ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/પ્રસ્તાવના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રસ્તાવના

ગુજરાતી ભાષાના કોશો વિષે બને તેટલી સંપૂર્ણ હકીકત એકઠી કરી એક વિસ્તૃત લેખ, એ કાર્યમાં, જેમનું જીવન ઘણુંખરૂં વ્યતીત થયલું છે, તે, ઇંગ્રેજી ગુજરાતી સ્ટાન્ડર્ડ ડિક્ષનેરીના પ્રયોજક શ્રીયુત વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ વ્યાસે, લખી આપ્યો છે તે માટે તેમનો હું અત્યંત આભારી છું. મારા ઉદ્દેશ તો ગુજરાતી કોશનું સંપાદન કાર્ય કેમ થવું ઘટે, તેની રચનામાં આવશ્યક સાધનો કયાં કયાં છે ? તેમાં શી શી અડચણો નડે છે, તે માટે કેવી તૈયારી હોવી જોઈએ ? અગાઉ જુના કાળમાં કોશ લખાતા તેનું ધોરણ શું હતું ? અર્વાચીન કોશ જુની પદ્ધતિથી ક્યાં જુદો પડે છે ? અને એક આદર્શ કોશ કેવો હોય, એ સઘળા મુદ્દાઓ ચર્ચતો લેખ તૈયાર કરાવવાનો હતો અને એક મિત્રને તે કાર્ય સોંપ્યું પણ હતું. તેની ભૂમિકા તરીકે પ્રસ્તુત લેખ ઘણો ઉપયોગી થશે. છેલ્લાં સો સવાસો વર્ષમાં ગુજરાતી ભાષામાં હજારો પુસ્તકો પ્રગટ થયલાં છે, તેમાંથી જે મહત્વનાં અને કિંમતી લાગ્યાં તેની સાલવારી આપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ સાલવારી સાહિત્યના અભ્યાસીને કેટલીક રીતે ઉપકારક થઈ પડશે. શ્રીયુત બચુભાઈ રાવત તો “ગ્રંથ અને ગ્રંથકાર” કુમાર કાર્યાલયનું એક પ્રકાશન હોય એવી મમતાથી તેમાં હમેશાં સહાયતા આપતા રહ્યા છે; તેમજ તે માટે જે લેખ હર વખતે લખી આપે છે, તે થોડો મૂલ્યવાન હોતો નથી. શ્રીયુત દેશળજી પરમાર નવા કવિઓમાં આગળ પડતા છે; અને એમની કાવ્યમીમાંસા હમેશ ગંભીર અને મનનીય માલુમ પડે છે. વર્ષની ઉત્તમ કવિતાની એમની પસંદગી, એટલી જ કાળજીથી અને વિવેકપૂર્વક થયલી જોવામાં આવશે. લેડી વિદ્યાબહેન, આ પ્રકાશનમાં સક્રિય રસ લઈ રહ્યાં છે, એ એમના દરેક ગ્રંથના પરિચયના લેખ પરથી લક્ષમાં આવશે. હું ઇચ્છું છું કે આવા સહૃદયી સહાયકોનો સહકાર આ ગ્રંથના સંપાદનમાં મને વધુને વધુ મળતો રહે !

ગુ. વ. સોસાઇટી,
અમદાવાદ,
તા. ૨૧-૯-૧૯૩૪


હીરાલાલ ત્રિ. પારેખ
સંપાદક