ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિશપ્ત કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અભિશપ્ત કવિ (Poete Maudit) : અભિશપ્ત કે ઘૃણિત કવિ માટેની ફ્રેન્ચ સંજ્ઞા. તેજસ્વી પણ આત્મનાશ વહોરનાર કવિ માટે સંવેદનહીન સમાજ ગેરસમજ કરે છે એનો અહીં નિર્દેશ છે. પોલ વર્લેના, મલાર્મે, રે’બો અને અન્ય ફ્રેન્ચકવિઓ પરના પુસ્તક ‘લે પોએત મોદી’(૧૮૮૪) પરથી આ સંજ્ઞા ઊતરી આવી છે. બોદલેરની રચના ‘સ્વસ્તિવાચન’ (Benediction)નો અહીં સંદર્ભ છે. એમાં કવિ એની માતાના તિરસ્કારનું ભાજન બને છે અને જન્મક્ષણથી આખા જીવન દરમ્યાન ઘૃણા અને પીડાનું લક્ષ્ય બને છે. આમ છતાં એ પ્રસન્ન અને સ્વસ્થ રહે છે બાળકની જેમ, સૂર્યથી ઉન્મત્ત પવન સાથે ખેલતો, પંખી જેવો ઉલ્લાસસભર યાતના આપનાર ઈશ્વરને પણ એ આશીર્વચન ઉચ્ચારે છે. ચં.ટો.