ગ્રંથ અને ગ્રંથકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ગ્રંથ અને ગ્રંથકાર


ગ્રંથ અને ગ્રંથકાર-ખંડ ૧-૧૧ (૧૯૩૦-૧૯૬૬) : ગુજરાતી સાહિત્યના શિષ્ટગ્રંથો અને ગ્રંથકારોનો તેમ જ સાહિત્યની ગતિ-વિધિનો પરિચય મળી રહે તેવા ઉદ્દેશથી ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ સંપાદિત કરાવેલી સંદર્ભગ્રંથશ્રેણી. ગ્રંથશ્રેણીના અગિયાર ગ્રંથોમાંથી આઠ ખંડોનું સંપાદન હીરાલાલ ત્રિભોવનદાસ પારેખે કર્યું છે; તો નવ, દશ અને અગિયારમા ખંડોના સંપાદકો અનુક્રમે ચુનીલાલ વર્ધમાન શાહ, બચુભાઈ રાવત તથા કેશવલાલ કાશીરામ શાસ્ત્રી; ધીરુભાઈ ઠાકર તથા ઇન્દ્રવદન કા. દવે અને પીતામ્બર પટેલ તથા ચિમનલાલ ત્રિવેદી છે.

આ ગ્રંથશ્રેણીમાં હયાત તેમ જ વિદેહ એવા ૫૭૩ ગ્રંથકારોનો પરિચય મળે છે, જેની નામસૂચિ અગિયારમા ખંડમાં મળે છે. પરિચયમાં ગ્રંથકારનું પૂરું નામ, એનાં જન્મસ્થળ અને સમય, માતા-પિતા, પત્ની, શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી, વિશેષ રસ-રુચિ, પ્રાપ્ત પુરસ્કારો, પ્રકાશિત ગ્રંથોની સાલવાર યાદી તેમ જ અવસાન-સ્થળસમય જેવી માહિતીનો સમાવેશ થયો છે.

ગુજરાતી સાહિત્યની ગતિવિધિ અને પ્રવાહદર્શન નિમિત્તે જે તે સાલનાં પ્રકાશિત પુસ્તકોની વર્ગીકૃત સૂચિ તથા સમીક્ષા, સામયિક-લેખસૂચિ, વિશિષ્ટ અભ્યાસ અને સંશોધનલેખો ઉપરાંત પુસ્તકલેખન, હસ્તપ્રતલેખન, મુદ્રણકળા વગેરે વિષયોને નિરૂપતા લેખો પણ અહીં સંગ્રહિત છે.

ગુજરાતી ભાષા-સાહિત્યમાં પ્રવર્તતી સંદર્ભસાહિત્યની લગભગ અભાવની સ્થિતિમાં અત્યંત ઉપયોગી નીવડતી આ સંદર્ભગ્રંથશ્રેણી તેની ચોકસાઈ અને વ્યાપકતાને લીધે નોંધપાત્ર બને છે.

—રમેશ ર. દવે
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ભાગ ૨)માંથી સાભાર