ગુજરાતી બાળવાર્તા સંપદા/શીખેલી વિદ્યા કામ આવે
નટવર પટેલ
રાજાનો એક કુંવર. નામ એનું અમર. સુથારનો એક દીકરો. નામ એનું હરજી. અમરના મહેલમાં રાચરચીલાનું કામ ચાલે. હરજી અને તેના પિતા એ કામ કરવા આવે. અમર તેમને કામ કરતા જોઈ રહે. હરજી નાનો હતો છતાં સરસ કામ કરે. તે જોઈ અમર નવાઈ પામે. અમર હરજી જોડે વાતો કરે. આમ ને આમ અમર અને હરજી પાક્કા ભાઈબંધ થઈ ગયા. મહેલમાં ફર્નિચરનું કામ પતી ગયા પછી પણ અમર હરજીને રમવા બોલાવે. બેઉ મિત્રો સાથે રમે. કોઈક વાર સાથે બહાર ફરવા પણ જાય. એક દિવસ હરજી કહે, ‘અમર, માણસે કોઈ ને કોઈ વિદ્યા શીખવી જોઈએ. મારા દાદા કહેતા હતા કે શીખેલી વિદ્યા કોઈ વાર કામમાં આવે. તે નકામી ન જાય.’ અમર કહે, ‘તો તું મને કંઈક શીખવ.’ હરજી તો સુથારી કામ જાણે. તે બાળકોને રમવાનાં રમકડાં બનાવી શકતો હતો. બે વાંદરાનું રમકડું તે બનાવતો. એમાં કળ આઘાપાછી કરો એટલે બંને વાંદરા સામસામે ઝઘડે. બાળકોને ઝઘડતા વાંદરા જોવાની બહુ મજા પડે. અમરના કહેવાથી હરજીએ તેને વાંદરાનું રમકડું કેમ બનાવી શકાય તે શીખવ્યું. અમરે તે પ્રમાણે રમકડું બનાવી પણ આપ્યું. હરજીએ કહ્યું, ‘અમર આ વિદ્યા તને આવડી ગઈ. હવે તું જાતે આ રમકડું બનાવી શકીશ.’ થોડા દિવસો આમ જ વીતી ગયા. એક દિવસની વાત છે. અમર ઘોડા પર બેસીને જંગલ તરફ ફરવા નીકળ્યો. બે અંગરક્ષકો પણ તેની સાથે હતા. અચાનક કુંવરનો ઘોડો ભડક્યો ને તે દોડવા લાગ્યો. કુંવર તેને રોકવા ઘણું મથે તોય તે રોકાતો ન હતો. રક્ષકોના ઘોડા ક્યાંય પાછળ રહી ગયા. કુંવર એકલો આગળ વધી ગયો. આગળ જતાં એક વડનું ઝાડ આવ્યું. વડની વડવાઈઓ લટકતી હતી. ઘોડો ત્યાં થઈ પસાર થયો. કુંવરે યુક્તિ વાપરી. તેણે વડની વડવાઈ પકડી લીધી ને ઘોડા પરથી અધ્ધર થઈ ગયો. ઘોડો આગળ નીકળી ગયો. કુંવર વડવાઈએ લટકી રહ્યો અને પછી તે સાવધાની રાખીને નીચે ઊતર્યો. કુંવર કંઈ વિચાર કરે તે પહેલાં કેટલાક જંગલવાસીઓ આવી ચડ્યા. તેમની પાસે તીરકામઠાં હતાં. તે કુંવરને ઘેરી વળ્યા. તેમણે કુંવરને પકડી લીધો. જંગલવાસીઓ કુંવરને પકડી તેમના સરદાર પાસે લઈ ગયા. સરદાર કુંવરને જોઈ ખુશ થયો. તે બોલ્યો, ‘ચાલો, આજે રાતે માતાજીને આનો ભોગ ધરાવીશું. માતાજી ખુશ થશે.’ સરદાર હસ્યો. બધા ખૂબ હસ્યા. કુંવર ગભરાયો. તેને થયું કે આ લોકો ચોક્કસ તેને મારી નાંખશે. બચવાનો કોઈ ઉપાય વિચારવો પડશે. સરદારને એક નાનો દીકરો હતો. એટલામાં તે દીકરો હાથમાં એક રમકડું લઈ રડતો આવ્યો. દીકરો બોલ્યો, ‘બાપુ, આ ભાંગી ગયું. આને સાજું કરી દો.’ સરદારે તે રમકડું હાથમાં લીધું. તે બે વાંદરાવાળું રમકડું હતું. અમરને તે બનાવતાં આવડતું હતું. પણ એને પૂછે કોણ? બાળક જીદ કરવા લાગ્યું, ‘મને રમકડું નવું કરી દો. મારે વાંદરાને ઝઘડાવવા છે, નચાવવા છે.’ સરદાર બાળકને ફોસલાવવા માંડ્યો. પણ બાળક એમ તે કંઈ માને? તે તો રડતું જ રહ્યું. છેવટે સરદારે તેના સેવકને કહ્યું, ‘જાઓ, ગમે ત્યાં જઈ આ રમકડું સાજું કરી લાવો.’ એક સેવક કહે, ‘સરદાર, અહીં આ રમકડું સાજું કરતાં કોઈને નથી આવડતું.’ બીજો સેવક કહે, ‘આ માટે, સરદાર, નગરમાં જવું પડે. ત્યાં આ રમકડાં બનાવનાર ને વેચનાર કારીગરો હોય છે.’ ‘તો ઝટ જાઓ!’ સરદાર તાડૂક્યો. ‘પરંતુ સરદાર, નગરમાં જઈને આવતાં આખો દિવસ વીતી જાય.’ સરદાર ચિંતામાં પડી ગયો. બાળકને હવે કેમ મનાવવો? તે મૂંઝાયો. અમરને થયું કે આ તક છે. લાવ, મને વાત કરવા દે. અમરે સરદારને વિનંતી કરી, ‘લાવો એ રમકડું. હું તે સાજું કરી દઈશ.’ સરદારે પૂછ્યું, ‘તને આવડે છે કે પછી…?’ અમરે કહ્યું, ‘હા, આવડે છે.’ સરદાર બોલ્યો, ‘જો તું આ રમકડું સાજું કરી દઈશ તો તું માંગે તે આપીશ.’ સેવકે અમરને રમકડું આપ્યું. અમરે હથોડી, ચપ્પુ, ખીલી વગેરે મંગાવ્યાં. બધી ચીજો આવી. અમરે થોડી મથામણ કરીને રમકડું સાજું કરી દીધું. કળ દબાવી તો બંને વાંદરા નાચવા અને ઝઘડવા લાગ્યા. આ જોઈ સરદારનો દીકરો રાજી-રાજી થઈ ગયો. સરદાર પણ ખુશ થયો. અમર કહે, ‘કહેતા હો તો આવું બીજુંય રમકડું બનાવી દઉં. આ રમકડું તૂટી જાય તો દીકરાને કામ લાગશે.’ સરદારને અમરની આ વાત ગમી. અમરે જે ચીજો માંગી તે બધી સેવકો લઈ આવ્યા. અમરે ખૂબ મહેનત કરી બીજું સરસ રમકડું બનાવી દીધું. રમકડું જોઈ દીકરો રાજી–રાજી થઈ ગયો. એ જોઈ સરદાર પણ રાજી થયો. સરદાર કહે, ‘તારું નામ શું છે?’ અમર કહે, ‘અમર.’ સરદારે તેનો બરડો થાબડીને કહ્યું, ‘અમર, આજે તેં મારા દીકરા માટે ઘણું સરસ કામ કરી દીધું છે. બોલ, તારે શું જોઈએ? માંગી લે.’ અમર બોલ્યો, ‘સરદારજી, મને મારા ઘેર જવા દો. મારાં માબાપ ચિંતા કરતાં હશે.’ સરદાર કહે, ‘એ તો કરીશ, પણ બીજું કંઈક માંગ.’ અમર હાથ જોડી કહે, ‘સરદારજી, સ્વતંત્રતાથી વધીને કોઈ ચીજ મોટી હોતી નથી. બસ, મારે આટલું બસ છે.’ સરદારની આજ્ઞાથી સરદારના સેવકો અમરને જંગલની બહાર મૂકી ગયા. અમર ત્યાંથી પોતાના નગર તરફ ગયો. અમરને પાછો ફરેલો જોઈ રાજા-રાણી આનંદવિભોર થઈ ગયાં. રાજાએ કુંવરને શોધવા ચારે દિશામાં સૈનિકો દોડાવ્યા જ હતા. અમરે રાજારાણીને માંડીને બધી વાત કરી. એ સાંભળી રાજા કહે, ‘બેટા, તું વિદ્યા શીખ્યો, તો સંકટ સમયે કામ આવી.’ બીજે દિવસે રાજાએ હરજીને દરબારમાં બોલાવ્યો અને તેને ઇનામ આપી બહુમાન કર્યું.
(‘રસોડાની રાણી’માંથી)