અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/નયણાં કાવ્ય વિશે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નયણાં કાવ્ય વિશે

ચંદ્રકાન્ત શેઠ

નયણાં
વેણીભાઈ પુરોહિત

ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં—

ગુજરાતી સાહિત્યમાં ગીતની વાત કરતાં કવિ શ્રી વેણીભાઈ પુરોહિતનું નામ-કામ તુરત યાદ આવે. ગુજરાતી ફિલ્મી ગીતથી માંડીને પ્રશિષ્ટ ગીત સુધીની એમની ગતિ – એમની પહોંચ, કોઈના રૂપની પૂનમમાં પાગલ થઈ શકનારા આ કવિ હરિદર્શનની હેલમાંયે હેલે ચડે એવા! ગુજરાતી ગીત-કવિતામાં રોમેન્ટિક ઊર્મિ-આવેગવાળા એમના જેવા કવિઓ પ્રમાણમાં તો ઓછા જ.

એમનું એક સુંદર સુગેય ગીત છે `નયણાં’. ખૂબ ગવાયું છે; તેથી તો લોકસાહિત્યમાળાના મણકામાં એ લોકગીત તરીકે પણ લેવાઈ ગયું છે! અલબત્ત, આ કવિનાં ગીતોમાં લોકગીતની લયઢાળ, બાની, મસ્તીમિજાજ જેવી અનેક લાક્ષણિકતાઓ જરૂર જોવા મળે છે. એમણે લોકપ્રિયતા સાથે લોકોત્રરતા પણ સાચવી હોય એવાં જે કેટલાંક રમણીય ઉદાહરણો છે તેમાંનું એક ઉદાહરણ તે આ `નયણાં’ નામનું ગીત.

આ ગીતનો વિષય જ આરૂઢ છે. જે રીતે આ કાવ્યમાં `આંખ’ની રજૂઆત થઈ છે તે અપૂર્વ છે. મીન જેવી સુંદર આંખોને અનુલક્ષીને `મીનાક્ષી’ શબ્દ તો કેટલીયે વાર પ્રયોજાતો રહ્યો છે; પરંતુ એ હવે એટલો રૂઢ કે એમાં કોઈને કાવ્ય-સૌંદર્યની ચમત્કૃતિનો અનુભવ થતો નથી; પરંતુ એ જ મીનનું-માછલાનું ઓઠું લઈને વેણીભાઈએ જે રીતે પ્રસ્તુત ગીતને ઉપાડ્યું છે તેથી તો સાચે જ મર્મસ્પર્શી થયેલું જણાય છે. વેણીભાઈએ તો નયણાંને સીધાં જ માછલાં તરીકે ઓળખાવ્યાં છે; એ માછલાંય પાછાં ઊનાં પાણીનાં એટલે કે આંસુનાં; માટે તો એ `અદ્ભુત’ છે – અસામાન્ય છે. આ એવાં માછલાં છે, જે ઊનાં પાણીમાં જીવે છે. ઊનું પાણી – આંસુ એ જ એમનું જીવન છે. આ નયણાંમાં અસીમ આકાશની આર્દ્રતા, તો સાથે આત્માનું અજવાળું પણ ચમકતું નજરે ચઢે છે. આંતરબાહ્ય વિશ્વમાં એની દૃષ્ટિ અબાધિતપણે વિલસી શકે છે. આંતરબાહ્ય વિશ્વનો ઉજાશ-ઉઘાડ એ દ્વાર પામી શકાય છે. આ આંખો ચર્મચક્ષુ તરીકે તો કાચનાં કાચલાં જેવી ભંગુર છે પણ એ જ આંખો અંતદૃષ્ટિની સચ્ચાઈને ગહરાઈ સુધી – શાશ્વતી સુધી એના દર્શનાર્થીને લઈ જવાની ક્ષમતા શક્તિયે ધરાવે છે.

