આચમની/૧૯

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૯

આ જગતમાં માણસ જન્મથી માંડી મૃત્યુ સુધી કોઈ ને કોઈ ભયથી ઘેરાયેલો રહે છે. આ જગત અનિત્ય છે અને સુખ-દુઃખ અનિશ્ચિત છે. એમાં કાયમી અભય અને આનંદ ક્યાંથી હોય? આપણે ગમે ત્યાંથી ગમે ત્યારે આવી પડનારા ભય વચ્ચે જ જીવીએ છીએ આવી ‘આસમાની-સુલતાની’નો સ્વીકાર એ ભયના પડછાયાથી ઓછા ભયભીત થવાનું પગલું છે. એ પછી, કોનો ભય છે, કયા કારણે ભય લાગે છે એ શોધવું તે ભયના નિવારણ ભણીનું આગળનું પગલું છે. અનેક પ્રકારના ભયથી માણસ પીડિત છે. તેમાં મુખ્ય ભય શરીરના રોગ અને માનસિક સંતાપના છે. શારીરિક ભયમાં પણ મુખ્ય પાંચ પ્રકારના ભય છે : રોગ, પીડા, એકલતા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ. શરીરમાં થોડીક અસ્વસ્થતા થાય ત્યાંથી જ ભય શરૂ થઈ જાય છે. પછી વ્યાકુળતા વધે છે અને આ વ્યાકુળતા વળી ભયને વધુ ઘેરો બનાવે છે. આપણી અભયની શોધ આ વ્યાકુળતા ઓછી કરવાથી અને ભયના સાચા સ્વરૂપને મીટ માંડીને જોવાથી શરૂ થાય છે. અભયપદ મેળવવાનું અશક્ય નહીં તોયે અત્યંત કઠિન તો છે જ, પણ ભયની માત્રા ઘટાડી શકાય છે. ભયના કારણમાંથી જ એના નિવારણનું સાધન મળી રહે છે. ભય એટલે ક્લેશ, ભય એટલે અશાંતિ, ભય એટલે ઊંઘ ઉડાડી મૂકતી વ્યથા. શાસ્ત્રની વાણીમાં કહીએ તો તેના મૂળમાં અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ છે. આપણે ભય અને ક્લેશને મૂળમાંથી જ ઉખાડી નાખવાની દિશામાં પગલાં માંડવાં જોઈએ. ઉપરછલ્લા ઉપાયો કરવા કે થીગડાં મારવાનો કશો અર્થ નથી. એનાથી ભય એક નહીં તો બીજા સ્વરૂપે બારણાં ખખડાવી કે ખોલી નાખીને પણ આવી પહોંચશે. શારીરિક ભયની સાથે જ માનસિક ભય હરીફાઈમાં ઊતરે છે. માનસિક પીડા પણ ઓછી નથી હોતી. તેનાં મુખ્ય કારણો છે : અપમાન, ઉપેક્ષા, નિષ્ફળતા, નિદા વગેરે શારીરિક નુકસાન ન થયું હોય ત્યારે પણ બીજા ભયને લીધે શરીર શિથિલ બની જાય છે. એમાંથી મુક્ત થવાનો કોઈ ચોક્કસ ઉપાય? અભયપદના શિખરે પગ મૂકતાં પહેલાં ગીતા ઉપાય સૂચવે છે : સત્ત્વસંશુદ્ધિ. સત્ત્વસંશુદ્ધિ નથી ત્યાં અભય પણ નથી. આ સત્ત્વસંશુદ્ધિનું હવે પછી સંશોધન અને સંવર્ધન કરીશું. અભયની જયધ્વજા ફરકાવવા માટે તે પ્રાણવાયુની ગરજ સારે છે અને પ્રાણબળ વધારે છે.

***