કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૫.વરસાદ પછી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૫.વરસાદ પછી

લાભશંકર ઠાકર

જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર !
ને તડકાનો
ટુવાલ ધોળો
ફરી રહ્યો છે
ધીમે ધીમે.

યથા રાધિકા
જમના-જલમાં
સ્નાન કરીને
પ્રસન્નતાથી
રૂપ ટપકતા
પારસદેહે
વસન ફેરવે
ધીરે ધીરે.

જોઈ રહ્યો છે
પરમ રૂપના
ઘૂંટ ભરંતો
શું મુજ શ્યામલ
નેનન માંહે
છુપાઈને એ
કૃષ્ણ-કનૈયો ?
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૪૫)