પ્રતિપદા/૪. વિનોદ જોશી
૪. વિનોદ જોશી
કાવ્યસંગ્રહોઃ
પરંતુ, ઝાલર વાગે જૂઠડી, શિખંડી અને તુણ્ડિલતુણ્ડિકા
પરિચય:
ગુજરાતી ભાષા સાહિત્યના નીવડેલા પ્રશિષ્ટ અધ્યાપક, હાલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ. પ્રભાવક વિષયનિષ્ઠ વક્તા, વિનયન શાખાના ડીન. એમની કાવ્યરાશિઃ લોકગીતની રસદીપ્તિથી વિલસતાં ગીતો, સંસ્કૃતવૃત્તબદ્ધ રચનાઓ ને પ્રલંબ પદ્યવાર્તા. મુખ્યત્વે નારીની વિવિધ ઊર્મિમુદ્રાઓને તળપદ લય અને લાલિત્યથી ગીતોમાં આલેખતા કવિ તરીકે સિદ્ધ-પ્રસિદ્ધ. એમના ગીતનો લય સંગીત સાથે વિશેષ આત્મીયતા ધરાવે છે તેથી તે એ ગીતો ઊલટભેર ગવાયાં છે ને ગવાતાં રહે છે. રમેશ-અનિલ પછીની પેઢીના નોખી અનોખી લાલિત્યમુદ્રા ધરાવતા ગીતકવિ. હસ્તાક્ષરમાં કવિતા વાંચતાં અજબ તૃપ્તિ થાય તેવા ખુશનવીસ કવિ. દેશભરમાં તેમજ યુએસએ, કેનેડા, ચીન, થાઈલેન્ડ અને પૂર્વ આફ્રિકામાં કાવ્યપાઠ કર્યો છે. અખબારોમાં સ્તંભલેખન પણ કર્યું છે. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રતિનિધિ રૂપે ચીનનો સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવાસ. સાહિત્ય અકાદમીના ગુજરાતી ભાષાના પૂર્વ કન્વીનર. મહુવાના વાર્ષિક સાહિત્યોત્સવ ‘અસ્મિતાપર્વ’ના સહઆયોજક. આ ઉપરાંત ઘણી બધી સાંસ્કૃતિક-સાહિત્યિક સંસ્થાઓના સભ્ય. વિવેચન અને સિદ્ધાંતવિચારના ગ્રંથો પણ લખ્યા છે.