અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/પ્રભુનું નામ લઈ વિશે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રભુનું નામ લઈ વિશે

ચંદ્રકાન્ત શેઠ

પ્રભુનું નામ લઈ
શયદા

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું,

ગુજરાતી ગઝલના વિકાસ – વળાંકમાં `શયદા’નું નામ અને કામ ઉલ્લેખનીય લેખાય છે. ગઝલમાં ગુજરાતીપણાનો આહ્લાદક અનુભવ કરાવનારા શયદા. ભણતર પ્રમાણમાં ઓછું, પણ શાણપણ સારું. આ ગઝલને એમના શાણપણનો સારો લાભ મળ્યો છે. જીવનને શયદાએ પોતાની રીતે જોઈ-જાણીને પ્રમાણ્યું છે. સાચો સર્જક – સાચો શાયર એ જ કરી શકે. `શયદા’નું મૂળ નામ તો હરજી લવજી દામાણી; પરંતુ સૌ `શયદા’થી જ એમને ઓળખે છે. `શયદા’ એટલે પ્રેમી, મુગ્ધ અને અત્યંત પ્રસન્ન. શયદાની શાયરીમાં પ્રેમ અને પ્રસન્નતાનું તત્ત્વ નોંધપાત્ર પ્રમાણમાં અનુભવી શકાય છે. `શયદા’ સરળ પણ ખરા ને સાત્ત્વિક પણ ખરા. `શયદા’ની શાયરી પથ્ય ને પ્રસન્નકર અનુભૂતિ કરાવનારી. પ્રસ્તુત ગઝલ એનું એક ઉમદા ઉદાહરણ છે.

આ ગઝલમાં રદીફ છે `છું’ ને કાફિયા છે `પડ્યો’, `ચડ્યો’, `જડ્યો’, `લડ્યો’ ને `રડ્યો’ જેવા. એમાં `પડ્યો’ કાફિયા ચાર વાર આવ્યો છે એ પણ નોંધવું જોઈએ. આ રીતનું કાફિયાનું પુનરાવર્તન ટાળ્યું હોત તો ઇષ્ટ હતું, પણ જે રીતે એ આવ્યું છે તે જોતાં તે ખૂંચતું નથી. વળી અહીં `શયદા’ કવિતાવેડા કે અલંકારવેડાની જાળમાં અટવાયા નથી. તેઓ સરળતા જાળવીને, અનુભવનિષ્ઠ રહીને સચોટતા અહીં અભિવ્યક્તિમાં લાવી શક્યા છે. સરળતા સાથે ગહનતાયે અહીં સંપૃક્ત છે, એની ગવાહી મત્લાનો શરૂઆતનો શેર જ આપી રહે છે.

આ કવિનો હું ત્રાસદાયી નથી, વિનીત છે. કોઈ સદ્ગુણસામર્થ્યે પૂજ્ય હોય, આરાધ્ય હોય તો તેના પગમાં પડવામાં, તેના શરણે જવામાં ને રહેવામાં, તેને સનર્પિત થવામાં એને સંકોચ લાગતો નથી; બલકે ઉદારતા ને ઉચ્ચતાનો, એતો વિસ્તાર ને ઊર્ધ્વગામિતાનો ઊંડો – આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત થાય છે. અયોગ્ય રીતે, અયોગ્ય પરિસ્થિતિમાં કોઈ કપાતરને ચરણે પડવું એ તો અધઃપતનના પર્યાયરૂપ થાય, અહીં જે પડવાનું છે તે તો પરમ પુરુષોત્તમ પ્રભુના ચરણમાં પડવાનું છે. એ તો પ્રણિપાત કરવારૂપ અનુભવ છે. વ્યક્તિચેતના પરમાત્મચેતના પ્રતિ ખેંચાય; એના ચરણ ગ્રહે – એનું શરણ ગ્રહે, એને સમર્પિત થાય; એની સાથે તાદાત્મ્ય અનુભવે ત્યારે તે ભૂમાસુખનો ઊર્ધ્વીકરણના આનંદનો, જીવનની ગહનતા – વ્યાપકતા ને અમૃતમયતાનો અનહદ આનંદ – બ્રહ્મા સ્વાદરૂપ આનંદ પ્રીછી – પામીને ધન્યતાનો ઊંડો અનુભવ કરી શકે છે. જીવનમાં જે ખરેખર કરવાપણું, મેળવવાપણું હોય તો આવો અનુભવ છે; જેમાં ઝિંદાદિલી છે અને જીવનની સિદ્ધિ ને સાર્થકતા છે.

