અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/છેલ્લી સલામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
છેલ્લી સલામ

ઝવેરચંદ મેઘાણી



સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે'જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો...જી!
મળાયું ન તેને સહુને માફામાફ કે'જો, ને
રુદિયામાં રાખી અમને રે'જો હો...જી!
— સો સો રે સલામું


ટીપેટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,
પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી —
એવા પાપ-દાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા — ઠરશે ન જી!
— સો સો રે સલામું


કીધાં ખાખ ખાંડવવનને પાંડુ તણા પુત્રે તે દી
નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો...જી:
આદુનાં નિવાસી એ તો આ રે આર્ય ભોમ કેરાં,
પૂર્વજ મારાને પાપે ઓરાણાં હો...જી!
— સો સો રે સલામું


રઘુપતિ રામ મારા રુદાનો વિસામો — એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો...જી:
પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો...જી!
— સો સો રે સલામું


છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથ્વીના પેટમાં, ને
અસૂરો કહીને કાઢ્યાં વનવાસ જી:
જીવતાંને કાજે જુદી નરકું બંધાવિયું, ને
સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી.
— સો સો રે સલામું


સમર્થોની સત્તા, સંતો, ધુતારાની ધૂતણબાજી,
કૂડિયા ગુરુની કૈં કૈં કરામાત જી:
એની તો વણાવી ધીંગી ધરમધજાઓ, એને
ભાંડુ કેરે રગતે રંગી ભલી ભાત જી.
— સો સો રે સલામું


એવી એવી ઝડીઓ મારાં સહોદરો ઝીલતાં, ને
ધરમધજા કેરે ક્યારે સિંચાણાં હો...જી:
રુદામાં શમાવી સરવે રુદનપિયાલા, વા'લાં
હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો...જી.
— સો સો રે સલામું


રથના સારથીડા — સુણજો, સાધુ ને ગુસાંઈ સરવે,
કડાકા કરે છે રથની ધરીઓ હો...જી:
જુઓ જુઓ જુગનો ભેરવ ઊભો વાટ ખાળી આજે,
ભીતર તો નિહાળો: હરિ ક્યાં પળિયો હો ...જી.
— સો સો રે સલામું


જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો, ને
ધરમ કેરા ધારણ-કાંટા માંડે હો...જી:
સતને ત્રાજવડે મારાં કલેજાં ચડાવિયાં મેં,
શીશ તો નમાવ્યું શાસનદંડે હો...જી.
— સો સો રે સલામું


હરિ કેરાં તેડાં અમને — આવી છે વધામણી રે,
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો...જી;
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા'લાં!
રખે કોઈ રોકે નયણાં રડીને હો...જી!
— સો સો રે સલામું

(1928)


- અર્જુને ખાંડવવન સળગાવી સર્પોને નહિ, પણ 'નાગ' નામની અનાર્ય માનવજાતિને ભસ્મીભૂત કરી હતી -- કેવળ એ આદિ-નિવાસીઓનો પ્રદેશ પચાવી પાડવા. - બ્રાહ્મણે આવીને પોકાર કર્યો કે શમ્બૂક નામના એક શૂદ્રે તપશ્ચર્યા માંડી છે તે કારણે મારો પુત્ર મૃત્યુ પામે છે! તે પરથી રામચંદ્રે એ તપસ્વીનો શિરચ્છેદ કરેલો. - મહાત્માજીના શબ્દો: 'I have laid down my life upon the scales of justice.' નોંધ: "બ્રિટિશ મહાસચિવના કોમી ચુકાદા સામે ગાંધીજીએ અનશન વ્રત લીધું ત્યારે આ [કાવ્ય] ગાંધીજીને મોકલ્યું હતું. તેના જવાબમાં એમનું એક પત્તું મળેલું કે 'તમારી પ્રસાદી મળી. કવિતા સમજવાની મારી શક્તિ નહિ જેવી છે. પણ તમે મને ગોળમેજીમાં જતી વખતે જે પ્રસાદી ['છેલ્લો કટોરો'] મોકલેલી તે મને બહુ ગમેલી. તેની જોડે હું આને મૂકી શકતો નથી.'" — કવિ. (1933, 'યુગવંદના'માંથી)