ભજનરસ/દીવડા વિના

From Ekatra Foundation
Revision as of 07:14, 23 May 2025 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


દીવડા વિના

દીવડા વિના રે અંધારું,
મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું

ખળભળ્યું દેવળ, ઊભી રહી થાંભલી રે,
ત્રાકું નહીં ઝીલે ભારું-

હાથમાં વાટકડી ને ઘરોઘર ઘૂમતી રે,
કોઈ તો આલો જે ઉધારું-

ઊઠી ગયો વાણિયો ને પડી રહી હાટડી રે,
જમડા કરે છે ધિંગાણું-
 
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
આવતા જમડાને પાછા વાળું.-

મંદિરિયામાં, દીવડા વિના રે અંધારું.

આત્મજ્યોતિ વિના જીવનમાં કેવો ગાઢ અંધકાર છવાઈ જાય છે અને અંતે મૃત્યુની કરાળ દાઢમાં ઓરાઈ જવાનું આવે છે તેનું અહીં ચિત્ર છે. આપણા આ કાયાના મંદિરમાં પોતાનો દીવો સવેળા પેટાવી લેવા માટે આ ભજન દ્વારા જાણે પડઘા પડતા આવે છે. સંતો કેટકેટલા વિવિધ પ્રકારે દીવો પ્રગટાવવા માટે આપણને સાદ પાડતા આવ્યા છે!

દિલમાં દીવો કરો રે દીવો કરો.
દયા દિવેલ, પ્રેમ પરણાયું લાવો,
માંહી સુરતાની દિવેટ બનાવો,
માંહી બ્રહ્માગ્નિને ચેતાવો રે.
*
દિલ ખોજીને કરો દીવડો રે
તમે ખોજીને સુંદર શરીર,
મારા વીરા રે, જનમ પહેલાં પ્યાલા પીધા હો જી.
*
સુન્ન મહલ મેં દિય ના બારિલે,
આસનસોં મત ડોલ રે.
*
દેહ નૈન બિન, રૈબ ચન્દ બિન, મંદિર દીપ બિના,
જૈસે પંડિત વેદ વિહીના, તૈસે પ્રાણી હરિનામ બિના,
સુમરન કર લે મેરે મના,

અસંખ્ય ભજનોમાં અનેક રીતે એક આ દીવો પેટાવવાની ચાવીઓ રણઝણે છે. દયા-પ્રેમનો વિસ્તાર કરો, અંતરમાં સારાસારનો વિચાર કરો, મનને નિર્વિચાર કરી અડગ આસન જમાવો. આ દીવા વિના કેટલી મોટી ખોટ છે એ તો જરા તપાસી જુઓ! હરનામ વિના બધું જ તેજ ને સૌન્દર્ય હારી જશો. આટઆટલા પુકાર છતાં આ જગતમાં આવીને પહેલું જ કરવાનું કામ આપણે વિસારે પાડીએ છીએ. પછી દેવળ ખળભળે અને જીવને ઊઠી જવાનું ટાણું આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય઼ છે. માનવ-દેહને મંદિર કહીએ ત્યાં જ ભાવનો કેવો ચમત્કાર સર્જાય છે.! દેહ પરથી આપણો હક ઊઠી જાય અને ત્યાં દેવ બિરાજે. પછી માત્ર દેહમાં દીવો નહીં, દેહ એટલે જ દીવો — પરમ સુંદરને નીરખવા માટે. રવીન્દ્રનાથે ગાયું છે :

આમાર એઈ દેહખાનિ તૂલે ઘરો,
તોમાર ઓઈ દેવાલયેર પ્રદીપ કરો.
... ...
વ્યથા મોર ઊઠબે જવલે ઊર્ધ્વ-પાને
આગુનેર પરશમણિ છૌંઆઓ પ્રાણે.

‘મારા આ દેહને ઊંચકી લો, એને તમારા દેવાલયયનો દીવો કરો. મારી વ્યથા ઊર્ધ્વ ભણી પ્રજ્વલી ઊઠશે. મારા પ્રાણને અગ્નિનો પારસમણિ અડાડો.’ કોને પોતાના મંદિરમાં દીવો કરવો ન હોય? પણ એ માટે તો અંદર આગ લગાડવી જોઈએ, પણ જરાક લાગી કે માણસ ભાગી છૂટે છે ને ભયમાંથી કદી મુક્ત થઈ શકતો નથી.

ખળભળ્યું દેવળ... નહીં ઝીલે ભારે

અવિનાશીના ઘરમાં રહેવું હશે તો આ કાચા મનનાં ચણતર કામ નહીં આવે. ત્રાટું-વાંસની ચીપ-કે ખજૂરીનાં પાંદની પડદી કેટલો ભાર ખમી શકે? આ તો કાયાનો કાચો કોટ છે. તેને ખળભળતાં શી વાર? શરીરની શોભા ને મુખની કાંતિ ધૂળમાં મળી જશે અને રહેશે થાંભલી જવું ઘડપિંજર. સતનામની ભીંતો હશે તો ભાર ઝીલશે અને હિપ્રેમના હીરા ઝગમગાટ કરી ઊઠશે. કબીર કહે છે :

