ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવચંદ-૫ ‘પ્રભુશશી’-‘સુરશશી’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેવચંદ-૫/‘પ્રભુશશી’/‘સુરશશી’ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક. જ્ઞાતિએ વીસાશ્રીમાળી. અમદાવાદના રહેવાસી હોય એવું સમજાય છે. એમણે રચેલા ૮૩ કડીના ‘નેમિનાથનો સલોકો’ (ર.ઈ.૧૮૪૪/સં. ૧૯૦૦, શ્રવણ વદ ૫, શુક્રવાર; મુ.)માં નેમિનાથને પરણવા સમજાવવા ભાભીઓએ કરેલા મજાકભર્યા ઉદ્ગારો વિસ્તારથી ને તળપદી શૈલીમાં મનોરમ રીતે આલેખાયા છે. આ કવિનો ૯૨ કડીનો ‘વિવેક-વિલાસનો સલોકો’ (ર.ઈ.૧૮૪૭/સં. ૧૯૦૩, માગશર સુદ ૧૩, મંગળવાર; મુ.) પણ વીગતપૂર્ણ રૂપક ગ્રંથિની રચનાની કવિની શક્તિ બતાવે છે. આ ઉપરાંત, આ કવિની ૪ કડીની ‘જિનપ્રભુની આંગીનું સ્તવન’ (મુ.), ૮ પંક્તિની ‘મહાવીરસ્વામીની ગરબી’ (મુ.), ૭ કડીનું ‘પદ્મપ્રભસ્વામીનું સ્તવન’ (મુ.) તથા ૯ કડીનું ‘સુવિધિનાથસ્વામીનું સ્તવન’ (મુ.) એ લઘુ કૃતિઓ પણ મળે છે. ‘પ્રભુશશી’ની નામછાપ સાથે મળતું ૭ કડીનું ‘ચંદ્રપ્રભસ્વામીનું સ્તવન’ આ જ કવિની રચના હોવાનું સમજાય છે. કૃતિ : ૧. (શ્રી) પ્રતિક્રમણસૂત્ર તથા નવસ્મરણ અને દેવવંદનાદિ ભાષ્યત્રય, સં. શ્રાવક ભીમસિંહ માણક, ઈ.૧૯૦૬; ૨. મોતીશાનાં ઢાળિયાં, પ્રં. હીરાચંદ હઠીસિંગ શાહ, ઈ.૧૯૧૪ (બીજી આ.); ૩. શ્રી શત્રુંજ્ય તીર્થાદિ સ્તવન સંગ્રહ, સંગ્રા. મુનિમહારાજશ્રી સાગરચંદ્રજી, ઈ.૧૯૨૬; ૪. સલોકાસંગ્રહ : ૧, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]