ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક

જાતે વડનગરા બ્રાહ્મણ ગૃહસ્થ, નડિયાદના વતની અને જન્મ તા. ૨૨-૨-૧૮૯૨ ના રોજ નડિયાદમાં થયો હતો. એમના પિતાનું નામ કનૈયાલાલ ઝવેરીલાલ યાજ્ઞિક અને માતુશ્રીનું નામ શ્રીમતી મણિગૌરી લાભરામ છે. એમનું લગ્ન સન ૧૯૧૪માં નડિયાદમાં શ્રીમતી કુમુદગૌરી- સ્વર્ગસ્થ તનસુખરામનાં પુત્રી સાથે થયું હતું; અને તે સન ૧૯૨૯માં અકાળે મૃત્યુ પામ્યાં હતાં.

એમની સ્કુલ અને કૉલેજની કારકિર્દી ઝળહળતી હતી, સેન્ટ ઝેવીયર કૉલેજમાંથી બી. એ; થયા હતા અને જ્હૉન દક્ષિણા ફેલૉશિપ પ્રાપ્ત કરી હતી. એલ. એલ. બી; થયા ત્યારે પણ એક સ્કૉલરશીપ મળી હતી.

એલ. એલ. બી; થયા પછી નોકરી માટે તજવીજ ન કરતાં જાહેરજીવનમાં એક સમાજસેવક તરીકે તેમણે ઝંપલાવ્યું હતું; અને એમની એ જાહેર સેવા ઉચ્ચકોટિની અને અનુકરણિય છે, એમ કહેવું જોઈએ.

જાહેર સેવાની પેઠે સાહિત્ય ક્ષેત્રમાં નવજીવન અને યુગધર્મ જેવાં પ્રથમ પંક્તિના માસિકોનું તંત્રીપદ ધારણ કરીને એક નવો ચીલો પાડ્યો હતો, પણ રાજકીય લડતમાં દાખલ થવાથી તેમનું એ કામ અટકી પડ્યું હતું, જોકે તેમનો લેખનવાચન વ્યવસાય પૂર્વવત ચાલુ છે, એટલુંજ નહિ, પ્રસંગોપાત પુસ્તક લખે જાય છે, તે ઉપરથી માલુમ પડે છે.

નવીન ગુજરાતે સેવાભાવી, બુદ્ધિશાળી અને કાર્યદક્ષ સેવકો ઉભા કર્યા છે, તેમાં તેઓ ઉંચે સ્થાને બીરાજે છે, અને તેની સેવાઓની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.

—:એમની કૃતિઓ:—

(૧) નવજીવન અને સત્ય (માસિક) તંત્રી ૧૯૧૫
(૨) યુગધર્મ અને સત્ય (માસિક) તંત્રી ૧૯૨૨
(૩) કુમારનાં સ્ત્રી રત્નો ૧૯૨૫
(૪) Gandhi- as I know him, Part ૧૯૨૨
(૫) Gandhi- as I know him, Part II ૧૯૩૪
(૬) Irish Atheletic Movement ૧૯૩૫
(૭) શહીદનો સંદેશ ૧૯૩૬

એમના જીવનમાં મહત્વના બનાવોની સાલવારી નીચે મુજબ છે :–

૧૯૧૦ બી. એ;
૧૯૧૨ એલએલ. બી;
૧૯૧૩ મુંબાઈની પોલીસ કૉર્ટમાં વકીલાત.
૧૯૧૫ નવજીવન અને સત્ય માસિક કાઢયું.
૧૯૧૫ સર્વન્ટ ઑફ ઇન્ડીયા સોસાઈટીમાં દાખલ થયા.
૧૯૧૬ પહેલી ગુજરાત કેળવણી પરિષદ્ સ્થાપી.
૧૯૧૭ હોમરૂલ લીગમાં જોડાયા.
૧૯૧૮ ખેડા સત્યાગ્રહમાં પડ્યા.
૧૯૧૯ રોલેટ ઍક્ટની લડતમાં તેમ દુકાળ નિવારણના કામમાં.
૧૯૨૦ નવજીવનમાંથી છૂટા થયા.
૧૯૨૧ ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી ચુંટાયા.
૧૯૨૨ યુગધર્મ માસિક શરૂ કર્યું.
૧૯૨૩–૨૪ જેલ.
૧૯૨૪ હિન્દુસ્થાન પત્રના તંત્રી.
૧૯૨૮ ફિલ્મના ધંધામાં.
૧૯૩૦ યુરોપનો પ્રવાસ
૧૯૩૫ હિન્દ પાછા ફર્યા.