કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/સાચા શબદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨. સાચા શબદ


આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ.

સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ.

કોયલ ટહુકે આંબાડાળે
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ
એ સાચા શબદનાં પરમાણ.

ફૂલ ખીલે નિત નવ કેમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ
એ સાચા શબદનાં પરમાણ.

(રામરસ, ૧૯૫૬, પૃ. ૮)