧૬૪-૪૧)-ગૌરી જલોને વિખૂટાં પાડતી ભાંભરે છે.’ આદિવાના આ રંભ’માંથી આરંભ શબ્દ ઉત્પન્ન થયો છે. આ સર્વપ્રથમ આરંભને આપણે ગણેશરૂપે આજે પણ યાદ કરીએ છીએ. પ્રથમ વિસ્ફોટિી વાક્ તે ગૌરી, તેનો ધ્વનિ તે ગણેશ. ગૌરીનો પુત્ર ગણેશ તે આદિ ધ્વનિ ૐકાર છે. ગણેશની મૂર્તિ ૐકારનું સ્થૂળ સ્વરૂપ. જ્ઞાનેશ્વરી ગીતાના પ્રારંભે બંનેની એકતાનું સુંદર વર્ણન છે.

હેતે હાલ હુલાવો

આ ૐકારને પ્રેમ અને પ્રાણથી આંદોલિત કરો. પારણામાં બાળકને ઝુલાવે તેમ આંતર-ચેતનામાં આ ધ્વનિને દોલાયમાન કરતાં શો અનુભવ થાય છે? એક જાતની યોગ-તંદ્રા ચિત્તનો કબજો લેવા માંડે છે. બાહ્ય જગતનું આક્રમણ સરી પડે છે. ઇન્દ્રિયોની પકડમાંથી મુક્ત બની ચિત્ત અંદરના ચિદ્ભાવ સાથે તલ્લીન થાય છે. અંતે જ્ઞાનનો ઉઘાડ થાય છે. તે ગણેશનો સાક્ષાત્કાર, જ્ઞાનાત્મક ચૈતન્ય જ સર્વાત્મ દૃષ્ટિનો ઉઘાડ કરે છે.

બાવન બજારું ને ચોરાસી ચૌટાં

બાવન શબ્દ વ્યક્ત જગત માટે વપરાય છે. તેથી પર તે ભજનવાણીમાં બાવનથી બા’રો. ચોરાસી ચૌટાં – એ બાવનની હદમાં રહેલો વિવિધ વિસ્તાર. બાવનરૂપી વ્યક્ત જગતમાં ચોરાસીરૂપી અનેક જન્મના ફેરા જીવ ખાધા કરે છે. આ નાશવંત અને અનેકવિધ જગતમાં અવિનાશી અને અદ્વૈત તત્ત્વનો અનુભવ કરવો એ મુક્તિ. ૐૐકારનું રટણ બાવનથી બા’ર, હદથી બેહદ ભણી લઈ જાય છે. બાવનનો સંબંધ વર્ણમાલાની પચાસ કે બાવન માતૃકા સાથે છે. મૂળ ધ્વનિ મૂળાક્ષરની વિવિધ સૃષ્ટિ રચે છે. કારમાં રહેલી ત્રણ માત્રા અ-ઉ-મ સઘળી શબ્દસૃષ્ટિ ને વસ્તુસૃષ્ટિની જનની છે. તેમાં પ્રથમ સ્વર ‘અ’ સહુમાં વ્યાપ્ત છે, સહુનો આધાર છે. અને બીજા બધા સ્વર-વ્યંજનોના વાઘા ઉતારી નાખવામાં આવે ત્યારે અંતે એ જ શેષ રહે છે. આ ‘અક્ષરબ્રહ્મ’નો પરિચય થતાં જેમ વર્ણમાલામાં અંતર્હિત રહેલું તત્ત્વ પામી શકાય છે તેમ વસ્તુજગતમાં પરમાત્માનું દર્શન થાય છે. સહુમાં અને સહુથી ૫૨ એ જ ચૈતન્ય રમતું દેખાય છે. પણ આ રહસ્ય ખોલવું કઈ રીતે? તેની ચાવી હવે પછીની કડીમાં આપી છે.

