કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૩૪. બે સૉનેટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૪. બે સૉનેટ


૧. ગયાં વર્ષો –

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં!
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં!
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો!
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે,
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપુટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો.

ન કે ના'વ્યાં માર્ગે વિષ, વિષમ ઑથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા,
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં  :
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં!
(સમગ્ર કવિતા, પૃ. ૫૭૫)

૨. રહ્યાં વર્ષો તેમાં –

રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ નિરમી `દુષ્ટ' દુનિયા.
– અહો નાનારંગી અજબ દુનિયા! શેં સમજવી?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી!
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી. –

મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શિશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે-હ્રાસે પરમ ઋતલીલા અભિરમે.
–બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું  :
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.
(સમગ્ર કવિતા, પૃ. ૫૭૬)