ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇશ્વર સૂરિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઇશ્વર(સૂરિ)-૧ ઇશ્વર(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : સંડેરગચ્છના જૈન સાધુ. યશોભદ્રસૂરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. અપરનામ દેવસુંદર. તેમણે ઈ.૧૫૪૧માં નાડલાઈના મંદિરમાં આદિનાથની પ્રતિમાની પુન:સ્થાપના કરી હતી. ૨૦૫૦ ગ્રંથાગ્રનો ‘જીવવિચાર પ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૦૩) એમની ગુજરાતી કૃતિ છે. એમની કૃતિ ‘લલિતાંગનરેશ્વર-ચરિત્ર/પ્રબંધ/રાસ’ (૨. ઈ.૧૫૦૫) પ્રાકૃત, અપભ્રંશ તથા ગુજરાતી ભાષામાં રચાયેલી તેમ જ દુહા, કુંડલિયા, ઇન્દ્રવજ્રા, વસ્તુ વગેરે ૧૬ જેટલા સંસ્કૃત-અપભ્રંશ છંદોબંધ તથા કાવ્યબંધનો ઉપયોગ કરતી હોઈને અત્યંત નોંધપાત્ર બને છે. તેમાં વપરાયેલા છંદોબંધમાં અડિલ્લાર્ધ-બોલી, વર્ણનબોલી, યમકબોલી વગેરેનો ઉલ્લેખ થયો છે જે અમુક અંશે ગદ્યબંધ હોવાનો પણ સંભવ છે. એમણે દુહા-ચોપાઈ ઉપરાંત વિવિધ ઢાળોમાં ‘શ્રીપાલ-ચોપાઈ/સિદ્ધચક્ર-ચોપાઈ’ (૨.ઈ.૧૫૦૮/સં. ૧૫૬૪, આસો સુદ ૮), ૭૩/૭૬ કડીની ‘નંદિષેણ-છઢાળિયાં’ અને ૬ કડીની ‘નેમિજિન-ગીત’ એ કૃતિઓ પણ રચેલ છે. તેમની સંસ્કૃત રચના ‘સુમિત્ર-ચરિત્ર’ (૨. ઈ.૧૫૨૫)માં ઉલ્લેખાયેલી ‘જીવવિચારપ્રકરણવિવરણ’, ‘સટીક-ષટ્ભાષા-સ્તોત્ર’, ‘યશોભદ્ર-પ્રબંધ/ફાલ્ગુચિંતામણિ’ તથા ‘મેદપાટ-સ્તવન-સટીક’ વગેરે અન્યકૃતિઓમાંની ઘણીખરી સંસ્કૃતમાં હોવાની શક્યતા છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. ડિકૅટલૉગભાવિ, ૩. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]