ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/નગીનદાસ નારણદાસ પારેખ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નગીનદાસ નારણદાસ પારેખ

એઓ જ્ઞાતે દમણિયા સોની, વલસાડના વતની છે; એમનો જન્મ ભાદરવા સુદ આઠમ, સંવત ૧૯૫૯ના રોજ વલસાડમાં થયો હતો. એમના પિતાનું નામ નારણદાસ અને માતાનું નામ જીવકોરબાઇ છે. એમનું પ્રથમ લગ્ન સન ૧૯૧૦માં શ્રીમતી ગુલાબ બ્હેન સાથે થયું હતું, અને તેમનું મૃત્યુ થતા તેઓ ફરી સન ૧૯૩૩માં પરણ્યા હતા. એમના હાલનાં પત્નીનું નામ વાસંતી બ્હેન છે. એમણે પ્રાથમિક તેમ માધ્યમિક કેળવણી વલસાડમાં લીધી હતી. વિદ્યાર્થી તરીકેની એમની કારકીર્દિ ઉજ્જ્વળ હતી, એમણે ડ્રોઇંગની એલિમેન્ટરી અને ઈન્ટરમિડિયેટ પરીક્ષા પાસ કરી છે. તેઓ સાતમા ધોરણમાં હતા એ વખતે અસહકારની ચળવળ શરૂ થઈ. એટલે શાળા છોડી દઇને તેઓ વિદ્યાપીઠમાં જોડાયા હતા. અહિં પણ તેઓ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતા તેમ તેના અંગે ચાલતું સાબરમતી નામનું દ્વૈમાસિક પત્ર કેટલોક સમય તેમણે ચલાવ્યું હતું; એ પત્રમાં એક ઉત્તમ લેખ લખવા બદલ એમને તારાગૌરી ચંદ્રક મળ્યો હતો. વિદ્યાર્થી અવસ્થાથી જ તેઓ વિદ્યાર્થીઓના તેમજ અધ્યાપકના હાસ્યરસિક લેખોના લેખક તરીકે પ્રિય થઈ પડ્યા હતા. તેમને ચન્દ્રક જે લેખને માટે મળ્યો તે પણ એક ગંભીર છતાં હાસ્યનો જ લેખ હતો. તે પછી તેઓ કવિવર ટાગોરના શાન્તિનિકેતનમાં વધુ અભ્યાસ કરવા સારૂ ગયા હતા. અહિં પણ તેઓશ્રી ક્ષિતિમોહન સેનના પ્રિય શિષ્ય થઈ પડ્યા હતા. સત્યાગ્રહની લડતના અંગે તેએાએ જેલસજા પણ ભોગવી હતી. લોક સેવામાં તેઓ માને છે; અને લેખન વાચનમાં પણ બહુ પ્રવૃત્ત રહે છે; બંગાળી હિન્દી વગેરેનું સારૂ જ્ઞાન હોઇને કેટલાક ઉત્તમ ગ્રંથો એ ભાષાઓમાંથી એમણે ગુજરાતીમાં ઉતાર્યા છે.

: : એમની કૃતિઓ : :

નં. પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ.
(૧) ચુંબન અને બીજી વાતો (અનુવાદ) ૧૯૨૮
(૨) કાવ્યપરિચય (૧-૨) (સંપાદન) શ્રી રામનારાયણ પાઠક સાથે ૧૯૨૩
(૩) પરિણીતા (અનુવાદ) ૧૯૩૧
(૪) ખાદીનું વ્યાપક અર્થશાસ્ત્ર (શ્રી જેઠાલાલ ગાંધી સાથે અનુવાદ) ૧૯૩૧
(૫) વિસર્જન (અનુવાદ) ૧૯૩૨
(૬) પૂજારિણી અને ડાકઘર (અનુવાદ) ૧૯૩૨
(૭) પલ્લી-સમાજ (અનુવાદ) ૧૯૩૩
(૮) ચંદ્રનાથ (અનુવાદ) ૧૯૩૩
(૯) સ્વદેશી સમાજ (અનુવાદ) ૧૯૩૪