અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/અભિનવો આનંદ કાવ્ય વિશે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અભિનવો આનંદ કાવ્ય વિશે

મનસુખલાલ ઝવેરી

અખો
અભિનવો આનંદ

અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હોવું એ

આપણે ખાઈએ છીએ, પીએ છીએ, પહેરીએ ઓઢીએ છીએ, હરીએ ફરીએ છીએ, આ બધું આપણે કરતાં હોઈએ છીએ, એ બધું કરતાં આપણને આનંદ થતો હોય છે તેટલા માટે, આપણે નાટકો જોઈએ છીએ, ફિલ્મો જોતાં હોઈએ છીએ, કાવ્યો અને નવલકથા આદિ વાંચતાં હોઈએ છીએ, શિલ્પ-સ્થાપત્યની મનોરમ કૃતિઓ જોઈએ છીએ, સંગીત સાંભળીએ છીએ. આ બધું પણ આપણે કરતાં હોઈએ છીએ, એ બધું કરતાં, આપણને આનંદ થતો હોય છે તેટલા માટે.

પેલા ખાવાપીવા વગેરેના આનંદો કરતાં આ કલાસૌન્દર્યના આસ્વાદનો આનંદ જુદા પ્રકારનો છે. જુદા પ્રકારનો છે એટલું જ નહિ. ચડિયાતા પ્રકારનો પણ છે; કારણ કે પેલા આનંદો કરતાં આ આનંદ વધારે સ્થાયી ને વધારે સત્વશીલ, વધારે ચિરંજીવ છે.

પણ એ આનંદ કરતાં પણ વધારે મહાન ને વધારે અવર્ણનીય આનંદ મનુષ્યને થતો હોય છે જ્યારે એને એક અને અદ્વિતીય પરમ તત્ત્વનો—બ્રહ્મનો—સાક્ષાત્કાર થાય છે ત્યારે.

જે પરમ તત્ત્વ આ પંચમહાભૂતાત્મક જગતના અણુએ અણુમાં રહ્યું છે એટલું જ નહિ પણ પંચમહાભૂતાત્મક જગતની પાર પણ રહ્યું છે, તે જ્યારે ગોચર થાય છે, પ્રત્યક્ષ અનુભૂતિવિષય થાય છે ત્યારે મનુષ્યને કોઈ નવા જ પ્રકારનો આનંદ થતો હોય છે. તેણે જે આનંદો જોયા હોય છે તેના કરતાં એ આનંદ જુદા ને અલૌકિક પ્રકારનો હોય છે.

એ પરમતત્ત્વ બ્રહ્મ જ્યારે સ્વાનુભૂતિનો વિષય બને છે ત્યારે મનુષ્યને ભાન થાય છે કે એ બ્રહ્મ ચૈતન્યધન છે; અને પરિપૂર્ણ છે. નથી એમાં ક્યારેય કશું પણ ઉમેરાતું; નથી એમાંથી ક્યારેય કશું પણ ઓછું થતું. સમય શૂન્ય એ એક જ તત્ત્વથી ભરાયું છે. એના સિવાય ક્યાંય પણ કશું પણ છે જ નહિ. એ તત્ત્વ છે કોટિ કોટિ સૂર્ય જેવું, સદાકાળ ઝળહળતું ને ઉદય કે અસ્ત વિનાનું. એ જ્યોતિર્મય, સર્વવ્યાપી, સર્વાધાર, અવિનાશી ચૈતન્યધન બ્રહ્મનું વર્ણન વાણીદ્વારા થઈ શકે તેમ નથી. એ તત્ત્વસિવાય બીજું કશું જ ન હોવાથી, એને વિરાટ કે વામન, કંઈ જ કહી શકાય તેમ નથી; કારણ કે બીજા કશાકની સાથે સરખામણી કર્યા વિના ખબર શી રીતે પડે કે અમુક વસ્તુ નાની છે કે મોટી? ટૂંકી છે કે લાંબી? અને અહીં એ ચૈતન્યધન તત્ત્વ સિવાય બીજું છે શું, કે જેની સાથે તેની સરખામણી કરીને તેને વિરાટ કે વામન તરીકે વર્ણવી શકાય?

જે એક જ તત્ત્વનું અસ્તિત્વ છે ને જે ચૈતન્યઘન છે તેની અનુભૂતિ થતાં કવિને પરમ આનંદ થાય છે. અને એ આનંદનું ગાન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે.

(આપણાં ઊર્મિ-કાવ્યો)