ગુજરાતી નારીસંપદા : કવિતા/દયાનું ઝરણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દયાનું ઝરણ

દીપકબા દેસાઈ

અનુષ્ટુપ

ઘોર યુદ્ધ શમ્યું રાતે, જંપ્યા કૌરવપાંડવો;
પડ્યા’તા મૃત્યુશય્યા કો, કો પાડે કારમી બૂમો.

વસંતતિલકા

રાત્રિ વધી, રણભૂમિ સૂનકાર ભાસે,
તારાગ્રહો ગગનમાં દીપતા સુહાસેઃ
કો પ્રિયનાં શબ ભમી ભમી શોધતા’તા;
કો બેસી અશ્રુજલ-અંજલિ અર્પતા’તા.

અનુષ્ટુપ

તમરાંના થતા શબ્દો, બાકી શાન્ત નિશા ધપે;
અશ્વત્થામાતણે હૈડે, કિન્તુ ના કળ તો વળે.

માલિની

શિબિરથકી ઘડી એ વ્યગ્ર ચિત્તે ભમન્તો,
સુંણ્યું ફડફડ ત્હેવે જ્યાં ઊંચે કાગમાળો;
ઘૂવડમંહિ ઘસ્યું ને કાગબચ્ચાં વિખેર્યાં;
અરર! મરડી માથાં પાય ને પિચ્છ ખેર્યાં!

વંશસ્થ

ઘડીક થંભી મનમાં વિચારતો:-
‘હું કાં ન આ’વી અજમાવું યુક્તિઓ?’
હતો હીણો તે નીચ ચિન્તવી ફૂલ્યો;
નૃશંસ હૈડે પડઘો કૂડો પડ્યો!

વસંતતિલકા

આજે હું પાન્ડવતણી જઉં છાવણીમાં,
ને બાલ દ્રૌપદીતણાં હણું આ ઘડીમાં;
નિર્વંશ પાન્ડવતણો કરૂં કાં ન આજે?
વૈરાગ્નિ ઉર-સળગ્યો તવ હોલવાશે!

શિખરિણી

ગયો પાપી ત્યાંથી, અરરર! કસાઈ ક્રૂર થયો,
મૃદુ બાલુડાંને, મધુરી નિન્દમાં હાય! હણતો;
દુરાચારી હૈડું, કઠિન દીસતું વજ્રસરખું;
અરેરે! એ દિલે, ક્યમ કરી વહે સ્નેહ-ઝરણું?

અનુષ્ટુપ્

ટટળે બાલુડાં સર્વે, સંભળાય ચીસો ઊંડી;
જાગ્યા સૌ પાન્ડવો ત્હેવે, દ્રૌપદી કાંપતી હતી.

શિખરિણી

‘વદાયું ના જીભે, ગરીબ ધ્રુજતી રે! ઢળી જતી,
રહ્યા મ્હોંમાં શબ્દો, હૃદય રડતું આંખ રડતી;
“અરેરે! કો જાગો, કુસુમ કુમળાં હાય! કચર્યાં!”
સફાળો કે’ પાર્થ, “નીચ! કહિં ગયો? મારૂં હવણાં—

અનુષ્ટુપ

દ્રોણપુત્ર ગ્રહી લાવી કૃષ્ણ કે’ “પાર્થ! આ રહ્યો,
હણીને બાલહત્યારો, વૈરાગ્નિ કાંઈ બૂઝવો!”

વસંતતિલકા

કે’ પાર્થ “દ્રૌપદી કને લઈ જાવ એ’ને,
જ્યાં એ હતાશ થઈને ધ્રૂશકે રડે છે-"
વીરાંગના દૂરથી ઓળખી બોલી ત્યાંહી;
"ઓ બ્રહ્મબાલ! હત ક્રૂર-કહું કસાઈ?

શિખરિણી

અરે ઓ હત્યારા! શિશુ હણી બતાવી શી વીરતા?
બૂઝ્યો આશાજ્યોતિ, અરર! અમને અંધ જ કર્યાં!
હણો ના - એની તો જનની મમપેરે કકળશે;
પ્રભુ મ્હારો-એ’નો અદલ ચૂકવો ન્યાય જ ભલે-

અનુષ્ટુપ

પાપ-પુણ્યતણું લેખું, જ્યારે પરમાત્મ પૂછશે;
કહે ઓ બાલ હત્યારા! શી ગતિ ત્હારી ત્યાં થશે?”

મન્દાક્રાન્તા

પાર્થે લીધું ખડગ કરમાં, દુષ્ટ! શિક્ષા દઉં શું?
એધાણીમાં પતિત! તુજની, ખોપરી કાં ન કાઢું?
રે! રે! આ’વું, ન કર ફરીથી-ઘોર આ’વું ઘટે શું?
માફી માગી દુ:ખી હૃદયની, જા હવે આંહીથી તું—”

અનુષ્ટુપ

શિક્ષા દોષિતને દેવી, ન્યાય એ પ્રભુને ગમે;
દયાનું ત્રાજવું ત્હો યે, ન્યાયથી અધિકું નમે.
પસ્તાવો પાપીના દિલે, પાપનાં પડને ધ્રૂવે;
દયાનાં ઝરણોભેગાં, પુણ્યનાં પાણીડાં વહે!

***