આ આંખો વેદનાનાં આંસુએ જ અમિયલ લાગે છે. માનવહૃદયમાં ઊછળતી વડવાનલની આગ એને દહે છે. એને ઊનાં આંસુએ ઊભરાવી દે છે અને છતાંય એ એનું દૃષ્ટિ-તેજ ગુમાવતી નથી; બલકે એ એની વિશેષ વેધકતા, સૂક્ષ્મતા ને ગહનતા દાખવી રહે છે. છીછરાં લાગતાં ચર્મચક્ષુ માનવહૃદયની વેદનાગર્ભ ગહરાઈનાંયે ખરેખરાં દ્યોતક બની રહે છે. માનવમનની એ ગહરાઈનો તાગ મેળવવો તો અશક્ય જ છે. મનુષ્યની નાની શી આંખો – એનાં ચર્મચક્ષુઓ જે બધું જુએ છે, પામે છે એનો પૂરો અંદાજ પામવો શક્ય નથી. તેથી તો ઉપેન્દ્રાચાર્ય જેવાએ મનુષ્યની આંખોને `અજબ’ કહેલી; આપણા આ કવિ એ જ માર્ગે આગળ વધીને મનુષ્યની આંખોને `અદ્ભુત’ કહે છે – માછલાં જેવી ચંચળ ને ઊનાં પાણીમાંયે તરવરતી – ચમકતી, મનુષ્યને અંતરતમ ગહરાઈમાં ને વૈશ્વિક ઊંચાઈમાં પ્રેરી-દોરી શકે એવી સક્ષમ ને સમર્થ! આવેદનાની આગને જીરવી શકનારાં જિંદાદિલીભર્યાં સબળ નયણાં જ મનુષ્યના કે ઉન્નયનનાં પ્રેરક ને માર્ગદર્શક થાય છે – અગ્નિગર્ભ દીપશિખાની જેમ જ.

આ આંખો મનની બારીઓ જેવી છે. આ આંખોમાં કંઈ કંઈ સ્વપ્નાંનો સંચાર પણ જોવા મળે છે. જે મનુષ્યના જીવનમાં સ્વપ્ન જ ન હોય એને ખાલીખમ જ સમજવો જોઈએ. જે બાળકો વિનાનું ઘર ખાવા ધાય તેમ સ્વપ્નાં વિનાની આંખો ભેંકાર લાગે. જે આંખોમાં નમણાં-રૂપાળાં બાળકોની જેમ સ્વપ્નાંનો મસ્તીભર્યો લીલાવિહાર હોય તે આંખો ભરી ભરી મધુરમીઠી લાગે છે. આ કવિ એવી સ્વપ્નભરી આંખોના આશક અને ગાયક છે. તેઓ આંખોની ચમકમાંય જેમ આંસુની તેમ સ્વપ્નાંની ચમક પણ ભળી ગયેલી પ્રતીત કરે છે. એ નથી ચ્છિતા કે મનુષ્યની આંખોનાં અદ્ભુત માછલાં સપનાંના સંગરંગ વિનાનાં હોય.

