ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવેચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિવેચક, સર્જકનો જોડિયો ભાઈ : નરસિંહરાવ દિવેટિયા એમનાં ગ્રન્થ ‘મનોમુકુર’ ભાગ-૧માં નવલરામના મૂલ્યાંકન દરમ્યાન કવિ અને વિવેચકની પરસ્પરની સંલગ્નતા વિશે ટિપ્પણી કરતાં સ્પષ્ટ કરે છે કે વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે. બંને કલ્પનાપ્રદેશમાં, ભાવનાસૃષ્ટિમાં સાથે જ ઊડે છે. બંનેને પ્રતિભા અને કલ્પના એ બે પાંખોની આવશ્યકતા છે. પરંતુ નરસિંહરાવે એ કવિ અને વિવેચકના વ્યાપારો વચ્ચે ભેદ દર્શાવ્યો છે અને કહ્યું છે કે કવિનો વ્યાપાર સંયોગીકરણ(Synthesis)નો છે વિવેચકનો પૃથક્કરણ(Analysis)નો છે. પોતે પૃથક્કરણ શેનું કરે છે તે વિવેચકે જાણવું જ જોઈએ. અને તેથી જ કવિની નહિ પણ કવિના જેવી પ્રતિભા અને કલ્પના વિવેચકનામાં પણ આવશ્યક છે. નરસિંહરાવની આ વિચારણા સંસ્કૃતમાં કારયિત્રી અને ભાવયિત્રીપ્રતિભાની વિચારણાની ખૂબ નજીકની છે. ચં.ટો.