ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રામ : આ નામે મળતી જૈનેતર કૃતિઓમાં રાધાકૃષ્ણની શૃંગારક્રીડાને પદસદૃશ ૭ કડવાંની ૪૮ કડી અને ૧ પદમાં આલેખતી ‘અમૃતકચોલડાં/રાધાકૃષ્ણ-ગીત’ (મુ.) પ્રાસાદિક રચના છે. દરેક કડવાના પ્રારંભમાં ત્રૂટક તરીકે ઓળખાવાયેલી ૧ કડી પદના ભાવાર્થનું સૂચન કરે છે અને તેનો અંતિમ શબ્દ પદની પછીની કડીનો પ્રારંભક શબ્દ બની પદને સાંકળી-બંધવાળું બનાવે છે. કૃતિના પ્રાસઅનુપ્રાસ ને પદમાધુર્ય શૃંગારભાવને પોષક બનીને છે. કૃતિનું ભાષાસ્વરૂપ જોતાં એ રામ-૨ની હોઈ શકે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. આ ઉપરાંત, ‘ભક્તવેલ’, ‘દાણચાતુરી’ અને ‘પંચીકરણ(ટીકા સાથે)’ એ જૈનેતર કૃતિઓ પણ મળે છે. તો ૧ કડીની ‘જિન-નમસ્કાર’ (લે.ઈ.૧૮૦૭), ૪ કડીની ‘ચંદ્રપ્રભુસ્વામીનું સ્તવન’(મુ.), ૩ કડીની ‘જિનપૂજાનું ચૈત્યવંદન’(મુ.), ૭ કડીની ‘ગહૂંલી’(મુ.), ૫ કડીનું ‘સામાન્ય જિન-સ્તવન’(મુ.), હિંદીની અસરવાળું ૩ કડીનું ‘પરમાત્માનું ચૈત્યવંદન’(મુ.) તથા ૧૪ કડીની ‘મૃગાપુત્રની સઝાય’(મુ.) એ રામ અને રામમુનિના નામે ૯ કડીની ‘અધ્યાત્મ-સઝાય’-એ જૈન કૃતિઓ મળે છે. આ બધી જ કૃતિઓના કર્તા કયા રામ છે તે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૩. ચૈસ્તસંગ્રહ : ૧; ૪ જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. જૈકાસંગ્રહ; ૭. જૈરસંગ્રહ; ૮. સસન્મિત્ર(ઝ);  ૯. સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૬-‘કવિ રામની બે પ્રાચીન રચનાઓ, સં. મંજુલાલ મજમુદાર. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી.[ચ.શે. ; શ્ર.ત્રિ.]