અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/વિદાયનું ગીત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વિદાયનું ગીત

હરીન્દ્ર દવે

અમારી રાત થઈ પૂરી
નાથાલાલ દવે

રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી,

આ વિદાયની કવિતા છેઃ પણ આ કઈ વિદાય છે? એકાદ રાત્રિના મહેમાન તરીકે રહેવાનું ભાગ્યમાં હોય અને એ રાત્રિ પૂરી થાય એટલે નીકળી જવાનું છે, એવી જેને પ્રતીતિ થઈ ચૂકી છે એવા પ્રવાસીની આ વિદાય છેઃ કવિતાનો આરંભ થાય છે ત્યારે જ કશુંક પૂરું થઈ ચૂક્યું છે. એનો પહેલો જ શબ્દ જુઓઃ ‘રજા’. જે ખૂબ પ્રિય છે તેનાથી છૂટા થવું પડે એમ છે એની અસહાયતા આ શબ્દમાં દેખાય છે. આ રજા જેની માગવાની છે તેને કરાયેલું સંબોધન પણ સૂચક છે; ‘રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી…’

માત્ર રાત જ પૂરી નથી થઈ, ઘણું બધું પૂરું થઈ ચૂક્યું છે. એક આખી દુનિયા હવે સમેટી લેવાની છે. અને આપણે જાતે સમેટી નહીં લઈએ તો એ સમેટાઈ પણ જવાની છેઃ રાત્રિના જામમાં છલકતા તારાઓ જેમ આપોઆપ ડૂબી ગયા, ચન્દ્ર લય પામ્યો, સુરગંગાનું આંદોલિત વહન અટકી ગયું. આ બધાની માફક આપણા અનુબંધની સૃષ્ટિનું પૂર્ણવિરામ પણ નજીક છે.

આ કેવળ વણઝારાના કોઈ એક રાતના મુકામની વાત છે? સવારે નોબત વાગે છે, ઊંટની હારો રવાના થાય છે, એ સાથે અસહાય બની ચરણ ઉપાડતા પ્રવાસીની જ વાત છે?—

‘દાગ’નો એક શેર યાદ આવે છેઃ

હોશોહવાસ તાબો તવા ‘દાગ’ જા ચુકે,
અબ હમ ભી જાને વાલે હૈ, સામાન તો ગયા.

ભાવની સૃષ્ટિ તો વિદાય લઈ રહી છે. એ આપણો સામાન છે. એ જાય એટલે આપણે એક વિદાય લેવાની ક્ષણ નજીક આવી છે એ જાણી જ લેવાનું.

અહીં કોઈક આવી વિદાયની વાત છે.

આ જગતમાં પણ આપણે કેટલા અસ્થાયી છીએ એ આપણે જાણતા હોઈએ છીએ. એક સંતે તો આ દુનિયાને સરાઈ (ધર્મશાળા) કહી છે. રાતવાસો પૂરો થાય અને સવાર થતાં ચાલી નીકળવાનું.

છતાં આ રાતવાસો જ્યાં થતો હોય છે ત્યાં માયા પણ લાગી જતી હોય છે.

સ્વર્ગની ઝાંખી કરાવે એવા આ રૂપને એક છેલ્લું ચુંબન લીધુંઃ પગની મેંદી, ગુલાબી હોઠ પરની રક્તિમ ઝાંય, શરીર પર મહેકતી કસ્તુરી અને આંખની આસપાસની રતાશઃ આ બધું હવે ભૂલી જવાનું છેઃ પ્રાતઃકાળની બાંગ સંભળાઈ રહી છે—વણઝાર ઊપડવાની નોબત વાગી રહી છે.

જવાનું છે એ જાણીએ જ છીએ, ખુમારીથી કહીએ પણ છીએ. અમે તો મિસ્કિન છીએઃ અમારા રાહ ન્યારા છે… છતાં દિલમાં કોઈક દર્દ થાય છે. રાતવાસા-એ એક માયા જગાડી દીધી છે. કોઈ સંગીત આપણે સાંભળ્યું છે એટલું જ નહીં, એ સંગીતના લયમાં આપણે ગાતા પણ થયા છીએઃ એ બધું કહેવાનું મન તો છે—પણ સમય ક્યાં છે?

—લ્યો, હજી તો વાત શરૂ ન કરી ત્યાં તો વાત પૂરી થઈ. હજી હમણાં જ આકાશમાં અંધકારનાં જળ પથરાવતી રાત આવી હતી. પલકવારમાં તો એ વીતી પણ ગઈ.

ચાલો, ત્યારે કઠણ મને આ વિદાય લેવી જ રહી. અને યાત્રી કહે છેઃ

‘રજા, ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી.’

એ વિદાયનું ગીત છે—તમે કોઈ પણ વિદાયના સંદર્ભમાં એનું સંવેદન અનુભવી શકો એટલું સાચું ગીત છે.

(કવિ અને કવિતા)