અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/ભોમિયા વિના

From Ekatra Foundation
Revision as of 01:46, 15 June 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભોમિયા વિના — સિતાંશુ યશશ્ચંદ્ર

(‘શોધ’ — અંગે એક શોધસફરમાંથી)

….

સામે છેડે ખરી તલાશનું, સાચી શોધનું આ કાવ્ય જુઓ: ‘ભોમિયા વિના.’ એની એક પંક્તિ, ‘ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા’ એ પંક્તિ, ધ્યાનથી સાંભળો. ગીતની આ ઉપાંત્ય પંક્તિમાં આવતું ક્રિયાપદ છે, ‘ભમવી [છે]’. ચાર કડીના કાવ્યમાં એ એક ક્રિયાપદ ચૂક્યા તો આખા કાવ્યને ચૂક્યા. ‘મારે કંદરા ભમવી છે, ફરી ફરીને એક્સપ્લોર કરવી છે, એની અણદીઠી જગ્યાઓએ પહેલી વાર પહોંચીને ડુંગરાનાં એ ઊંડાણ જોવાં-અનુભવવાં છે’ એ અર્થમાં એ ક્રિયાપદ ત્યાં મુકાયું છે. કવિએ આખા કાવ્યમાં પહેલી વાર વર્તમાનકાળનો ઉપયોગ કર્યો છે. ‘ભમવા’તા’ ‘જોવી’તી’ એ બધાં ક્રિયાપદો ભૂતકાળસૂચક હતાં. જે ન થઈ શક્યું એનો ખેદ વ્યક્ત કરતાં. ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ — પણ એ ન બન્યું.

ઉપાંત્ય પંક્તિમાં ક્રિયાપદ ‘ભમવી [છે]’ એવું વર્તમાનકાળ-ભવિષ્યકાળસૂચક ક્રિયાપદ છે. પછી ‘રે’ આવે છે તે લટકણિયાનો નથી. એ ‘રે’નાં બે કામ છે: એ ગીતમાં ત્રણ ટૂંકો ભરી જે ખેદ વરતાય છે, એનું ઘનીભૂત રૂપ એ ‘રે’માં છે. ખેદ એનો છે કે ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ (પણ એ ન થયું.) એ ન થયાનો ખેદ આખા ગીતમાં વરતાય છે. ખેદનો એ ભાવ આ ઉપાંત્ય પંક્તિમાં ‘રે’-માં રેલાય છે. પણ એથી સાવ સામા છેડાનો ભાવ એ જ ‘રે’ દ્વારા જ અભિવ્યંજિત થાય એ માટેની પ્રયુક્તિ એ યુવાન કવિ વ્યાકરણમાંથી લઈ આવ્યા છે. પહેલી પંક્તિમાં ક્રિયાપદ છે: ‘ભમવા’તા’, એટલે કે ‘ભમવા હતા’. ઉપાંત્ય પંક્તિમાં, ઉપર નોંધ્યું તેમ, ક્રિયાપદ છે: ‘ભમવી [છે]’. પહેલી પંક્તિમાં (અને છેક છેલ્લી કડી શરૂ થાય ત્યાં સુધી) ક્રિયાપદ ભૂતકાળ-સૂચક છે. કવિએ, કાવ્યનાયકે, આ બધું કરવું હતું, પણ અરે! એમ ન થઈ શક્યું. (દશકાઓ પછી, ઈ. ૧૯૫૯માં લખેલા ‘શોધ’ કાવ્યમાં કહે છે તેમ, ‘સમય રહ્યો નહિ’ એટલે?) પણ, ફિકર નહીં, હજી છેલ્લી કડી બાકી છે — ગીતની. અને એ યુવાનની જિંદગીની તો ઘણી ‘કડીઓ’ (ત્યારે, એ ગીતના રચનાકાળે, ઈ. ૧૯૩૨માં) હજી બાકી છે! ગીતની છેલ્લી કડીમાં ક્રિયાપદનો કાળ બદલાય છે. બારમી પંક્તિમાં, ત્રીજી કડીને છેડે, ‘એકલો અટૂલો ઝાંખો પડ્યો’, એ પંક્તિમાં કાળ યોજના રસપ્રદ છે: ‘ઝાંખો પડ્યો [હતો] અથવા [છું]’ એમ બે શક્યતાઓ ખુલ્લી થાય છે. અને છેલ્લી કડી માટે પ્રવેશદ્વાર ખૂલે છે.

છેલ્લી કડીમાં ક્રિયાપદ ‘ભમવા’તા’ એમ નથી, ‘ભમવી’ એમ છે. ભૂતકાળ નહીં, ભવિષ્યકાળ. ‘ભમવી હતી’ નહીં, ‘હવે ભમવી છે’. ક્રિયાપદના આવા ભવિષ્યકાળ સૂચવતા પ્રયોગ પછી આવતા ‘રે’નું બીજું પ્રયોજન તે પેલા ખેદથી સામા છેડાનું, ઉમંગ સૂચવવાનું પ્રયોજન છે. કવિનો જે યુવા-સહજ, આગલા ખેદને હટાવતો, નવો ઉમંગ છે, એને ‘ભમવી રે’ એટલે કે ‘હજી તો ભમવી છે રે’, એવા કાકુ કે લહેકા વડે કવિ ધ્વનિત કરે છે. એ રીતે આ ગીતને અંતે કવિની શોધ (ડુંગરા ભમીને કોતરો અને કંદરા અને કુંજ કુંજને ભોમિયા વિના ખોળી કાઢવાની, જાતે જીવવાની ખોજ) પૂરી નથી થતી; એ તો હવે, કાવ્યાંતે, શરૂ થાય છે. કેમ કે એ ભોમિયા વિનાની ખોજ છે; એના અગાઉથી કોઈ બીજાએ (ગાંધી, અરવિંદ, માર્ક્સ, આમ્બેડકર, સંઘ, જમાત કે મૂડીવાદ-માર્કેટવાદે) લખેલા (ને ‘કવિએ’! સંતાડી રાખેલા), એવા તેવા કોઈ જવાબો, ઉકેલો અહીં છે જ નહીં. ‘ભોમિયા વિના’ કાવ્યમાં, કોઈ ભોમિયો ક્યાંય સંતાઈને બેટો નથી, કાવ્યાંતે હાઊક કરીને વાચકને સામો આવવા માટે!

(આત્માની માતૃભાષા)