અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/પ્રકૃતિની કમનીય કવિતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રકૃતિની કમનીય કવિતા

હરીન્દ્ર દવે

ચાંદની
બાલમુકુન્દ દવે

શરદરજની ધીરે ધીરે ગળાઈચળાઈને

ગુજરાતી કવિતા પ્રકૃતિ પાસે વધુ નથી ગઈ. ગઈ છે ત્યારે પણ પ્રકૃતિ સાથે ભાગ્યે જ ઘરોબો બાંધ્યો છે, પરંતુ એવી વિરલ ક્ષણો આપણી પાસે છે જ્યારે કવિતા પ્રકૃતિના વાતાવરણમાં નીડ બાંધી શકી છે.

‘ચાંદની’ એક આવી કવિતા છે અહીં ‘ચાંદની’ એ પ્રેમગીતો અને પ્રેમકથાઓમાં ચપટ બની ગયેલો શબ્દ નથી, જીવંત અનુભવ પ્રથમ પંક્તિથી જ આરંભાઈ જાય છે.

ચાંદનીની પ્રકૃતિ શીળી છે. એ આવે ત્યારે ધીરે ધીરે જાણે પારદર્શક આકાશમાંથી ગળાઈને ચળાઈને આવતી હોય એવી લાગે છે. અહીં ચાંદનીના પૂર્ણ પ્રાકટ્યની કવિતા છેઃ આ ‘બીજના ઝરુખડે ઝાઝેરો ઘૂમટો તાણી ચૂકેલી પૂર્ણિમા’ની વાત નથીઃ ચાંદની ઊઘડે છે—પણ શબ્દોમાં એની વાત કઈ રીતે કહી શકાય? ઝાઝા શબ્દો ખપ લાગે એમ નથી, એટલે ‘અજબ’ એ એક જ શબ્દથી કવિ કામ લે છે.

ચાંદની આમ તો અમૂર્ત છે પણ તેને મૂર્ત પરિણામ કવિ આપે છે. એને પ્રથમ ‘કપૂર ધવલા’ કહે છેઃ પછી એના મૃદુ સ્મિતનો પરિચય કરાવે છે.

ચાંદનીના તેજમાં પૃથક ઘટકો પરસ્પરમાં ગળી જાય છે. ચાંદનીમાં ગળવું એ સૂર્યના તડકામાં પીગળવા કરતાં જુદી જ ભૂમિકાનો અનુભવ છે. અને પૃથકતામાં જે વિફળતા છે, એનો તાદાત્મ્યમાં લય થાય છે. માણસ પણ જ્યારે એકાકાર બને ત્યારે જ એનું ખરું રૂપ પ્રકટે છે. દિવસના અજવાળે જે કંઈ વિરૂપ દેખાતું હતું—એ બધું ચાંદનીના તેજમાં એકમેકમાં ગળી જઈ સોહામણું બની જાય છે.

અને આ નીતરતી, ભીંજવતી ચાંદની વચ્ચે ચન્દ્ર કેવો લાગે છે? જગતની ત્રાંબાકૂંડીમાં ચાંદનીનું જળ ભરી જાણે તેમાં સ્નાન કરવા એ સરતો હોય એવો.

મકાનોની મેડીએ સૂતેલાં મીઠાં યુગલો પર ક્યાંક બારીની તિરાડમાંથી એ છાપરાંમાંના છિદ્રમાંની ચાંદનીનું અમૃત નરી મમતા વરસાવે છેઃ સહજ અમથાં છિદ્રો માત્ર સ્થૂલ મકાનનાં જ નહીં, માનવીનાં પણ હોઈ શકે. માનવી પૂર્ણ નથી, છતાં એની અપૂર્ણતા પ્રત્યેના સમભાવમાંથી સ્નેહનું અમૃત પ્રાપ્ત થાય છે. ટાગોરે પણ કહ્યું હતુંઃ ‘My last salutations are to those, who knew me imperfect and yet loved me.’ કવિ પણ એ જ વાત કરે છે; ‘સહજ અમથાં છિદ્રોથી યે નરી મમતા દ્રવે.’

હવે ચાંદની માટે કવિ ‘ચાંદની’ શબ્દ પણ વાપરતા નથી. રમણીયતા અને કમનીયતા એના પર્યાયો બની જાય છે. જગ સકલની ત્રાંબાકૂંડીમાં શોભતા ચાંદનીના જળનો અર્ઘ્ય આપનાર કવિ પર્ણ પર સરી રહેલી કીડીની કમનીયતાને પણ ભૂલતા નથી!

કદાચ કવિતા એ કમનીયતાના ચિત્ર સાથે જ પૂર્ણ થઈ જાય છે પણ કવિને પછી આખી કવિતાનો બોધ લખવાનું મન થયું એટલે છેલ્લી બે પંક્તિ ઉમેરી.

પ્રકૃતિનું આ મનહર અને મનભર ગાન જે લયમાં આકાર પામે છે એ હરિણી છંદની ગતિ પણ ત્રસ્ત હરિણી જેવી નથી, પણ ચાંદનીમાં વહાલથી મહાલતી હરિણી જેવી સરલ અને તરલ છે.

(કવિ અને કવિતા)