આવો આવો દેશ અમાર રે ત્યાં તમે રહેજો નચિંત.
*
વિના બત્તીએ દીવડો જ્યું... નોબત વાગે હરિના નામની
અનહદ વચ્ચે નૂર.
કાયાનો કોટ હીરલે જ્ડયો, દૃઢ મન રાખે ધીર
ગુરુ રામાનંદનો બાળકો બોલ્યા દાસ કબીર,

બહારનાં સાધન ને સામગ્રીથી જે કાંઈ ઊભું થાય, તેમાં કાળની નોબત વાગે છે. જે સ્વયં પ્રગટી ઊઠે એમાં સનાતનનો નિવાસ. નરસિંહે પણ કહ્યું :

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી
અચળ ઝળકે સઘ અનળ દીવો.

કાચી સામગ્રી અને ટાંચાં સાધનથી આ મંદિરમાં અજવાળું નથી. થતું. અને હવે તો થાંભલી પણ ઢળી પડશે. ત્યારે શું કરવું? માણસ શું કરે છે?

હાથમાં વાટકડી.. આલો જે ઉધાર

હમણાં સાંજ ઢળશે, અંધારું ઘેરી વળશે એનું ભાન તો થયું. દીવો પેટાવવો જોઈએ એની જરૂર સમજાઈ ગઈ, પણ એને માટે નજર તો બહાર ભટક્યા કરે છે. કોઈ ગુરુમંત્ર આપે, કોઈ શક્તિપાત કરે, કોઈ સિદ્ધિનું પાવળું ભરી દે તો કામ થઈ જાય. કેટલી કથા-વાર્તા, કેટલાં દેવ-દેરાં, કેટલાં તીરથ અને મહંત-મહાત્માનાં દર્શન માટે દોટ મેલી! પણ આ વાટે ઊછી-ઉધારાનો વહેવાર નથી ચાલતો. કબીર કહે છે :

ઘર ઘર દીપક
લખે નહીં અંધ રે.

દીવો પેટાવો, જ્યોતિ કરો એ તો લૌકિક ભાષા છે. દીવો ક્યારે બુઝાયો છે કે કરવો પડે? નેત્રોનું અંધારું એ જ તો ઘરનું અંધારું છે. પોતાના ઘરની ખબર લીધા વિના અહીંતહીં ભટકવાથી કાંઈ વળતું નથી. મીરાંએ આ નિરંતર ઝળહળતો દીવો કેમ નજરે ચડે છે તેની જુક્તિ બતાવી છેઃ

સુરત નિરત દીવલો સંજો લે, મનસા કી કર લે બાતી,
પ્રેમહટી કા તેલ મંગા લે, ઝગ રહ્યા દિન-રાતી

સુરત — પ્રભુમાં તલ્લીનતા અને નિરત સંસાર વારાનામાંથી નિવૃત્તિ. બેઉ સાથે જ વણી દીવો સજાવી લે, શોભીતો કરી લે. એ માટે મન એ જ વાટ. જ્યાં સાટાં-દોઢાં, નફા-તોટા નથી ચાલતાં એ નિર્વ્યાજ પ્રેમની ાટનું તેલ પૂરો અંતરમાં. નિશદિન ઉજ્જ્વળ પ્રકાશતો દીવો નયને તરશે.

ઊઠી ગયો વાણિયો... કરે છે ધિંગાણું

પણ જે કાંઈ મુશ્કેલી છે તે અહીં જ છે. મનુષ્યનું મન વેપાર છોડી શકતું નથી. એ પોતાના લાભ તરફ ત્રાજવાની દાંડી નમાવે છે ને માર ખાધા જ કરે છે. કબીરે આ દશા જોઈ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું :

મન બનિયા બનિજ ન છૌડે.
જનમ જનમ કા મારા બનિયા
અજહૂં ન પૂરા તૌલે રે,

વાણિયો મોટે મારગે ઊપડી જશે, જે કાંઈ ધાઈ-ધૂતીને ભેળું કર્યું તે પડ્યું રહેશે અને મૃત્યુના દૂતોને હાથે હજી બાકી રહેલી વાસનાના ચાબખા ખાવા પડશે. જીવ પરાણે, અવશ ઘસડાતો જશે, પણ એ ઘડી આવે તે પહેલાં દિલમાં દીવો નહીં કરે.

બાઈ મીરાં... જમડાને પાછા વાળું

મીરાંએ ગોવર્ધનધારી નટવર નાગર આગળ બેસી નિરધાર કર્યો છે કે કદાચ યમદૂત આવે તોયે તેનું કાંઈ નહીં ચાલવા દે. મૃત્યુના ઘોર પડછાયા વચ્ચે પણ તેનું આનંદ-નૃત્ય ઝાંખું નહીં પડે. તેને ખબર છે કે કેવા સમર્થ ધણીના હાથ તેની રક્ષા કરવા હાજર છેઃ

પ્રેમ કરીને હૃદય-મંદિરે પધારો, વ્હાલા,
ન જોશો જાત, કુળ, વરણમાં, હો શામળિયાજી!
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, વ્હાલા,
આડે આવજો મારા મરણમાં, હો શામળિયાજી!