આ પરમાત્મા-દીધા ને પરમાત્મા-પરેરિત સંસાર-જીવનમાં સતત આવાગમન તો ચાલવાનું જ. ડગલે ને પગલે ઠોકરો ખાવાના પ્રસંગોય ખમવાના આવે, પણ એમાંય તટસ્થતાથી ઊંડાણમાં જોતાં એમ લાગે કે એવી ઠોકરો ખાવાના પ્રસંગોના મૂળમાં પોતાની જ જડતા – પોતાની જ સંવેદનાહીનતા – પોતાની જ પથ્થર-સરખી કઠોરતા ને કુંઠિતતા નડતર કે અવરોધરૂપ બની રહેતી હોય છે. આત્મનિરીક્ષણ કે આત્મદર્શન કરતાં તુરત જ પોતાની કસૂર અને કસર પ્રતીત થાય. જીવનમાં ઘણાં દુઃખદર્દોમાં છેવટે તો મનુષ્ય પોતે જ પોતાનો શત્રુ હોય, પોતે જ પોતાનો વિરોધી કે અવરોધી હોય એવું કઠોર સત્ય સમજાય છે. મનુષ્યે જીવનસાધનામાં ખરેખર તો પોતાને જ સરખા-સમા કરવાની સાધના – આત્મસાધના કે અધ્યાત્મ-સાધના કરવાની રહે છે. એ ન હોય તો જીવન ગતિ – પ્રગતિરહિત પાષાણી ઘટનારૂપ જ બની રહે.

જીવન છે તો તેમાં ભોંઠા પડવાના, ભૂલા પડવાના લડવાના, રડવાના જેવા અનેકાનેક વિષમ અનુભવો અવારનવાર કરવાના થાય. દૂરથી એક લાગે ને વાસ્તવમાં નજીક જતાં એથી વિપરીત જ અનુભવ થાય! શ્રદ્ધા ખંડિત થાય, આશાનો તંતુ તૂટી જાય, વિજયનો આનંદ માણી ન શકાય, સતત અજંપા ભરેલી નિરાધાર અવસ્થામાં પોતાની જ અસલિયતને ઓળખવા – પામવાની મથામણમાં ભટકવું પડે – આવી આવી તો અનેક વ્યગ્રતા ને વેદના જન્માવનારી પરિસ્થિતિઓમાંથી મનુષ્યે પસાર થવાનું થાય; પરંતુ મનુષ્યમાં સત્ત્વ હોય; પ્રભુની સત્યતા ને સત્તામાં ઊંડી શ્રદ્ધા હોય તો છેવટે તેને ઠરવા જેવું ઠામ-ઠેકાણું, વિરામ-વિસામો તો મળી જ રહેવાનાં. જે પ્રભુનું નામ દઈને, એની શક્તિસત્તામાં ઊંડી શ્રદ્ધા રાખીને જીવનમાં આગળ વધે છે એને એનું ઘર પ્રભુના ચરણોમાં છેવટે મળી જ રહે છે; એને ખરેખર પોતાની આત્મખોજ ફળતી લાગે છે અને એને પ્રેમ તથા પ્રસન્નતાનો સમૃદ્ધ અનુભવ છેવટે સાંપડે જ છે. નિરંતર લડાઈ એ જો મનુષ્યની નિયતિ છે તો છેવટે પરમાત્માના ચરણોમાં પોતાની પૂર્ણ શરણાગતિ – એમાં જ એના હોવા – થવાની પરિણતિ છે એમ આ ગઝલમાં ઊંડે ઊતરતાં સમજાય છે. બધી આળપંપાળ છોડી પરમાત્માના ચરણ ગ્રહતાં જ પરમ સુખ, પરમ શાંતિ ને પરમ મુક્તિનો આનંદપ્રસાદ મનુષ્ય મેળવી શકે છે.

આખું કાવ્ય તેના નાયકની ઉક્તિ રૂપે રજૂ થાય છે. તેમાં જીવન-જગતવિષયક કાવ્યનાયકના સૂક્ષ્મ લાક્ષણિક મર્માનુભાવોના સંકેતોયે અનેક શૅરોમાં આવેલા જણાય છે. પોતે જ પોતાને જડતા હોય – મળતા હોય, પોતે જ ખુશી ને આશાના સંબંધમાંયે સતત લડતા હોય, પોતાને અનાદિ કાળથી ભૂલ્યા પડ્યાનું અનુભવતા હોય – આવા અનુભવો છતાંયે આ શ્રદ્ધાળુ આસ્તિક કવિ પ્રભુનું નામ અને પ્રભુના ચરણ ન છોડતા હોય તો એમાં અનુસ્યૂત એમના જીવનલક્ષી મર્મ-ધર્મનો અંદાજ આપણને આવવો જોઈએ. ખરેખર તો પ્રભુનું નામ લઈને જ જીવનમાં ખરા રસ્તે પડાય. પ્રભુના ચરણ ગ્રહતાં જ ત્યાં જ મનુષ્યને એનું ખરેખરું ઘર – એનું ઠામ-ઠેકાણું સાંપડી રહે છે. આ ગઝલ એ અંગેનો સંકેત વિનીત અને વિશિષ્ટ રીતે કરીને રહે છે. આ ગઝલની શૅરિયત – એની ગઝલિયત એના સર્જકની આ સ્વરૂપમાંની પારંગતતાની દ્યોતક છે. ગુજરાતીમાં આવી મર્માળુ ને મર્મીલી કથન-શૈલીવાળી ગઝલો ઓછી જ છે. `શયદા’ની આ ગઝલમાંની સિદ્ધિ-રિદ્ધિ તેથી જ ભાવકને આહ્લાદક ને ઉદ્બોધક લાગે છે.

(આપણાં કાવ્યરત્નોઃ ઉઘાડ અને ઉજાશ)