ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કુવલયાનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



કુવલયાનંદ : અપ્પયદીક્ષિતનો સોળમી સદીના અંત અને સત્તરમી સદીના પ્રારંભ વચ્ચે લખાયેલો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. આ ગ્રન્થ જયદેવની અલંકાર પરની પ્રસિદ્ધ કૃતિ ‘ચંદ્રલોક’ પર આધારિત છે. તેથી એની શૈલીનો એમાં સ્વીકાર થયો છે. એક જ શ્લોકમાં અલંકારની પરિભાષા અને એનું ઉદાહરણ બંને પ્રસ્તુત કર્યાં છે. ‘ચંદ્રલોક’નાં અલંકારોનાં લક્ષણ યથાતથ લઈ એના સ્પષ્ટીકરણ માટે વિસ્તૃત વ્યાખ્યા અપાયેલી છે. કુલ ૧૨૩ અલંકારોનું નિરૂપણ થયું છે; એમાંથી ૧૦૦ અલંકારો ‘ચંદ્રાલોક’ને અનુસરે છે. જ્યારે ૨૩ જેટલા અલંકારો અને એનાં લક્ષણો ગ્રન્થકારે પોતે આપેલાં છે. આ ગ્રન્થ મૌલિક નથી પણ અલંકારોનાં વિવરણોનો પ્રામાણિક અને વ્યવસ્થિત ગ્રન્થ છે. વળી, એ ઉત્તરકાલીન હોવાથી એમાં પૂર્વવર્તી આચાર્યોની માન્યતાનું વિશેષરૂપથી વિવેચન થયેલું છે. અપ્પયદીક્ષિત ધ્વનિવિરોધી આચાર્ય નથી પરંતુ ‘રસવત્’ ઇત્યાદિ અલંકારોનું સ્વતંત્રરૂપથી વિધાન કર્યું છે. અલંકારવિષયક આ અત્યંત લોકપ્રિય ગ્રન્થ છે. અપ્પયદીક્ષિતનો જન્મ તામિલનાડુના કાંચીપુર નજીકના અડયપ્પલ ગામમાં થયેલો. તેઓ તંજોરના રાવ શાહજીના સભાપંડિત હતા. એમણે આ ઉપરાંત ‘વૃત્તિવાતિર્ક’ અને ‘ચિત્રમીમાંસા’ જેવા અન્ય અલંકારશાસ્ત્રસંબંધી ગ્રન્થો આપ્યા છે. કુલ ૧૦૪ જેટલી કૃતિઓ એમને નામે નોંધાયેલી છે. ચં.ટો.