ચિરકુમારસભા/કૃતિ-પરિચય

Revision as of 15:38, 10 June 2025 by Akashsoni (talk | contribs)
કૃતિ-પરિચય

[[File:

કૃતિ-પરિચય : ચિરકુમાર સભા (અનુવાદ 1988)

રવીદ્રનાથની, હાસ્ય-કટાક્ષકેદ્રી બંગાળી નવલકથા ચિરકુમાર સભાનો આ એવો જ અસરકારક અનુવાદ છે. હાસ્ય-વિનોદની કથાનો અનુવાદ કરવાનું કામ કપરું હોય છે કેમ કે એમાં ભાષાના કાકુઓ અને મર્મો વધારે ઝીણવટથી પકડવાના હોય છે. રમણલાલ સોનીએ એ કામ એવા જ કૌશલથી કર્યું છે.

ચિરકુમાર સભા એ બ્રહ્મચર્ય-પાલન કરીને ને એમ લગ્ન-પરંપરાનો અસ્વીકાર કરીને દેશસેવા કરવા કટિબદ્ધ થયેલા નવયુવકોનું મંડળ છે. અવારનવાર સભાઓ યોજીને પોતાના વિચારોને દૃઢ કરવાનો એમનો સંકલ્પ છે. પરંતુ એ સંકલ્પ ધીમેધીમે તૂટતો જાય છે, ને છેવટે બધા જ યુવકો સમવયસ્ક યુવતીઓથી આકર્ષાતા ને લગ્નબદ્ધ થઈને સભા-ત્યાગ કરતા જાય છે! એની ખૂબ જ કુનેહપૂર્વકના ઠઠ્ઠાથી આ હાસ્યકથા રવીદ્રનાથે રચી છે. બ્રહ્મચર્યના એ વખતે જાણીતા થયેલા વ્રત પરનો લેખકનો કટાક્ષ પણ અછતો રહેતો નથી. આ નવલકથા પરથી બંગાળીમાં નાટક અને ફિલ્મ પણ બનેલાં.

નવલકથાનો હાસ્યરસ ખુલ્લા-મુખર હાસ્યથી લઈને માર્મિક-સાહિત્યિક નર્મના ઊંડાણ સુધી પહોંચતો રુચિર હાસ્યરસ છે. ખૂબ મરમાળો, વિદ્વાન અને શીઘ્ર કવિતા રચી લેતો એનો નાયક અક્ષય અને એની ત્રણે કુંવારી અને રુચિસંપન્ન સાળીઓ ચિરકુમાર સભામાં કેવું છીંડું પાડે છે એની કૌશલવાળી, સતત વિનોદમય રહેતી આ રસપ્રદ કથા વાંચવી શરૂ કર્યા પછી પૂરી કર્યેે જ છોડે એવી છે.

તો પ્રવેશો….


– રમણ સોની