ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/રમણલાલ વસંતલાલ દેસાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રમણલાલ વસંતલાલ દેસાઈ

એઓ જાતે વડનગરા નાગર બ્રાહ્મણ (ગૃહસ્થ) છે. એમના પિતાનું નામ વસંતલાલ સુંદરલાલ દેસાઈ અને માતાનું નામ સૌ. મણિબા છે. એમનો જન્મ સન ૧૮૯૨માં વડોદરા રાજ્યમાં શિનોર ગામમાં થયો હતો, જો કે એમનું વતન સ્થાન પંચમહાલમાં આવેલું કાલોલ છે. એમણે પ્રાથમિક કેળવણી શિનોરમાં અને માધ્યમિક કેળવણી વડોદરામાં લીધેલી. સન ૧૯૦૮માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી, વડોદરા કૉલેજમાં જોડાયલા. બી. એ.,ની પરીક્ષા સન ૧૯૧૪માં અને એમ. એ;ની પરીક્ષા ગુજરાતી ઐચ્છિક વિષય લઈને સને ૧૯૧૬માં પાસ કરી હતી. એમના પ્રિય વિષયો સાહિત્ય અને સમાજશાસ્ત્ર છે.

અભ્યાસ પૂર્ણ થતાં, તેઓ વડોદરા રાજ્યની નોકરીમાં જોડાયા. અત્યારે તેઓ નવસારીમાં નાયબસુબા(પંચાયત શાખા)ની પદ્વી પર છે. સન ૧૯૧૭થી માસિકમાં લેખ લખવાનું શરૂ કરેલું; પણ તેઓ સન ૧૯૨૦માં એમના ‘સંયુક્તા’ નાટકથી એકદમ પ્રસિદ્ધિમાં આવ્યા હતા. આ નાટક સને ૧૯૧૫માં પ્રથમ ભજવાયું હતું, જોકે તે સને ૧૯૨૦માં છપાયું. આપણે ત્યાં સારાં નાટકો બહુ ઓછા લખાય છે અને તેમાં ભજવી શકાય એવા એથી પણ જૂજ હોય છે; પણ એમનું પ્રથમ નાટક સ્ટેજ પર સફળ નિવડ્યું હતું; અને એક સાહિત્યકૃતિ તરીકે પણ તેની તારીફ થઈ હતી. તે પછી એમણે “શંકિત હૃદય” નામનું એક સામાજિક નાટક સન ૧૯૨૫માં રચ્યું હતું, તે એમના પ્રથમ નાટક કરતાં વધુ ખેંચાણકારક નિવડ્યું હતું; અને ઘણાં સ્થળોએ તે હજી ઍમૅચ્યૉસ તરફથી ભજવવામાં આવે છે, એથી લેખકે મગરૂર થવા જેવું છે. જેમ એઓ એક કુશળ નાટકકાર જણાયા છે તેમ એક નવલકથાકાર તરીકે પણ એમની કલમ દીપી ઉઠી છે. ‘શિરિષ’ અને ‘કોકિલા’ જે પુસ્તકો વડોદરામાંથી પ્રસિદ્ધ થતા “સયાજીવિજય” પત્રના ગ્રાહકોને ભેટ અપાયાં હતાં, તેમાં આપણા સામાજિક પ્રશ્નો જેમકે સંગીત અને ચિત્રકળાનો પ્રશ્ન, પતિત સ્ત્રીનો પ્રશ્ન, મૂડીવાદ અને મજુરનો પ્રશ્ન, એક પત્રકારનું જીવન વગેરે સીફતથી ચર્ચી, તેનાં ગુણ દોષ પ્રતિ જનતાનું લક્ષ દોરવામાં એઓ ફતેહમંદ થયા છે. આપણા સામાજિક નવલકથાકારોમાં અમદાવાદના બંધુ સમાજમાંના લેખકો, શ્રીયુત ભોગીન્દ્રરાવ, રામમોહનરાય, શિવુભાઈ પછી એઓ જ સૌનું વિશેષ ધ્યાન ખેંચી રહ્યા છે.

વડોદરા રાજ્યની ‘સયાજી જ્ઞાનમાળા’ માટે એમણે અવકાશ મેળવી કેટલાંક પુસ્તકો લખી આપ્યાં છે તે, એમના ગ્રંથોની યાદી નીચે આપી છે, તેમાં નોંધ્યાં છે.

એમના પુસ્તકોની યાદીઃ

૧ મહારાણા પ્રતાપ (ટુંકું ચરિત્ર) સન ૧૯૧૯
૨ સંયુકતા (નાટક) ૧૯૨૦
૩ પાવાગઢ (વર્ણન) ૧૯૨૦
૪ નાના ફડનવીસ (ટુંકું ચરિત્ર) ૧૯૨૨
૫ શંકિત હૃદય (નાટક) ૧૯૨૫
૬ જયંત (સામાજિક વાર્તા) ૧૯૨૫
૭ શિરીષ () ૧૯૨૭
૮ કોકિલા () ૧૯૨૯
૯ હૃદયનાથ () ૧૯૩૦
૧૦ સંસ્કૃતિની ઉત્પત્તિ ૧૯૨૮
[લૉર્ડ ઑવબરીકૃત Origin of Civilizationનું ભાષાંતર]