તલ ભર તાળાં ને રજ ભર કૂંચી આ રહસ્યનું તાળું તલ જેવડું નાનકડું છે અને તેને ઉઘાડવાની કૂંચી રજકણ જેવડી ઝીણી છે. સદ્ગુરુ તેનો કીમિયો બતાવી આપે છે. મોટા, ભારેખમ, નીરસ થવાથી આની ભાળ મળતી નથી. જેમ હળવા, ઝીણા, રસભરપૂર થવાય એમ તેની ઝાંખી થાય. તલમાં જેમ તેલ વ્યાપ્ત છે તેમ પરમ તત્ત્વ અણુએ અણુમાં વ્યાપી રહ્યું છે. ધીરાએ કાફીમાં કહ્યું છે : તલને ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન દધિ ઓથે ધૃત જ રે, વસ્તુ એમ છૂપી રહી. પોતાના અહંભાવનું મર્દન, જ્વલન કે મંથન કરવામાં આવે તો છૂપી વસ્તુ પ્રગટ થાય. ‘તલ’ને તાળું અને ‘રજ’ને કૂંચી કહેવામાં એક બારીક ઇશારો પણ છે. આંખની કીકીને તલ કહે છે. કીકી જોવા છતાં સત્ય-દર્શન કરતી નથી, તેથી તે રહસ્યને સંઘરી રાખતું તાળું છે. ગુરુ-ચરણની રજ એ તાળું ખોલતી કૂંચી છે. ગુરુસેવા, ગુરુકૃપા અંદરના ઘરને ખોલી અજવાળું ઝોકાર કરે છે એવું સંતંવચન છે. યારી સાહેબની વાણી છે : ગુરુ કે ચરન કી રજ લૈકે, મૈન કે બિચ અંજન દીયા તિમિર માંહિ ઉજિયાર હુઆ, નિરંકાર પિયાકો દેખી લીયા. ગોરખનાથે એક જગ્યાએ ‘તાળા-કૂંચી’ના રૂપક દ્વારા યોગક્રિયાનો સંકેત કર્યો છે : કૂંચી તાલી સુષમન રે, ઉલટિ જીભ્યા લઈ તાલૂ ઘરે ‘સુષુમણાને તાલીની, તાળવા ઉપરની કૂંચી બનાવે અને જીભને ઊલટી કરી તાળુ-મૂળમાં રાખવામાં આવે.’ અહીં યોગી ખેચરીમુદ્રા સાધી કેવી રીતે અમૃતપાન કરે છે તેનું નિરૂપણ છે. ઊર્ધ્વપ્રાણ સુષુમણામાં પ્રવેશ કરે છે ત્યારે સાથે વૃત્તિઓનું પણ ઊર્ધીકરણ થાય છે. છેવટે બ્રહ્મરન્ધનું વેધન થતાં દેહભાવનો નાશ થાય છે. ખેચરીમુદ્રા દ્વારા યોગી જે અમૃતરસનું પાન કરે છે તે આવા બ્રહ્મભાવની પ્રાપ્તિ છે. યોગ, જ્ઞાન કે ભક્તિસાધનાથી સુષુમણાની કૂંચી હાથ લાગે છે, ભ્રમનું તાળું તેનાથી ખૂલે છે. પરમાત્મા ક્યાંક બહાર છે એવી ભ્રમણા નાશ પામે છે. સંસાર-સાગર આ સંસાર અગાધ અને અપાર છે. સામાન્ય રીતે કોઈ તેનો તાગ લઈ શકે એમ નથી કે તેની પાર પહોંચી શકે એમ નથી. પણ મનુષ્યને સદ્ભાગ્યે કોઈ તારૂડા મળી આવે છે. તરીને પાર ઊતરનારા અને બીજાને તારનારા આ સિદ્ધજનો એવો તાર સાંધી આપે છે, જેનાથી લોકો પાર ઊતરી શકે. ભજનનો વ્યાપાર પણ એવો એક તાર છે. આ રે દેવળ જીવનું નિવાસસ્થાન માત્ર ભૌતિક દેહ કે જગત પૂરતું જ નથી. દેહભાવનો ત્યાગ થાય છે ત્યારે આત્મભાવે જાગી શકાય છે. પણ ત્યાગ વિના પ્રાપ્તિ નથી. ત્યાગે તેની આગે. ખોજ્યા સોઈ નર ગોરખ કહે છે કે આ જ્ઞાનની વાતો કરવાથી કાંઈ અર્થ ન સરે, એ તો ખોજે તે પામે, મયે તે મેળવે એવા સ્વાનુભવની કથા છે. ગોરખની વાણી છે ઃ માનિક પાયા, ફેરિ લુકાયા, ઝૂઠા વાદ-વિવાદ. ૫રમ તત્ત્વ રૂપી માણેક મેળવી લીધું પણ પછી તેને છુપાવી રાખ્યું. સહુને દેખાડવાનો શો અર્થ? કોઈને આંગળી ચીંધીને બતાવી શકાતું તો નથી. એને માટે ચર્ચાનું મેદાન નકામું છે. અંતરના એકાંતે ખોજ કરે એને તે મળે જ છે. કબીરની સાખે : ખોજી હોય તો તુરત મિલે હૈ પલ ભર કી તાલાસ મેં. </poem>