ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/અમૃતલાલ રતનજી ત્રિવેદી (દ્વિજકુમાર)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અમૃતલાલ રતનજી ત્રિવેદી (દ્વિજ કુમાર)

એઓ જ્ઞાતે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ અને મૂળ વતની હળવદના છે. એમનો જન્મ લીંબડી (કાઠિયાવાડ)માં સં. ૧૯૫૯ના ચૈત્ર સુદ ૨ ના રોજ થયો હતો. એમના પિતાનું નામ રતનજી મૂળજી ત્રિવેદી અને માતાનું નામ મોતીબાઈ હરજીવન પાઠક છે. એમનું લગ્ન સં. ૧૯૭૮ માં હળવદમાં સૌ. તારાગૌરી સાથે થયું હતું. એમનો અભ્યાસ પ્રિવિયસ સુધીનો છે અને હાલમાં તેઓ સિનેમા કંપનીઓમાં સિનરીઓ રાઇટર તરીકે કામ કરે છે; પણ સાથે સાથે વર્ત્તમાનપત્રોમાં નવલકથાઓ લખે છે, જે જનતામાં રસપૂર્વક વંચાય છે. મહાત્માજીનો પ્રભાવ એમના જીવનપર ખૂબ પડેલો છે. સન ૧૯૨૦માં અસહકારની ચળવળ વખતે એમણે સરકારી શાળા છોડી રાષ્ટ્રીય શાળામાં દાખલ થઇ વિનીતની પરીક્ષા પાસ કરી હતી. પછી વિદ્યાલયમાં જોડાયલા; પરંતુ રાજકીય પ્રવૃત્તિમાં પડતાં તે અભ્યાસ પડતો મૂક્યો હતો તે પછી વર્તમાનપત્રમાં લખવાનું શરૂ કર્યું હતું અને તંત્રીઓ એમના લેખો, વાર્તાઓ વગેરેને સ્થાન આપી, એમના લેખનકાર્યને ઉત્તેજતા હતા. એમાં ‘સાંજ વર્ત્તમાન’ના સહતંત્રી શ્રીયુત પ્રભુદાસ લાધાભાઈ મોદી અને ‘વીસમી સદી’ના તંત્રી શ્રીયુત ગુલામહુસેન હાજીમહમદ શિવજી તથા નવચેતનના તંત્રી શ્રીયુત ચાંપશી ઉદ્દેશીએ આ ઉગતા કલાકારને પ્રકાશમાં લાવવા માટે સારો ઉત્સાહ દર્શાવી પ્રયાસ કર્યો હતો અને આજે સાહિત્યના જગતમાં આ તંત્રીઓના પ્રેત્સાહનથી જ તેઓ ચમકે છે તેમ ઉપકારસહ જણાવે છે. વર્તમાનપત્રોમાં કીર્તિ પ્રાપ્ત થતાં, તેમણે ચલ ચિત્રોના ક્ષેત્રમાં જંપલાવ્યું છે અને અહિ પણ એમણે સારી નામના મેળવી છે.


: : એમની કૃતિઓ : :

હંસા યાને મઠનો ભેદ સન ૧૯૨૬
મહારાષ્ટ્ર કેસરી ,, ૧૯૨૭
સમાજનો સડો ,, ૧૯૨૮
રૂઢિનાં બંધન ,, ૧૯૨૯
ડગમગતી મહોલાત ,, ૧૯૨૯