કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૫૧. વધસ્તંભ કે ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫૧. વધસ્તંભ કે ઘર?

મને પાકી ખાતરી હતી કે
મારા ખભા પર વધસ્તંભ છે!
કોઈકનો અવાજ સંભળાયો —
એમાં ગંભીરતા હતી કે મજાક
એ ન સમજાયું —
“ભ્રમમાં ન રહે —
આ ક્રૉસ નથી,
રસ્તો પૂરો થાય ત્યારે
ઘર બાંધવા માટેનું લાકડું છે.”
હું મારો વધસ્તંભ લઈ આગળ વધ્યો —
આમ પણ સૌએ
પોતપોતાનો ક્રૉસ ઊંચકવો જ પડે છે!
મને બરાબર યાદ હતું કે
સંત ઈસુ
તથા
દીમા અને ગેમા
આ જ રસ્તે કદાચ પોતાનો ક્રૉસ લઈ ચાલ્યા હશે.
ખભાનાં છાલાંથી સ્નાયુઓ ઘસાઈ ગયા.
હાથમાં તાકાત ન રહી
અને પ્રભુને બેરહમ કહી
મેં યાત્રા પડતી મૂકવાનો વિચાર કર્યો
ત્યારે દેખાયો રસ્તાનો છેડો.
એ જ જગા –
દૂર દૂરની ટેકરીઓ પર
હજી ત્રણ વધસ્તંભ હતા –
હમણાં જ કોઈ ખોડી ગયું હોય એવા!
રસ્તાના છેડે
જલ્લાદો ખીલા અને હથોડા સાથે ઊભા હતા!
મારા બે હાથ, બે પગ
અને આખાયે શરીર પર પણ ખીલા ઠોકાતા હતા ત્યારે થયું —
કોણે મજાક કરી કે રસ્તાને છેડે ઘર બાંધવામાં આ લાકડું કામ લાગશે?
“હાય ઈસુ, તું સુથારનો સુથાર રહ્યો હોત,
ઓ વૃક્ષ, તું વૃક્ષનું વૃક્ષ રહ્યું હોત!”
પશ્ચિમની રંગભૂમિ પરથી સંભળાયો અવાજ –
સાથે જ મેં અનુભવ્યું, હું તો ચાલ્યો હવે આકાશમાં,
જે આ શરીરમાં હતો,
આકાશના પ્રત્યેક કણમાં પથરાઈ ગયો.
દૂર ત્રણ વધસ્તંભ દેહનું ઘર બનીને ઊભા હતા —
દેહનું આ ચોથું ઘર —
મારા પ્રાણના જવા પછી
ઘરની જરૂર હતી દેહને
એ તો વધસ્તંભે જ પૂરી પાડીને!
આમીન.

(ડિસેમ્બર ’૯૪માં શસ્ત્રક્રિયા પછીની તંદ્રાવસ્થામાં દેખાયેલાં દૃશ્યો કશું જ ઉમેર્યા વિના, કશું જ કાપ્યા વિના)

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૨૪-૫૨૫)