ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અંબાશંકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અંબાશંકર [ ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય જિનહંસના શિષ્ય. સોમસુંદરસૂરિની પરંપરાના લક્ષ્મીસાગરસૂરિ(જ.ઈ.૧૪૦૮ - અવ.ઈ.૧૪૮૧ ?)એ જિનહંસને આચાર્યપદ આપ્યાનો ઉલ્લેખ મળે છે. કવિના ગુરુ ઉક્ત જિનહંસ હોય તો કવિનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ ગણાય. એમના રાસઉ, આંદોલા અને ફાગના રચનાબંધવાળા, ૨૭ કડીના ‘જિનહંસગુરુ-નવરંગ-ફાગ’ (લે. સં. ૧૬મી સદી અંતભાગ/સં. ૧૭મી સદી આરંભ અનુ; મુ.)માં પરંપરાગત રૂપકશૈલીએ ગુરુના શીલનો મહિમા વર્ણવાયો છે. આંતરયમકના વ્યાપક વિનિયોગવાળા આ કાવ્યમાં કવિએ સૌંદર્યવર્ણન અને વિરહવર્ણનની તક લીધી છે અને ‘વસંતવિલાસ’નું સ્મરણ કરાવતી કેટલીક મનોરમ પંક્તિઓ પણ એમાં મળે છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ [શ્ર.ત્રિ.]