હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/મારાં વચન

From Ekatra Foundation
Revision as of 00:57, 22 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
મારાં વચન

મારાં વચન જો માર્ગના પર્વત થઈ જશે,
તો કાલ આવનારને આફત થઈ જશે.

બોલું નહીં, તો ભીરુતા મારી પ્રગટ થશે,
બોલીશ તો એ મારી બગાવત થઈ જશે.

તૂટી પડે યુગોથી અવિચળ ખડક છતાં,
જળની સપાટી પળમાં યથાવત્ થઈ જશે.

ક્યાં ક્યાં લઈને હું ફરું મારા વિષાદને?
કાગળ ઉપર મૂકીશ તો વસિયત થઈ જશે.

આ શેર કંઈ અગમ્ય ને આછો રહે તો બસ,
બનશે બહુ સચોટ તો કહેવત થઈ જશે.
આખરે ૭