કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧. પારાવાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. પારાવાર


હું પોતે મારામાં છલકું
પંચામૃતનો મુખરિત પારાવાર.

હું છું મારો ફેનિલ આરો,
ને હું મુજ ઊર્મિલ મઝધાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.

ફેનફેનના કુન્દધવલ કંઈ
ઘૂઘરના ઘમકાર,
હું છું મારું સ્મિતસ્વરમંડલ,
ને હું મારો અભિહત હાહાકાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.

હું મારો વિરહાકુલ પ્રેમી,
હું મારો અભિસાર —
સ્વયમ્ વિવર્તિત, સ્વયમ્ વિસર્જિત,
નશ્વર ને તોફાની તબડક
તરંગના તોખાર :
હું પોતે નિજ રેન સમાલું,
હું મારો અસવાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.

ઋતુમય તેજઋચા હું પોતે,
હું ઉદ્ગાતા ને હું શ્રોતા,
હું મુજ મંત્રોચ્ચાર :
અનંતમાં લીલામય રમતા
છંદલલિત ઉદ્ગાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.

ચેતનમય છલછલ જલઅંબર
ફરફર ફરકે —
દૂર દૂર જઈ આત્મવિલોપનમાં
સહુ મરકે —
મોજમોજનાં ગેબગતકડાં,
ક્ષણભંગુરનો ક્ષણક્ષણ નવઅવતાર :
મોજાંનો છે રવ,
રવનાં છે મોજાં અપરંપાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.

હું મારામાં અસીમ સીમિત,
અવિરત, ચંચલ,
અકલિત, એકાકાર :
नित्य शिवोऽहम् नित्य जीवोऽहम्,
પોતે મારામાં મલકું,
પંચતત્ત્વનો પુલકિત પારાવાર.
(સિંજારવ, ૧૯૫૫, પૃ. ૮)