આ નયણાં એ જ દીવા, મનુષ્યના દેહરૂપી બંગલાના તેમ એના સંસાર જીવનના – અધ્યાત્મજીવનના માર્ગના, ચર્મચક્ષુથી આંતરચક્ષુ સુધીની ઉત્તરોત્તર ચડતી, ક્રમિક સોપાનમાળાના, મનુષ્યનાં આ નયણાંના દીવાની અદ્ભુતતા – ખૂબી કે કેવીક છે? સામાન્ય દીવા બળે ડળે – ઝળહળે તેલ-ઘીથી; જ્યારે આ નયણાંના દીવા તો બલે જળે – ઝળહળે છે અશ્રુ જળે! આ દીવાઓનું સત્ત્વ તેજ તો આંતરવેદનાને આભારી છે! જીવનની જ યમુનામાં આ દીવાઓ સૌંદર્ય ને તેજ પૂરે ચે – વેદનામય તપના બળે. આ નયમાંમાં જાતજાતની રંગ-ચમક જોવા મળે છે. ક્યારેક એ હસતાં હોય છે, ક્યારેક પ્રણય તોફાને શમશે એ નાચતાંયે હોય છે તો ક્યારેક આશ્ચર્યમાં વિસ્ફારિત થતાં કે ભક્તિભાવનામાં વિનત પણ થતાં હોય છે. આ નયણાં ક્રોધની આગ દાખવે છે તો ક્યારકે કરુણાની શીળપ પણ દાખવે છે. આ આંખોમાં ઉન્મત્તતાના ઉછાળ કે વિલાસના ઝાકઝમાળ હોય છે તો એમાં પ્રભુભક્તિની આરત ને પ્રભુમિલન માટેનો તલસાટ પણ હોય છે. આ નયણાંમાં દ્વેષ, અસૂયા, આશંકા આદિનાં વિષ પણ ઘોળાતાં જણાય છે તો એમાંથી પ્રેમરસના, ભક્તિરસનાં અમૃત પણ ઊભરાતાં વરતાય છે. એ રીતે આ ઊના પાણીમાં જીવતાં, તરતાં – સહેલતાં માછલાંની જીવનલીલાયે અનોખી ને અદ્ભુત છે. આ ઊનાં પાણીનાં અદ્ભુત માછલાંની ગતિવિધિનું દર્શન કરતાં કરતાં મત્સ્યાવતારી પરમાત્માનાં દર્શન સુધીયે પહોંચી શકાય! જેણે આપણા પંડના સરોવરમાં આવાં માછલાં તરતાં મૂક્યાં એ આપણને વખત આવ્યે તરાવીને તારી પણ શકે! માટે જ આ નયણાંની અદ્ભુતતા નીરખતાં નીરખતાં આ નયણાં દેનારની અદ્ભુતતા નીરખતા પણ આપણે થઈ શકીએ!

આપણાં દુઃખો, આપણી વેદના, આપણાં આંસુ, આપણી બળતરા – આ બધાંમાં એવું જીવન-સત્ત્વ છે, જે ન કેવળ આપણાં આ સ્થૂળ નયણાંને કે આપણા ચર્મચક્ષુને, પણ આપણાં આંતરચક્ષુનેય તેજ-બળે સંચારિત કરી, સંસારજીવન અને અધ્યાત્મજીવનની વાટે પ્રેરી-દોરી આપણામાંના દૃષ્ટવ્યનેય દાખવીને રહે!

આમ, આ કાવ્યમાં કવિએ `નયણાં’ને નિમિત્તે જીવનની લીલપ, જીવનની મીઠપ વેદનાની આદ્રતામાં હોવાનું સૂચવ્યું જ છે. જીવનની શક્તિ અને શ્રી અશ્રુજળે પ્રાદુર્ભાવ પામતી ને પુષ્ટ થતી લાગે છે. મહાન સર્જનોના મૂળમાં વેદનાનાં આંસુ હોય છે; પરમાત્માના `મનુષ્ય’ રૂપ મહાસર્જન માટેય આ વાત સાચી છે. માણસાઈની શ્રી અને શક્તિ અશ્રુજળે સિંચાતી લાગે છે. અસુબન સિંચ સિંચ પ્રેમવેલ જ નહીં; જીવનવેલી પઉ ઊછરતી ને વિસ્તરતી-વિકસતી હોય છે. કવિ આ સત્ય અહીં ઊનાં પાણીનાં અદ્ભુત માછલાંરૂપ નયણાંને અનુલક્ષીને વ્યંજિત કરે છે. આપણે ઊનાં પાણીનાં અદ્ભુત માછલાંરૂપ આપણાં નયણાંને બરોબર ઓળખીને હવે શાંત-પ્રસન્ન ગતિપ્રતિ પ્રેરવા ઉદ્યત થઈએ.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)