કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૨. પાદરમાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૨. પાદરમાં

એક વાર નીંગળ્યું’તું ફળફળતું લોહી,
          હવે નીંગળતા સિંદૂરના રેલા!
                   અમે પાદરમાં ઝાટકે ખરેલા!...

          વાયરાને રોકટોક હોય નહીં કોઈ,
                   હોય મોજાંને કાંઠાની ભીંત,
          ઊડ્યા ભેળું જ મળે આભ એક પંખીને
                   પથ્થરથી આઘી એ પ્રીત;
પથ્થરમાં કાયાનો લઈને ઉઘાડ
          એક વડલાની ભીંતને વરેલા!
                   અમે પાદરમાં ઝાટકે ખરેલા!...

          પરબારા જાય પંચકલ્યાણી સૂરજના
                   ખેરવતા કિરણોની ધૂળ,
          અમ-થી ઊગેય નહીં કાળમીંઢ અંધારાં
                   ખોડેલાં નીંભર છે મૂળ;
ભાંગેલાં કોડિયાંના ડાયરા વચાળે, હવે
                    ઢોળાતા ઘૂંટ – જે ભરેલા!
                   અમે પાદરમાં ઝાટકે ખરેલા!...


૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૬૩)