કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૪. સુખડ અને બાવળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૪. સુખડ અને બાવળ


સુખનાં સુખડ જલે રે
મારા મનવા!
દુઃખનાં બાવળ બળે —
બળે રે જી… દુઃખનાં બાવળ બળે.

સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને
બાવળના કોયલા પડે —
મારા મનવા!
તરસ્યા ટોળે વળે,
વળે રે જી... દુઃખનાં બાવળ બળે.

કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈ મગન ઉપવાસે :
કોઈનું સુખ આ દુનિયાદારી,
કોઈ મગન સંન્યાસેઃ
રે મનવા!
કોઈ મગન સંન્યાસેઃ
સુખનાં સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે…
ચડે રે જી… તરસ્યા ટોળે વળે.

કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરદુઃખે સુખિયા :
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઈ મંદિરના મુખિયાઃ
રે મનવા!
કોઈ મંદિરના મુખિયા :
સમદુઃખિયાંનો શંભુમેળો
ભવમાં ભેગો મળે,
મળે રે જી… લખ ચકરાવે ચડે.

રંગવિલાસી ભોગી દીઠા,
જોગી બ્રહ્મ-વિલાસી :
પામર સુખ, અજરામર સુખના
સહુને દીઠા પ્યાસી,
રે મનવા!
સહુને દીઠા પ્યાસી,
બધા ઝઝૂમે —
બધા ઝઝૂમે ઝંખી-ડંખી
સળગે કે ઝળહળે,
હળે રે જી… ભવમાં ભેગા મળે.

સુખનાં સુખડ જલે રે
મારા મનવા!
દુઃખનાં બાવળ બળે.
(સિંજારવ, પૃ. ૧૧૬-૧૧૭)