ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંપાદકીય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંપાદકીય

‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ની આ બત્રીસમી પુસ્તિકા છે. કવિ ખબરદારનો જન્મ ૧૯૮૧ના નવેમ્બરની છઠ્ઠીએ થયેલો. આ શ્રેણીમાં એમના વિશેનો લઘુગ્રંથ શતાબ્દી વર્ષમાં પ્રગટ કરવાનો નિર્ણય કરી આ કામ ડૉ. રમણ સોનીને સોંપ્યું. તેમણે સહૃદયતા અને ચીવટપૂર્વક આ લઘુગ્રંથ સમયસર તૈયાર કરી આપ્યો એ માટે તેમનો આભારી છું. આ ‘શ્રેણી’ની અન્ય પુસ્તિકાઓ પુનર્મુદ્રણમાં છે અને બીજી કેટલીક નવી પ્રગટ થઈ રહી છે. સાહિત્યરસિકો અને વિવેચકોએ આ પ્રવૃત્તિને ઉમળકાભેર આવકાર આપ્યો છે એ માટે તેમના પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા અનુભવું છું.

રમણલાલ જોશી

ર, અચલાયતન સોસાયટી
નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯
૩ એપ્રિલ ૧૯૮૨




અંગ્રેજીમાં જુદા જુદા સર્જકો વિશે નાની પુસ્તિકાઓની એક કરતા વધારે શ્રેણી સુલભ હોય છે. ત્રણચાર ફરમાના આવા લઘુગ્રંથ(મૉનોગ્રાફ)માં તે તે સર્જકોને પ્રતિભા વિશે જાણવા જેવી બધી વીગતોનો સમાવેશ કરવામાં આવે છે.
સમગ્ર ગુજરાતી સાહિત્યના મહત્ત્વના સર્જકો અને ચિંતકોને આ શ્રેણીઓ આવરી લેવાનો ખ્યાલ છે. તેમાં મધ્યકાળના તથા અર્વાચીન સમયમાં દલપત-નર્મદ યુગથી આરંભી ગાંધીયુગ સુધીના ગણનાપાત્ર બધા લેખકોનો સમાવેશ કરવા ધાર્યો છે.
કાંઈક અંશે ઐતિહાસિક સમયક્રમ જાળવીને પુસ્તિકાઓ આપી શકાય તે તો દેખીતું જ ઘણું ઇષ્ટ છે, પરંતુ આ પ્રકારની યોજનાઓમાં સર્વત્ર જે અનિવાર્ય મુશ્કેલીઓ હોય છે તેને કારણે પુસ્તિકાઓ જેમ જેમ તૈયાર થશે તેમ તેમ પ્રકાશિત કરવાની રહેશે. તેમ છતાં પુસ્તિકાઓના પ્રકાશનક્રમમાં જુદા જુદા યુગોનું પ્રતિનિધિત્વ જળવાતું રહે તે પણ યથાશક્ય જોવાશે.
પુસ્તિકાઓમાં વિષયનિરૂપણના મુખ્ય દૃષ્ટિકોણ નીચે પ્રમાણે રહેશેઃ
ગુજરાતી સારસ્વતોના જીવનનો ટૂંક પરિચય, એમની કૃતિઓનો વિવેચનાત્મક ખ્યાલ, એમના સાહિત્યનું મૂલ્યાંકન, પુનર્મૂલ્યાંકન, એમના વિશેના અભ્યાસીઓના સમીક્ષા, આપણા સાહિત્યમાં તેમનું સ્થાન, વિગતવાર સંદર્ભસૂચિ.