અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/આકાશનું ગીત
આકાશનું ગીત
અનિલ જોશી
—કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?
ગોફણથી છૂટતો પથ્થર થઈને ક્યાંય
પટકાતો ભોંય મને લાગું:
ગુલમ્હોરી ડાળખીના લીલા આકારને
ઝૂકી ઝૂકીને તો ય માગું;
કલરવની સુંદરીને લઈને પસાર થતી
જોઈ લઉં પોપટની પાલખી.
વગડાનું ઘાસ નથી માગ્યું સખી, કે
નથી માગી મેં પર્વતની ધાર,
ચકલીનો નાનકો ઉતારો આપીને તમે
લઈ લ્યોને ઊડતો વિસ્તાર!
નીકળતા વાયરે ચડતી પતંગના
કાગળમાં ગીત દઉં આળખી.