ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વસન્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વસન્ત : સામ્પ્રત સમયનું યોગ્ય પ્રતિનિધિત્વ કરી મનુષ્યજીવનના વિકાસમાં સહાયક બને એવી ધારણાથી આનંદશંકર ધ્રુવે ૧૯૦૨માં અમદાવાદથી પ્રગટ કરેલું માસિક. ૧૯૩૬થી ત્રૈમાસિક. ૧૯૩૯માં પ્રકાશન બંધ. વિવિધ સાહિત્યિક કૃતિઓ ઉપરાંત દિગ્દર્શન, ગૂર્જર સાક્ષરજયંતીઓ, પ્રાસંગિકનોંધ અને અવલોકન જેવા સ્થાયી વિભાગો તળે ‘સરસ્વતીચંદ્રનું વિવેચન’, ‘પ્રાર્થના અને તેનું રહસ્ય’, ‘પ્રાચીન ગ્રીકકેળવણી’, ‘સંસ્કૃત કાવ્યવિવેચન’, ‘નાટ્યશાસ્ત્ર’, ‘બુદ્ધધર્મ અને ક્રિશ્ચિયાનિટી’, ‘ઈંગ્લેન્ડનો ખેડૂત’, ‘પ્રાચીન માનવ’, ‘ગૂજરાત અને કેળવણી’, ‘વલ્લભી શાસનનો પૂર્વસંધિ’, ‘પદાંત સાનુનાસિક દીર્ઘ ઉ’, ‘સ્ફોટવાદ અથવા શબ્દાદ્વૈતવાદ’, ‘મુગલયુગની લશ્કરી અને મહેસૂલી વ્યવસ્થાઓ’ જેવા મર્મગ્રાહી લેખો અને તંત્રીની પ્રાસંગિકનોંધો વડે ‘વસંતે’ વીસમી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતી પ્રજાનું સંસ્કારઘડતર કર્યું છે. ર.ર.દ.